નવી દિલ્હી, તા. ૨૬
ટીમ અણ્ણાએ આજે વડાપ્રધાન મનમોહનસિંહ તેમજ પ્રણવ મુખરજી અને પી. ચિદમ્બરમ્ ઉપરાંત ૧૨ કેન્દ્રીય પ્રધાનો સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે, બીજી તરફ કોંગ્રેસે આ આક્ષેપોને આધારહીન, ક્ષુલ્લક ગણાવતાં કહ્યું છે કે પક્ષને આ અંગે પ્રતિક્રિયા આપવાની પણ જરૂર જણાતી નથી. કોલસામંત્રાલય જ્યારે વડાપ્રધાન હસ્તક હતું તે સમયના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના એક અહેવાલના કેટલાક અંશોને ટાંકીને ટીમ અણ્ણાએ વડાપ્રધાન સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે.
- જેની સામે આક્ષેપો કર્યા તેમને જ તપાસ કરાવવા ટીમ અણ્ણાએ કાગળિયા સોંપ્યાં: વિદેશ પ્રધાને બદનક્ષીનો દાવો માંડવાની ધમકી આપી
- ટીમ અણ્ણાના આક્ષેપો આધારહીન, : પ્રતિક્રિયાની પણ જરૂર નથી : કોંગ્રેસ
ટીમ અણ્ણા દ્વારા વડાપ્રધાન વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા હોય તેવું આ પહેલી વાર બન્યું છે.
ટીમ અણ્ણા દ્વારા મનમોહન, પ્રણવ અને ચિદમ્બરમ્ ઉપરાંત જે કેન્દ્રીય પ્રધાનો સામે આક્ષેપો કરાયા છે તેમાં શરદ પવાર, એસ. એમ. ક્રિષ્ના, કમલનાથ, પ્રફુલ્લ પટેલ, વિલાસરાવ દેશમુખ, વીરભદ્રસિંહ, કપિલ સિબ્બલ, સલમાન ખુરશીદ, જી. કે. વાસન, ફારુક અબ્દુલ્લા, એમ. કે. અઝાગીરી અને સુશીલકુમાર શિન્દેનો સમાવેશ થાય છે. ટીમ અણ્ણાએ આ તમામ સામે એક સ્વતંત્ર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસની માગ કરી છે.
વડાપ્રધાન તેમજ કેન્દ્રીય પ્રધાનો સામે ટીમ અણ્ણાના સભ્યો અરવિંદ કેજરીવાલ, પ્રશાંતભૂષણ, શાંતિભૂષણ અને કિરણ બેદીએ ભ્રષ્ટાચારના આક્ષેપો અત્રે એક પ્રેસકોન્ફરન્સમાં કર્યા હતા.
બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ આ આક્ષેપો અંગે જણાવ્યું હતું કે, "હું આ આધારહીન આક્ષેપો અંગે જવાબ આપવાનું પણ જરૂરી સમજતો નથી. ટીમ અણ્ણા દ્વારા આવું બધું કહેવામાં આવ્યું હોય તે નવી વાત નથી. દરેક આધારહીન આક્ષેપનો જવાબ આપવો આવશ્યક નથી."
તપાસ માટે સીટ રચવાની માગ
અણ્ણા હઝારે અને તેમના નિકટના સાથીઓએ વડાપ્રધાનને પત્ર પાઠવી આક્ષેપો મામલે તપાસ માટે ત્રણ નિવૃત્ત જજની બનેલી સ્વતંત્ર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચવાની માગ કરી છે. તેમણે એવું પણ સૂચન કર્યું છે કે સરકાર જસ્ટિસ સુદર્શન રેડ્ડી, જસ્ટિસ એ. કે. ગાંગુલી, જસ્ટિસ એ. પી. શાહ, જસ્ટિસ કુલદીપસિંહ, જસ્ટિસ જે. એસ. વર્મા અને જસ્ટિસ એમ. એન. વેંકટચેલૈયાની પેનલમાંથી ત્રણ જજની પસંદગી કરી શકે છે. ટીમ અણ્ણાના પત્રમાં એમ પણ લખ્યું હતું કે ટીમ અણ્ણા સામેના આક્ષેપો અંગે પણ આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ તપાસ કરી શકે છે. કેજરીવાલે પ્રેસકોન્ફરન્સમાં ઉમેર્યું હતું કે, "અમે ૨૪ જુલાઇ સુધી રાહ જોઇશું, જો સરકાર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના અંગે ત્યાં સુધીમાં કોઇ નિર્ણય નહીં કરે તો અમે ૨૫ જુલાઇથી બેમુદ્દતી ઉપવાસ પર બેસી જઇશું."
કોની સામે કયા આક્ષેપ?
મનમોહનસિંહ : નવેમ્બર, ૨૦૦૬થી મે, ૨૦૦૯ દરમિયાન કોલસા મંત્રાલય વડાપ્રધાન મનમોહનસિંહ હસ્તક હતું, જે દરમિયાન ખાનગી કંપનીઓને જંગી લાભ થાય તે રીતે કોલસાની ફાળવણીનું એક કૌભાંડ થયું હતું. 'કેગ'ના રિપોર્ટમાં આ બાબત સ્પષ્ટ થાય છે. ૨૦૦૬થી ૨૦૦૯ અગાઉનાં કેટલાંક વર્ષો દરમિયાન કોલ બ્લોક્સની સરેરાશ વાર્ષિક ફાળવણી ૩-૪ની હતી જ્યારે ૨૦૦૬થી ૨૦૦૯ દરમિયાન કોલ બ્લોક્સની સરેરાશ વાર્ષિક ફાળવણી ધરખમ વૃદ્ધિ સાથે ૨૨-૨૪ સુધી પહોંચી હતી. આ ફાળવણીઓ સરકારી તિજોરીનાં હિતની જાળવણી વગર થઇ હતી.
પી. ચિદમ્બરમ્ : 'કેગ'ના રિપોર્ટને ટાંકીને ટીમ અણ્ણાએ ચિદમ્બરમ સામે પાંચ હેડ હેઠળ આક્ષેપો કર્યા છે, જેમાં (૧) ટુ-જી સ્પેક્ટ્રમના પ્રાઇસિંગ, (૨) સ્વાન ટેલિકોમ અને યુનિટેક દ્વારા ઇક્વિટીનાં વેચાણને મંજૂરી, (૩) હચ-વોડાફોનને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ હેઠળ મંજૂરી, (૪) એરસેલ-મેક્સિસને એફઆઇપીબી હેઠળ મંજૂરી (૫) પ્રોસિક્યુશન પરત ખેંચવાના અનિચ્છનીય પ્રયાસોના આક્ષેપોનો સમાવેશ થાય છે.
પ્રણવ મુખરજી : જુલાઇ, ૨૦૦૫માં 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'માં અહેવાલ પ્રકાશિત થયો હતો કે નૌકાદળના કેટલાક ડોક્યુમેન્ટ્સ એક પેનડ્રાઇવ મારફત લીક થયા છે. આ પેનડ્રાઇવ પછીથી નૌકાદળના વિંગ કમાન્ડર એસ. એલ. સુર્વેના ઘેરથી મળી આવી હતી. તત્કાલીન સંરક્ષણપ્રધાન પ્રણવ મુખરજી દ્વારા નૌકાદળની તપાસનાં તારણો છતાં કોઇ પગલાં નહોતાં લેવાયાં કે કેસ સીબીઆઇને સોંપાયો નહોતો.