રાજકોટ, તા.૨૯
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મરણ પથારીએ પડેલા પરીક્ષા વિભાગની કામગીરી સુધારવાના બદલે અધિકારી અને પદાધિકારીઓનું પ્રતિનિધિ મંડળ ઓનલાઈન કામગીરીના અભ્યાસ માટે બેંગ્લુરુના પ્રવાસે આજે ઉપડી ગયું હતું. મહાનગરપાલિકાનો ફરવાનો ચેપ યુનિ.માં પણ પ્રસરી ગયો છે.
- પરીક્ષકોના વિભાગમાં પાયાની કામગીરી થતી નથી અને ઓનલાઈન કામગીરી માટે અખતરા
- સૌથી ખરાબ પરીક્ષા વિભાગને સુધારવા માટે અભ્યાસ કરવા
પૂર્વ કુલપતિ ડો.જોષીપુરાએ બી.એડ.માં ઉત્તરવહી કોમ્પ્યુટર સ્ક્રીન પર તપાસવાનો પ્રયોગ કર્યો હતો. બેંગ્લુરુની માઈન્ડ લોજીક નામની કંપનીએ નિદર્શન કરી બતાવ્યું હતું. પરંતુ બાદમાં ગમે તે થયું આ પ્રોજેક્ટ અભેરાઈએ ચડી ગયો હતો.
હાલના સત્તાધિશોએ આ પ્રોજેક્ટની ધૂળ ખંખેરીને જરા જુદી રીતે જીવંત કર્યો છે. સિન્ડીકેટ સભ્ય ભીમાણી, શુકલ, રૂપાણી, પરીક્ષા નિયામક મામતોરા, આસી.રજીસ્ટ્રાર પંડયા, કોમ્પ્યુટર વિભાગના જોબનપુત્રા સહિત સાત સભ્યો આજે આ કંપનીની કામગીરીનો અભ્યાસ કરવા બેંગ્લુરુ પહોંચી ગયા હતા. પરીક્ષા વિભાગની ઉત્તરવહી તપાસવાને બાદ કરતા તમામ કામગીરી ઓનલાઈન કઈ રીતે કરી શકાય તેનો અભ્યાસ કરાશે. સભ્યો વ્યક્તિગત ખર્ચે ગયા હોવાનો બાલિશ બચાવ કુલપતિએ કર્યો હતો.
પરીક્ષા વિભાગ છબરડા માટે કુખ્યાત છે. એક પરીક્ષક દારૂ પીને ઉત્તરવહી તપાસવા આવ્યા હતા. એક પરીક્ષક માત્ર એક કલાકમાં ૧૦૦ ઉત્તરવહી તપાસી ગયા હતા. પેપર સેટર બી.એડ.માં અંગ્રેજી વર્ઝન કાઢતા ભૂલી જાય છે તો સંસ્કૃતનું પેપર રદ કરવું પડે તે રીતે જુદા વિષયનું પેપર નીકળે છે. હિન્દીના પેપરમાં સેમેસ્ટર-૧નો પ્રશ્ન પૂછી નાખવામાં આવે છે. વિધાર્થિની ઉત્તરવહી ઘરે લઈ જવાનો બનાવ પણ અહીં બને છે.
પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર સેટરને પેપર કાઢવાનો ઓર્ડર આપવામાં આવે છે. જેને અગાઉથી જાણ કરવામાં આવે છે તે સમયસર પેપર પહોંચાડતા નથી. ક્યાંક પેપર મોડા મળે છે.
તો પેપરની કોથળી કાયમ માટે વ્હેલી ખોલી નાખવાની ફરિયાદ આજ સુધી દૂર થઈ નથી. માત્ર ઉત્તરવહીમાં લીટા મારીને માર્ક મૂકી દેવામાં આવે છે.
પરીક્ષા નિયામક કદી કોઈના ફોન ઉપાડતા નથી. પરીક્ષા વિભાગના તમામ કર્મચારીઓને પેપર સોર્ટિગમાં ગોઠવી દેવામાં આવે છે. સવારે ૮ વાગ્યાથી માંડીને રાત્રિના ૯, ૧૦, ૧૧, ૧૨ વાગ્યા સુધી કામગીરી ચાલતી રહે છે. પરીક્ષા વિભાગ એકપણ કાર્યવાહી તેના નિયત સમયમર્યાદામાં કરતો નથી. પરીક્ષા નિયામક પાયાની આ કામગીરીઓ સુધારી શકતા નથી તે કઈ રીતે ઓનલાઈન કામગીરી અમલમાં મૂકી શકશે ?
સુકેબના ચેરમેને સ્નાતક કક્ષાના પાંચ અભ્યાસક્રમ માટે મધ્યસ્થ પ્રવેશ સમિતિ રચ્યા બાદ યુનિ.ને પારોઠના પગલાં ભરવા પડયા હતા. છતાં તેમને વધુ એક પ્રોજેક્ટમાં સમાવાયા છે.
સૌથી ખરાબ વિભાગમાં સારા માણસોને એક પછી એક દૂર કરવામાં આવ્યા છે. અનુભવી માણસોને દૂર કરી નવા નિશાળીયાને ભરતી કરીને સત્તાધિશો શું કરવા માંગે છે ?
વિદ્યાર્થી કલ્યાણના બદલે ઓનલાઈન કામગીરીના અભ્યાસના બહાને પદાધિકારી અને અધિકારી ઉનાળાની ગરમીમાં રાહત મેળવશે. યુનિ. પાસે પોતાના કોમ્પ્યુટર પ્રોગ્રામરો, ટેકનિકલ માણસો તેમજ કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટ પણ છે. તેની પાસે કામગીરી લેવાના બદલે છેક બેંગ્લુરુ માત્ર અભ્યાસ માટે જવાનો નુસ્ખો યુનિ.ને ભારે પડશે તેમ શિક્ષણ જગત માને છે.