ભાટીયા, તા.૬
જન્માષ્ટમીના તહેવારો નજીક આવતા જ ભાટીયામાં વીજ ધાંધિયા શરૂ થયાં છે.દિવસ કે રાત્રે ગમે ત્યારે કલાકો સુધી વીજ પૂરવઠો ખોરવાઈ જાય છે.આ કારણે સામાન્ય જન જીવન, ધંધા રોજગાર સહિતના કામકાજમાં માઠી અસર થતાં ગ્રામજનો હાલાકીમાં મુકાય રહ્યાં છે.
- દિવસ કે રાત્રે ગમે ત્યારે કલાકો સુધી ખોરવાતો વીજ પૂરવઠો
ભાટીયામાં કહે છે કે પ્રિમોન્સન કામગીરી માત્ર નામ પુરતી કદાચ કાગળ ઉપર જ થઈ હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી ગામે ત્યારે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે.વીજ પુરવઠો ખારવાઈ જાય ત્યારે વીજ તંત્રના કોઈ કર્મચારી કે અધિકારી ફરકતા નથી.આટલુ ઓછું હોય તેમ વીજ કચેરીએ લેન્ડ લાઈન પર ફોન કરવામાં આવે તો કોઈ રિસીવ કરતું નથી.ક્યારેક તો દિવસમાં કે રાત્રે બેથી ત્રણ વખત વીજ પુરવઠો ખોરવાવાના બનાવો બનતા રહે છે.આ કારણે બેન્કીંગ વ્યવહાર, સરકારી કચેરીના કામકાજ ઠપ્પ થઈ જાય છે.
ધંધા રોજગાર પર પણ માઠી અસર થાય છે.ખાસ તો અનાજ દળવાની ચક્કી કલાકો સુધી બંધ રહેતા રોજે રોજનું કમાઈ ખાનાર વર્ગ મુશ્કેલીમાં મુકાય જાય છે.આ વિસ્તારમાં અનેક ઉદ્યોગો વિકસ્યા હોવાથી અનેક મજુર વર્ગ અનાજ દળાવવા આવે ત્યારે વીજ કાપ હોય તેમની મુશ્કેલીનો પર રહેતો નથી.હવે તો લોકો સામાન્ય કામકાજ ખાનગી ધોરણે ગાંઠના પૈસા ખર્ચીને કરાવી રહ્યાં છે.
વીજ કચેરીના અમુક કર્મચારીઓ અને અધિકારીઓ બહાર ગામથી અપડાઉન કરતા હોવાથી અનેક વાર મોડા આવવું અને વહેલા જતા રહેવું તેમજ ગુટલી મારતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે.વીજ ત્રના આવા રેઢીયાળ વહીવટથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયાં છે.