નડિયાદ,તા. ર૮
નડિયાદ શહેરના વ્હોરવાડ ખાતે એક નરાધામ પિતાએ પોતાની જ ૧૪ વર્ષિય પુત્રી પર પાશવી બળાત્કાર ગુજાર્યાની ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવતાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે પોલીસ તપાસ દરમ્યાન પિતાના સતત શારિરીક શોષણનો ભોગ બનેલી સગીર વયની બાળાને ગર્ભ રહી જતાં તેણીએ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં દોઢેક માસ અગાઉ અધુરા માસે પુત્રને જન્મ આપ્યો હોવાની અને તે જ રાત્રે બાળકને શહેરના કબ્રસ્તાનમાં દફનાવી દેવામાં આવ્યું હોવાની ચોંકાવનારી બાબત પ્રકાશમાં આવી છે. પોલીસે પિતાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
- પુત્રીની કુખે અધૂરા માસે જન્મેલા બાળકનું શબ કબરમાંથી કઢાયું
- સગીરાએ ગત તા. ૧૯મીએ ખાનગી હોસ્પિટલમાં નોર્મલ ડિલીવરીથી પુત્રને જન્મ આપ્યો હતો
- બળાત્કારી પિતાની ધરપકડ
બનાવની મળતી માહિતી મુજબ નડિયાદ શહેરના વ્હોરવાડ ખાતે રહેતો મહંમદફિરોઝ ઈબ્રાહિમભાઈ ચકલાસી શહેરના ગંજ બજારમાં ફળોની વખારમાં છૂટક મજૂરી કરી પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મહંમદફિરોઝની પત્ની પાકિસ્તાની હોવાથી થોડા સમય અગાઉ તે પોતાના પિયરમાં પાકિસ્તાન જતાં વ્હોરવાડ ખાતેના નિવાસ સ્થાને બે પુત્રી અને એક પુત્ર સાથે મહંમદફિરોઝ રહેતો હતો. ૧૪ વર્ષની મોટી પુત્રી ઘરના કામકાજ ઉપરાંત પિતાની સેવાચાકરી કરી તેમની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખતી હતી. .
પોતાની આ વ્હાલસોયી પુત્રી પર જ નરાધમ પિતાની દાનત બગડી હતી અને એક દિવસ ઘરમાં એકલતાનો લાભ લઈ તેણી પર તેની મરજી વિરૂધ્ધ પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. પત્નીની ગેરહાજરીમાં મહંમદફિરોઝ અવારનવાર દીકરીને પોતાની વાસનાનો ભોગ બનાવતા તેણીને ગર્ભ રહી ગયો હતો. દરમ્યાન મહંમદફિરોઝની પત્ની પરત આવતાં પિતાની વાસનાનો ભોગ બનેલી દીકરીએ માતાએ પેટમાં દુઃખાવાની ફરિયાદ કરતાં માતા તેને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી. જ્યાં તપાસ બાદ ફરજ પરના તબીબે સોનોગ્રાફી કરાવવાની સલાહ આપતાં માતા પુત્રીને લઈને સોનોગ્રાફી સેન્ટર પર ગઈ હતી.
જ્યાં સોનોગ્રાફી દરમ્યાન બળાત્કારી૧૪ વર્ષની સગીરાના પેટમાં ૭ માસનો ગર્ભ હોવાનું તબીબે જણાવતાં માતા સ્તબધ થઈ ગઈ હતી. પુત્રીના શરીરમાં ૭ માસનો ગર્ભ ઉછરી રહ્યો હોવાનું જાણી માતાએ તેની પૂછપરછ કરતાં પુત્રીએ સઘળી હકીકત જણાવી પોતાની કોખમાં રહેલું બાળક પિતાની હવસનો જીવતો જાગતો પૂરાવો હોવાનું જણાવ્યું હતું. ગર્ભવતી પુત્રીને વેણ ઉપડતાં નડિયાદ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સ્ત્રી રોગ નિષ્ણાંત (ગાયનેકોલોજીસ્ટ) પાસે લઈ જવામાં આવી હતી. જ્યાં તેણે અધૂરા મહિને એક પુત્રને જન્મ આપ્યો હતો. બાળકના રડવાના અવાજથી સમગ્ર હોસ્પિટલ ગુંજી ઉઠયું હતું, જોકે ત્યારબાદ બાળક કાયમ માટે મૌન થઈ જશે તેનો તબીબ કે તેમના સ્ટાફે સ્વપ્નેય વિચાર નહોતો કર્યો. ૧૯ - ૪ - ર૦૧ર ના રોજ સગીર વયની બાળાએ પુત્રને જન્મ આપ્યા બાદ તેજ દિવસે તેને દફનાવી દેવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગત પોલીસ તપાસ દરમ્યાન બહાર આવી છે. પોલીસ પૂછપરછ દરમ્યાન ડિલીવરી કરાવનાર તબીબે બાળક જીવતુ જ જન્મું હોવાનું જણાવ્યું હતું.
