જામનગર તા.ર૭
દેશભરમાં શ્રી રામ જય રામ જય જય રામની ધુન ગુંજવનાર પ્રેમભિક્ષુજી મહારાજના જન્મ શતાબ્દિ મહોત્સવની જામનગર જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં તા.૩૦ અને ૩૧ના રોજ ભવ્ય રીતે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ દરમ્યાન દ્વારકામાં પુજન, ધર્મસભા, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાશે.
- તા.૩૦ અને ૩૧ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે
રામનામના ભેખધારી સંત પ્રેમભિક્ષુજી મહારાજનો જન્મ ઈ.સ.૧૮૧રમાં બિહારના છતૌની મુકામે થયો હતો. પ્રેમભિક્ષુજી મહારાજે ગુજરાતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું. આજે જામનગર ઉપરાંત મુઝફરપુર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મહુવા, જૂનાગઢમાં અખંડ રામધુન ચાલી રહી છે. જામનગરમાં ૧૯૬૪થી શરૂ થયેલી અખંડ રામધુને ગીનીસ બુકમાં પણ સ્થાન મેળવ્યું છે.પ્રેમભિક્ષુજી મહારાજના જન્મને ૧૦૦ વર્ષ પુર્ણ થતા હોવાથી સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં તા.૩૦ અને ૩૧ સુધી બે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગેની વિગતો આપવા માટે જામનગરના સુપ્રસિધ્ધ બાલાહનુમાન મંદિર ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતા ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે તા.૩૦ના રોજ સાંજે પ કલાકે દ્વારકાના સુપ્રસિધ્ધ જગતમંદિર ઉપર નુતન ધ્વજારોહણ કરવામાં આવશે. સાંજે પઃ૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી દર્શન-સત્સંગ સભા યોજાશે. જેમાં સદાનંદજી મહારાજ, રમેશભાઈ ઓઝા, વલ્લભરાયજી મહોદય, હરીભાઈ શાસ્ત્રી વગેરે સંતો સંબોધન કરશે. રાત્રીના ૯ થી ૧૧ વાગ્યા સુધી બ્રહ્મપુરી નં.૧ ખાતે ભીખુદાન ગઢવી તથા સાથી કલાકારો દ્વારા ભગવદનામ મહિમા સાથે સત્સંગ રસપાન કરાવવામાં આવશે. તા.૩૧ના રોજ પ્રેમભિક્ષુજી મહારાજનો જન્મ શતાબ્દિ મહોત્સવ હોવાથી સવારે ૯ થી ૧ર વાગ્યા દરમિયાન રામનામ મહારાજ તથા સદગુરુદેવનું ષોડષોપચાર પુજન, અર્ચન, અભિષેક વગેરે કાર્યક્રમો યોજાશે.
બપોરે લોહાણા મહાજનવાડી ખાતે મહાપ્રસાદ યોજાશે. સાંજે ૪ વાગ્યે નગરકિર્તન શોભાયાત્રા યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રેમભિક્ષુજી મહારાજની જન્મ શતાબ્દિ અંતર્ગત દ્વારકામાં બે દિવસના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જયારે તેઓની કર્મભુમિ અને ગીનીસબુકમાં સ્થાન પ્રાપ્ત કરનાર જામનગરના બાલાહનુમાન મંદિરમાં કોઈ કાર્યક્રમોનું આયોજન ન કરાતા લોકોમાં આશ્ચર્ય સર્જાયુ છે.