સુરત તા. ૨
પલસાણા બલેશ્વરના લોકો માટે આફતરૂપ બની ગયેલી સ્પેક્ટ્રમ ડાઇઝ એન્ડ કેમિકલને જીપીસીબીએ કલોઝર નોટિસ ફટકારી છે. આ ફેક્ટરી ફરી શરૂ નહીં થાય તે માટે બલેશ્વર ગ્રૂપ ગ્રામપંચાયતે કમર કસી છે.
· બલેશ્વર ખાડીમાં એક દાયકા સુધી ગંદું પાણી છોડી
· બલેશ્વર ગ્રામ પંચાયત દ્વારા સ્પેક્ટ્રમના સંચાલકો સામે કરાયેલો આક્ષેપ
· છ માસ પહેલાં નોટિસ મળ્યા પછી પણ સ્પેક્ટ્રમના ગોરખધંધા ચાલુ રહ્યા
સ્પેક્ટ્રમમાંથી છોડવામાં આવતા ઝેરને કારણે પર્યાવરણને પારાવાર નુકસાન થયું છે. બલેશ્વર ખાડી અને આસપાસના ભૂગર્ભ જળનું પ્રમાણ પણ બગડયું છે. સ્પેક્ટ્રમ કંપનીના સંચાલકોએ છેલ્લાં ૧૨ વર્ષથી પાણીમાં ઝેર છોડી પોતાના સવાસો કરોડ રૂપિયા બચાવ્યા હોવાનું ગ્રામપંચાયત જણાવી રહી છે.
સ્પેકટ્રમ ડાઇઝ એન્ડ કેમિકલ પ્રા.લિ.ના ગોરખધંધાથી વાકેફ પલસાણા અને બલેશ્વરના રહેવાસીઓએ મક્કમતાથી લડત ઉપાડી છે. સ્પેક્ટ્રમની ગેરકાયદે પ્રવૃત્તિને કારણે લાખો લિટર પ્રદૂષિત પાણી ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે. સ્પેક્ટ્રમ અને પલસાણાના ઉદ્યોગોથી બલેશ્વર ખાડી અને તેની આસપાસના ભૂગર્ભ જળને પણ નુકસાન થઇ રહ્યું છે. સ્પેક્ટ્રમ સહિતના ઉદ્યોગોના ગોરખધંધાને કારણે આ પાણીમાં સીઓડીની માત્ર ૧૨૦૦-૧૫૦૦ સુધી પહોંચી ગઇ છે. જ્યારે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમો મુજબ આ માત્ર ૨૫૦ સુધી સીમિત રહેવી જોઇએ.
વધુમાં, છ માસ અગાઉ પણ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સ્પેક્ટ્રમના સંચાલકોને આ ગોરખધંધા બંધ કરી દેવા નોટિસ ફટકારવામાં આવી હતી. છ માસ અગાઉ રંગેહાથ પકડાઇ હોવા છતાં તે સમયે મામલો દબાવી દેવામાં સંચાલકો સફળ થયા હતા. સંચાલકોએ તંત્રની નોટિસ સામે આંખ આડા કાન કરી પર્યાવરણને નુકસાન પહોંચાડવાનો પોતાનો વેપલો ચાલુ રાખ્યો હતો. વર્ષોથી સોલિડ વેસ્ટ અને વોટર વેસ્ટના નિકાલમાં કંપની દ્વારા કાયદાનો ભંગ થતો આવ્યો છે. આમ છતાં પગલાં લેવામાં મોડું કરાયું છે. એવો મત બલેશ્વર ગ્રૂપ ગ્રામપંચાયત દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
પ્રદૂષણ ઓકતાં એકમો દ્વારા માત્ર પશું પક્ષીઓ જ નહિ પણ માનવ વસ્તીને પણ રીતસર બાનમાં લીધી છે. કાયદેસર કહો કે જરૂરી પ્રોસેસ વિના ખાડીમાં છોડાતું દૂષિત પાણી સ્થાનિક વાતારણ ઉપર દીર્ધકાલીન અસર ઉપજાવી રહ્યું છે. હાલ જે માત્રામાં પ્રદૂષણ ફેલાવાઇ રહ્યું છે એની સીધી અસર આગામી પેઢી ઉપર જોવા મળશે એવો મત નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે તંત્ર આ મામલે ગાંધારીની ભૂમિકામાંથી બહાર આવે એ આવશ્યક લેખાવાઇ રહ્યું છે.