Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 11:20:41 AM IST
 

વિવિધ રાશિઓ વચ્ચે પ્રેમ સંબંધ કેવો રહેશે ?

May 30, 2012 Supplements > Nakshatra
 
comment     E-Mail     Print    
 
Viewed: 21066
Rate: 3.2
Rating:
Bookmark The Article

કવર સ્ટોરી - જ્યોતિષાચાર્ય મનહરપ્રસાદ ભાવસાર

સુખી દાંપત્યજીવન આપણા જીવનનો મૂળ આધાર હોય છે. જો દાંપત્યજીવનમાં સુખ જ ન હોય તો જીવન નરક સમાન બની જાય છે. દાંપત્યજીવનનું માધુર્ય જળવાઈ રહે તેમજ પતિ-પત્ની વચ્ચે અગાઢ પ્રેમની ધારા વહેતી રહે તેવા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને જ આપણી સંસ્કૃતિમાં લગ્નપૂર્વે કુંડળી મેળવવાની પ્રથા પ્રચલિત બની હતી. કુંડળી મેળવવાની પદ્ધતિ ઉપરાંત રાશિઓ દ્વારા પણ જાણી શકાય છે કે ચોક્કસ રાશિઓ ધરાવતી વ્યક્તિઓ વચ્ચે પ્રેમ સંબંધ કેટલી હદે સફળતાપૂર્વક જળવાઈ રહેશે. વિવિધ રાશિઓ ધરાવતી વ્યક્તિઓ વચ્ચે પ્રેમ સંબંધ અલગ-અલગ પ્રકારનો હોય છે. કેટલીક રાશિ ધરાવતી વ્યક્તિઓમાં પ્રેમ વધારે હોય છે અને લાંબો સમય ટકી રહે છે જ્યારે અમુક રાશિઓ ધરાવતી વ્યક્તિઓમાં પ્રેમ ઓછો હોય છે અને અમુક સમય પછી તેનો અંત આવી જાય છે. આથી જરૂરી છે કે દાંપત્યજીવનમાં ડગલાં માંડનાર વર અને વધૂની રાશિઓ પર આપણે એક નજર નાખીએ અને તેમની વચ્ચેના પ્રેમસંબંધોના રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ.

મેષ રાશિ

મેષ રાશિ ધરાવતી વ્યક્તિઓ આકર્ષક અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતી હોવાને કારણે ઉતાવળમાં પ્રેમ કરી બેસે છે. પણ આવી વ્યક્તિઓનો પ્રેમ લાંબો સમય ટકતો નથી. આવા લોકો રોમાન્સ ઓછો પસંદ કરે છે પણ શારીરિક સંબંધ સ્થાપવાનું વધારે પસંદ કરે છે. મેષ રાશિની વ્યક્તિઓનો દેખાવ રૂઆબદાર અને પૌરુષસભર હોય છે. પરિણામે દરેક પ્રકારની યુવતીઓ તેમના તરફ આર્કિષત થાય છે. આ રાશિ ધરાવતી વ્યક્તિઓ પતિ-પત્ની તરીકે સારા સંબંધો જાળવે છે. આવી વ્યક્તિઓનો સ્વભાવ રોમેન્ટિક અને કાવ્યપ્રેમી હોવાને કારણે તેમના જીવનસાથી તેમની સાથે ક્યારેય કંટાળાનો અનુભવ કરતાં નથી. તેમની સાથે રહીને તેઓ મનોરંજન મેળવે છે.

વૃષભ રાશિ

આવી વ્યક્તિઓ ઝડપથી પ્રેમ પ્રસંગ ઊભો કરવા માટે સક્ષમ હોય છે. તેઓ સુખી જાતીય જીવન ભોગવે છે. તેમ જ પ્રેમમાં થોડા ભાવુક થઈ જાય છે. તેમની વફાદારી અને પ્રેમમાં શંકાને કોઈ સ્થાન હોતું નથી. આવી વ્યક્તિઓના સંબંધો લાંબા ગાળાના અને હંમેશાં ટકી રહે તેવા હોય છે. આવી વ્યક્તિઓ છૂટાછેડા (ડિવોર્સ)ના કટ્ટર વિરોધી હોય છે. લગ્નજીવન ટકાવી રાખવાના અને સુખી વિવાહિત જીવન જીવવાના હિમાયતી હોય છે. તેઓ પોતાના જીવનસાથીનો સહારો બને છે અને દૃઢ નિર્ણયશક્તિ ધરાવતા હોય છે.

