સુરત, તા. ૨૭
મકાઇ પુલના રાંદેર તરફ રહેણાંક વિસ્તારની લગોલગ ચાલતી હોટલ રીતરાસમાં ચાલતા ગોરખધંધા અટકાવવા માટે આસપાસની સોસાયટીના લોકો મેદાને પડયા હતા. તેમણે અગાઉ વારંવાર રાંદેર પોલીસને અહીં ચાલતા ગોરખધંધાની જાણ કરી હતી છતાં તેમના દ્રારા કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવતા આજે લોકોએ જાતે જ હોટલમાં ઘૂસેલા ત્રણ કપલને પકડી લઇ લીધા હતા.
- પોલીસે મન ન હોવા છતાં હોટલ સુધી ખેચાવું પડયું
જયઅંબે સોસાયટીની સામે આવેલી હોટલ રીતરાસમાંથી કેટલાંક મહિલા અને પુરૂષો શંકાસ્પદ રીતે અવર જવર કરતાં નજરે પડતાં હતાં આ હોટલ અંગે રાંદેર પોલીસને તેમણે અગાઉ વારંવાર રજૂઆત કરી હોવા છતાં રાંદેર પોલીસ અકળ કારણસર કાર્યવાહી કરતી ન હતી એટલે કંટાળીને લોકો જાતે જ રસ્તા પર ઉતરી આવ્યા હતા ત્યારબાદ પોલીસ કંટેલને જાણ કરતાં રાંદેર પોલીસ ત્યાં પહોંચી હતી અને ત્યાંથી ત્રણ મહિલા અને ચાર પુરૂષની અટક કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા પુરૂષોમાં વરાછાના ચીકુવાડી વિસ્તારના નિર્મલનગર ખાતે રહેતા કનુ વશરામ પટેલ, રાંદેરની સ્વામીનારાયણસ્કુલ પાસે આવેલી ગોપીનાથ સોસાયટીમાં રહેતા પરેશ છગનભાઇ ભગવાગર અને રાંદેરરોડની દિનદયાળ સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર રામલાલ યાદવનો સમાવેશ થાય છે. આ દરોડા બાદ રાંદેરના પીએસઆઇ દીવાવાલાની ભૂમિકા ખૂબ જ શંકાસ્પદ જોવા મળી હતી. દર વખતે પોલીસ આવા કેસમાં મહિલા અને પુરૂષ જેની સામે કાર્યવાહી થઇ હોય તે તમામના નામ જાહેર કરતાં હોય છે પણ દીવાવાલાએ મહિલાઓ કોણ છે તે કહેવાનો ઇનકાર કરી દીધો હતો.