તંત્રી સ્થાનેથી
કોઈપણ વ્યક્તિની આવડત, સૂઝ, શોખ ઉત્તમ સ્વરૂપે આકાર પામે તે તેની આર્ટ-કલા છે. કલા એ માનવીની એક એવી અભિરૂચિ રહી છે જે યુગોથી માનવીના જીવન સાથે તાણાવાણાની જેમ વણાઈને જીવનને વધારે સુંદર, વધારે કલ્યાણકારક અને વધારે ઊર્ધ્વગામી બનાવતી રહી છે. માનવીની કલાદૃષ્ટિ અને કલાસૂઝ યુગે યુગે વિકસતી અને નવા રૂપરંગ ધરતી રહી છે અને માનવીએ વિવિધ કલા સ્વરૂપોને યથાશક્ય પૂર્ણતા આપવાનો કોઈ પ્રયાસ બાકી નથી રાખ્યો. પરિણામે આજે આપણી પાસે કલાના (શુદ્ધ કલાના) અનેક સ્વરૂપો છે જે માત્ર આપણા મનને જ નહીં, આત્માને પણ વિશુદ્ધ આનંદ અને અજાણ્યા અર્થની અનુભૂતિ કરાવતા રહ્યા છે. તેમાં મુખ્ય છે સંગીત, ચિત્ર, નાટય, શિલ્પ અને તે દરેકની સંખ્યાબંધ શાખાઓ.
આમ છતાં કોઈ અદ્ભુત ચિત્ર દોરવું કે અનુપમ શિલ્પ ઘડવું તે એક વાત છે, ખૂબ જ રોચક અને સૌંદર્યમૂલક વાત છે, પરંતુ તે કલાકૃતિ તથા આપણી આસપાસ જે વાતાવરણ અને જે જીવન પથરાયેલું છે તેના પર સુંદરતાભર્યું શિલ્પકામ કરવું કે તેમાં મનોહર રંગ પૂરી તેને શોભાવવું તે અનેકગણી મોટી કલાસિદ્ધિ છે. બીજી રીતે કહીએ તો આપણા સમયને, આપણા યુગને કલાત્મક રીતે પ્રભાવિત કરવો તે સૌથી ઊંચી કલા છે અથવા તેના કરતાં પણ જુદી રીતે કહીએ તો કલા માત્ર સંગીત, ચિત્ર, શિલ્પ કે લેખનમાં સમાપ્ત થઈ જતી નથી. જીવનને કલાપૂર્ણ રીતે જીવવાની કલા પણ એક શીખવા-શીખવાડવા જેવી કલા છે.
ભૂતકાળના મહાન સંતો, પવિત્ર પુરુષો, વિચારકો, ગાંધીજી જેવા મહાન અહિંસક યોદ્ધા અને ફ્લોરેન્સ નાઈટીંગલ જેવી સેવામુર્તિ-આ એવા માનવીઓ હતા જેમણે ખુદ જીવનને એક કલા બનાવી. જેમનું જીવનકાર્ય ખુદ અનુપમ કલાકૃતિ બની રહ્યું અને આસપાસના વાતાવરણ, લોકજીવન અને જગતને સકારાત્મક રીતે પ્રભાવિત કરી ગયું. આવા 'કલાકાર' માનવીઓ આ જગતમાં જન્મતા અને જીવતા આવ્યા છે. તેમાંના કેટલાકના નામ પ્રસિદ્ધ થઈ શક્યા અને બાકીનાના અપ્રસિદ્ધ રહ્યા. પણ તેથી તેમના પ્રદાનમાં કોઈ ફરક પડયો નથી કે પડતો નથી, કારણ કે તેમના તે પ્રદાન વડે જ આપણી આ દુનિયા અને જીવન આટલાં કલાત્મક અને સુંદર છે.