મિથુન રાશિ

આ રાશિની વ્યક્તિઓ પોતાનાં અનેક પ્રેમ પ્રકરણો અને લગ્નોને કારણે લોકોમાં જાણીતી થાય છે. આવી વ્યક્તિઓ ખોટો પ્રેમ કરતી હોય છે અને લોકોનું હૃદય ભંગ કરવામાં કુશળ હોય છે. આવી વ્યક્તિઓ કોઈ એકની સાથે સંબંધ ટકાવી શકતી નથી અને દરેક વ્યક્તિને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયત્ન કરે છે. આવી વ્યક્તિઓના મતે લગ્ન એ સુખી પરિવાર, ઘર, બાળકો અને નિશ્ચિત આવક નથી તેમ છતાં આવી વ્યક્તિઓએ તેમના આ પ્રકારના વિચારોનું પુનરાવલોકન કરવું પડશે જેથી કરીને તેઓ એક સુખી લગ્નજીવન માણી શકશે. આવી વ્યક્તિઓને કદાચ લગ્ન કરવાથી નિરાશા ઉત્પન્ન થાય છે તેમ છતાં પોતાની પત્ની કે પતિ બાળકો વગેરેને પ્રેમ કરવા માટે તેમને એક વિશ્વસનીય જીવનસાથીની જરૂર પડે છે.

કર્ક રાશિ

આ વ્યક્તિઓ મૂડી હોવાથી હંમેશાં એક સારો પ્રેમસંબંધ ટકાવી શકતી નથી. આ વ્યક્તિઓ પોતાના નિર્ણયને વળગી રહી શકતી નથી. તેઓ તેમના જીવનસાથીની ભાવનાની કદર તો કરે છે પણ તેમના નિર્ણયોમાં દૃઢતા જોવા મળતી નથી. આવી વ્યક્તિઓએ તેમના લગ્નજીવનમાં માતા-પિતાને દખલગીરી ન કરવા દેવી જોઈએ. નહિતર તેમનું લગ્નજીવન જોખમમાં મુકાવવાની શક્યતા રહે છે. તેમ છતાં આવી વ્યક્તિઓને સારા પ્રેમી તરીકે ઓળખવામાં આવે છે. રોજિંદા જીવનમાં આવતાં પરિવર્તનોને શાંતિપૂર્ણ રીતે અપનાવી લે તો લગ્નજીવનમાં તેઓ ખૂબ સફળ થઈ શકે છે.

સિંહ રાશિ

આ રાશિની વ્યક્તિઓ દરેક પ્રવૃત્તિ એક ચોક્કસ અવાજ દ્વારા કરે છે. પરિણામે વિજાતીય વ્યક્તિ તેની તરફ આપમેળે જ આર્કિષત થાય છે. આવી વ્યક્તિઓ પ્રેમ કરવામાં નિપુણ હોય છે. તેઓ પોતાનાં પ્રેમપ્રકરણોમાં પોતાનું પાત્ર કુશળતાપૂર્વક નિભાવે છે. તેઓના વ્યક્તિત્વમાં અનેરું આકર્ષણ હોય છે અને તેઓ દરેક રીતે એક આદર્શ પ્રેમી પુરવાર થાય છે. એટલે કે ભાવનાત્મક પ્રેમ અને શારીરિક પ્રેમ બંને બાબતમાં તેઓ એક સારા જીવનસાથી નિવડે છે. તેઓ લગ્ન અને જીવનસાથી પ્રત્યે વફાદાર રહે છે, પરંતુ તેઓ પોતાનો હક્ક અને અધિકાર જતો કરતાં નથી. આવી વ્યક્તિઓ મનમોજી હોય છે.