આજે નડિયાદ શહેરમાંથી પોલીસે નરાધમ પિતાને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન જાણવા મળેલ હકીકતના આધારે પોલીસે નડિયાદ શહેરમાં આવેલ અલોલકશા કબ્રસ્તાનમાં જઈ સગીરાના નવજાત પુત્રને કબર બનાવી જ્યાં દાટી દેવામાં આવ્યો હતો તે કબર ખોદાવી તેમાંથી બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. એકમાસ ઉપરાંતનો સમય વિતી ગયો હોઈ બાળકનું શબ વિકૃત થઈ ગયું હતું. પોલીસે બાળકના મૃતદેહનો કબજો લઈ તેને પી.એમ.માટે મોકલી આપ્યો હતો. બાળકને જીવતું જ દફનાવી દેવામાં આવ્યું હતું કે તેની હત્યા કરી તેને દફનાવી દેવામાં આવ્યું હતું તે અંગે હવે પોલીસે તપાસ હાથ ધરી છે.કઠણ હ્વદયના માનવીને પણ હચમચાવી દેનાર આ કિસ્સામાં પોલીસે હવે નરાધમ પિતાની ધરપકડ બાદ તેની હવસનો ભોગ બનેલી સગીરાની પૂછપરછના આધારે મામલાની વધુ તપાસ હાથ ધરી છે.
નરાધમ પિતા પર ચોતરફથી ફીટકારનડિયાદ શહેરના વ્હોરવાડ ખાતે રહેતા એક નરાધમ પિતાએ પોતાની જ વ્હાલસોયી કાળજાના કટકા સમાન પુત્રીને પોતાની હવસનો શીકાર બનાવી હોવાની ઘૃણાસ્પદ ઘટના પ્રકાશમાં આવી હતી. આ મામલાની તપાસ બાદ જે હકીકત બહાર આવી તે ભલભલાને હચમચાવી મૂકનારી હતી. પિતાના સતત શારિરીક શોષણનો ભોગ બનેલી સગીરાને ગર્ભ રહી ગયો હતો. તબીબી તપાસ દરમ્યાન સગીરાની કોખમાં ૭ માસનું બાળક વિકસી રહ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. સગીરાને ગત તા. ૧૯ - ૪ - ર૦૧ર ના રોજ દુઃખાવો થતાં શહેરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેણીએ ૬.૪૦ ના સુમારે એક પુત્રને જન્મ આપ્યો હતો.
તે જ દિવસે રાત્રિના સમયે આ બાળકને શહેરમાં આવેલ અલોલકશા કબ્રસ્તાનમાં દફનાવી દેવામાં આવ્યો હતો. આ હકીકત જાણી પોલીસ પણ અચંબામાં મૂકાઈ ગઈ હતી અને આજે નરાધમ પિતાને ઝડપી પાડી તેને સાથે રાખી બાળકને દફનાવવામાં આવ્યું હતું તે સ્થળે તેની કબર ખોદી તેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યું હતું. કબરમાંથી બહાર કાઢવામાં આવેલ નવજાત બાળકના મૃતદેહને જોઈને સહુ કોઈ મૌન થઈ ગયા હતા. એક નરાધમની હવસનો ભોગ એક માસુમ બાળા અને હજી જેણે આંખો પણ નહોતી ખોલી તે પહેલા જ જેને કાયમ માટે ચીરનીંદ્રામાં પોઢાવી દેવામાં આવ્યું તે નવજાત શીશુ બન્યું હતું. આ હકીકત જાણ્યા બાદ ચોતરફથી નરાધામ પિતા ઉપર સ્થાનિકો ફીટકારની લાગણી વરસાવી રહ્યા છે અને આ નરાધમને સખતમાં સખત સજા કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.તબીબે નગરપાલિકામાં નોંધણી કરાવી હતી ?
નડિયાદ શહેરમાં પિતાએ પોતાની જ પુત્રી પર પાશવી બળાત્કાર ગુજાર્યો હોવાની ચોંકાવનારી ઘટના બાદ પિતાના શારિરીક શોષણનો ભોગ બનેલી સગીરાએ અધૂરા માસે ગત તા. ૧૯ - ૪ - ર૦૧ર ના રોજ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. પોલીસ દ્વારા આ મામલે હાથ ધરવામાં આવેલી તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે બાળક જન્મ્યું તે જ દિવસે રાત્રે એટલે કે ૧૯ એપ્રિલની રાત્રે જ બાળકને શહેરના અલોલકશા કબ્રસ્તાનમાં દફનાવી દેવામાં આવ્યું હતું. બાળક મૃત્યુ પામ્યું હતું કે તેની હત્યા કરવામાં આવી હતી કે પછી તેને જીવતું જ દફનાવી દેવામાં આવ્યું હતું તે અંગેની તપાસ કરી રહેલી પોલીસ દ્વારા તબીબે બાળકના જન્મ અંગેની નગરપાલિકામાં નોંધ કરાવી હોવાની ચોકસાઈ તો કરી હતી પરંતુ બાળકના મૃત્યુ અંગેની પણ કોઈ નોંધ છે કે કેમ, બાળકને દફનાવવા ગયા ત્યારે તેનું ડેથ સર્ટીફિકેટ હતું કે કેમ ? હતું તો આ ડેથ સર્ટીફિકેટ કોણે આપ્યું હતું ? તે અંગેની તપાસ પણ હાથ ધરવામાં આવે તે જરૂરી છે.