અમદાવાદ,તા.૩
કોંગ્રેસના ગુજરાત પ્રજા વિકાસ દર્શન - ૨૦૧૨ના ભાવિ કાર્યક્રમ હેઠળ રાજ્યની મધ્યમવર્ગની મહિલાઓને ઘરનું ઘર યોજનાની જાહેરાતને ભારે પ્રતિસાદ સાંપડતાં બેબાકળા બનેલાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એક કા તીન જેવી યોજના ગણાવી આકરી ટીકા કરી હતી જેના પ્રત્યાઘાત આપતાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે,ભાજપના ૧૭ વર્ષના શાસનમાં ગુજરાતના પાંચ પચ્ચીસ ઉદ્યોગપતિ માટે એકના એક લાખ જેવી યોજના કોંગ્રેસ બંધ કરીને ઘરનું ઘર આમ પ્રજા માટે વાપરશે તે વિચાર માત્રથી મુડીપતિઓના પ્રિય મુખ્યમંત્રીને અકળામણ થાય તે સ્વાભાવિક છે.કોંગ્રેસની ઘરનું ઘર યોજનાથી સામાન્ય નાગરિકને ચેન અનુભવી રહ્યો છે પણ મુખ્યમંત્રી બેચેન બન્યાં છે.
- મધ્યમ વર્ગનાં લોકોનાં આવાસો માટે જમીન અનામત રખાશે
કોંગ્રેસ સરકાર મોટા શહેરોની આસપાસની સરકારી અને અનામત જમીનો ઉદ્યોગપતિઓને બદલે માત્ર મધ્યમવર્ગના લોકો માટે અનામત રખાશે તેવો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રીએ કચ્છમાં અદાણીને ૫ કરોડ ૪૪ લાખ ચો.મી. આર્સિયન કેમિકલ્સને સવા લાખ એકર,લાર્સન એન્ડ ટુબ્રોને સુરતમાં ૮ લાખ ચો.મી, ગાંધીનગરમાં રાહેજા બિલ્ડર્સ ૧ લાખ ચોમી. ડીએલએફ બિલ્ડર્સને ૧ લાખ ચોમી, સાણંદમાં ટાટાને પ લાખ ચોમી સહિતની અબજો ચો.મી જમીનો ૧૫ પૈસાથી માંડીને રૂ.૩૨ના ભાવે આપી દીધી છે. મોદી સરકાર ટાટાને નેનો કાર બનાવવા માટે ૩૩ હજાર કરોડ, ફોર્ડ, સુઝુકી અને પિઝો મોટર કંપનીને દરેકને ૨૦ હજાર કરોડ કરતાંયે વધુની રકમની રાહતો અને મુડીરોકાણના સાડાત્રણ ગણા રકમની લોન આપતી હોય તો કોંગ્રેસ ઘરનું ઘર યોજનાની જાહેરાત કરે તો મુખ્યમંત્રીને શેની અકળામણ થાય છે તેવો સવાલ મોઢવાડિયાએ કર્યો હતો. ગુજરાતના ૮ મહાનગરો અને ૧૫૯ મહાનગરપાલિકા વિસ્તારોમાં ઘરનુ ંઘર યોજનાના ફોર્મ ૧૫ ઓગષ્ટ પછી દરેક વોર્ડ દીઠ વિતરણ કરાશે.