કન્યા રાશિ

આ રાશિની વ્યક્તિઓની ગણતરી દુનિયાના મહાન પ્રેમીઓમાં કરી શકાતી નથી. પ્રેમ અને લગ્ન સંબંધી તેમની વિચારધારા પરંપરાગત અને રૂઢિવાદી હોય છે. તેઓને સુખ-સમૃદ્ધિ વગેરેની ખૂબ ઇચ્છા હોય છે અને આવી સુખ-સમૃદ્ધિ તેમના જીવનમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. તેઓ બહુ આકર્ષક વ્યક્તિત્વ ધરાવતાં નથી, પણ એક વફાદાર અને વિશ્વસનીય જીવનસાથી પુરવાર થાય છે. આવી વ્યક્તિઓના સંબંધો ગાઢ અને મજબૂત હોય છે. તેઓ પોતાના જીવનસાથીમાં પણ તે જ ગુણોને શોધે છે જે તેમનામાં રહેલા હોય છે. આ વ્યક્તિઓ માટે એક સ્વચ્છ ઘર અને સારું એવું બેન્ક બેલેન્સ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આવી વ્યક્તિઓના જીવનમાં જાતીય સમસ્યાઓ મુશ્કેલી ઊભી કરી શકે છે.

તુલા રાશિ

આ રાશિના લોકો આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે અને લોકોને તેમની તરફ આર્કિષત કરે છે. વળી આવી વ્યક્તિઓનો સંગાથ અન્ય વ્યક્તિઓને આનંદ આપે છે. પણ આવી પરિસ્થિતિ કેટલીક વાર ઝઘડા અને વાદ-વિવાદનું કારણ બને છે. જોકે તેઓ આવા ઝઘડાઓનો અને વાદ-વિવાદોનો શાંતિપૂર્વક નિકાલ લાવી દે છે. આવી વ્યક્તિઓને વિજાતીય વ્યક્તિઓ તરફનું આકર્ષણ સ્વાભાવિક અને શાંત હોય છે. તેઓ દરેક પ્રકારની વ્યક્તિઓ સાથે સંબંધ કેળવવવા ઇચ્છે છે, પરંતુ જો તેઓ વિજાતીય વ્યક્તિઓ તરફ લાંબા સમય સુધી આકર્ષણ અનુભવે તો તેઓની સહજતા અને સરળતા પ્રત્યે શંકા વ્યક્ત કરવામાં આવે છે. તેથી તેઓ લોકોનો વિશ્વાસ ગુમાવે છે. તેઓના જીવનસાથી તેમની ઇર્ષા કરતાં હોય છે, તેમ જ ડરનો અનુભવ પણ કરતાં હોય છે.

વૃશ્ચિક રાશિ

આવી વ્યક્તિઓ આદર્શ પ્રેમી હોય છે, પણ આદર્શ પતિ અથવા આદર્શ પત્ની બની શકતી નથી, કારણ કે તેઓમાં એક પ્રકારની અહમની અને ઈર્ષ્યાની ભાવના પણ વધારે પ્રમાણમાં હોય છે. પણ તેઓ એક સારા પોષક અને રક્ષક પુરવાર થાય છે. આવી વ્યક્તિઓ સુખી લગ્નજીવનનો આનંદ માણી શકે છે. તેમજ પોતાના પરિવાર માટે કોઈ પણ વસ્તુનો સહર્ષ ત્યાગ કરે છે. વળી તેઓ રોમેન્ટિક પ્રેમી પણ હોય છે. તેઓ પોતાના જાતીય જીવનમાં જોમવંતા અને ઉત્સાહી હોય છે. આવી વ્યક્તિઓનું શારીરિક સૌંદર્ય દરેકને આર્કિષત કરે છે અને તેમનું લગ્નજીવન ચિરસ્થાયી હોય છે.

ધન રાશિ

આ રાશિના લોકો મહાન પ્રેમી હોય છે. તેમ જ તેઓનાં પ્રેમ પ્રકરણો એકથી વધારે હોય છે. તેઓ લાગણીશીલ પણ ખુશમિજાજ પ્રેમી હોય છે. તેઓ કોઈ એક વ્યક્તિ સાથે લાંબો સમય સુધી પ્રેમ સંબંધ ટકાવી શકતા નથી. તેઓ નિતનવા ચહેરાઓ પ્રત્યે આકર્ષણ અનુભવે છે. તેઓ સારા પ્રેમી હોય છે અને વિશ્વાસઘાતી હોતા નથી. તેઓ કોઈ એક વ્યક્તિ સાથે હંમેશાં બંધનમાં રહી શકતાં નથી. તેને કારણે તેમના પ્રેમ સંબંધમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. છૂટાછેડા અને વિયોગને કારણે તેઓ દુઃખ અનુભવે છે, પણ નવા પ્રેમ સંબંધો અથવા લગ્ન સંબંધો પણ સરળતાથી બાંધી શકે છે. તેઓ પોતાના જીવનસાથીની સંભાળ લે છે અને તેમને સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે તથા તેઓ તેમના તરફથી પણ તેવી જ અપેક્ષા રાખે છે. આવી વ્યક્તિઓ તેમના જીવનસાથીને આદર-સમ્માન આપે છે. પણ કેટલીક વાર તેમના હૃદયને ઠેસ પણ પહોંચાડે છે.

મકર રાશિ

આ રાશિના લોકો મહાન પ્રેમી હોતા નથી. તેઓ પોતાના જીવનસાથીને સુરક્ષા પ્રદાન કરે છે. તેમને પ્રેમ કરવામાં ઓછો રસ હોય છે. આવી વ્યક્તિઓ પોતાના ઘર, સંપત્તિ, આરામ અને બાળકો વગેરેમાંથી આનંદ મેળવે છે, પણ સાથે સાથે જ તેમના જીવનમાં થોડો રોમાન્સ પણ જરૂરી હોય છે.

કુંભ રાશિ

આ રાશિની વ્યક્તિઓનો પ્રેમસંબંધ ચિરસ્થાયી હોય છે. તેઓ લાગણીશીલ પ્રેમી હોય છે. તેઓ અજાણી વ્યક્તિને પણ પ્રેમ કરી શકે છે. તેઓ ખૂબ જ સાવચેતીપૂર્વક અને સચ્ચાઈપૂર્વક પ્રેમ કરે છે. પરંતુ તેઓ વારંવાર પ્રેમી બદલવાની આદતને કારણે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. પરિણામે લગ્નસંબંધ તેમના માટે બહુ મહત્ત્વ ધરાવતો નથી. આવી વ્યક્તિઓ પોતાના જીવનસાથીનું દિલ તોડતાં પણ અચકાતા નથી. તેઓ પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવવા માગે છે.

મીન રાશિ

આ રાશિના લોકો એક બાજુ નિતનવા ચહેરાઓ પ્રત્યે આકર્ષણ અનુભવે છે જ્યારે બીજી બાજુ તેઓ અતૂટ અને નજીકના સંબંધો કેળવવા ઇચ્છે છે. તેને કારણે તેઓ અનેક વ્યક્તિઓ સાથે પ્રેમ સંબંધો ધરાવે છે. આવી વ્યક્તિઓનું દિલ વારંવાર તૂટે છે અને જોડાય છે. તેમનામાં પ્રેમ આપવાની અને સામેની વ્યક્તિ પાસેથી પ્રેમ મેળવવાની તીવ્ર ઇચ્છા હોય છે. તેઓ હંમેશાં ત્યાગી પ્રેમી હોતા નથી. ઘણી વાર તેઓ પોતાનાં પ્રેમ રહસ્યોને છુપાવી રાખે છે. આવી વ્યક્તિઓના નસીબમાં લગ્ન સિવાય નવું જીવન સુખમય હોતું નથી. તેમજ ઘણી વાર તેમને અયોગ્ય જીવનસાથી મળી જાય છે. આવી વ્યક્તિઓ એવા જીવનસાથીની શોધમાં હોય છે કે જેઓ તેમના તરફ સંપૂર્ણ સહાનુભૂતિ દર્શાવે પણ હંમેશાં તેઓ તેમની શોધમાં સફળ રહે છે તેવું બનતું નથી.                  

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com