બેઈજીંગ, તા. ૭
ચીનમાં ફસાયેલા બે ભારતીય વેપારીઓમાંથી એકને તેના પરિવારને મળવા માટે ભારત આવવાની મંજુરી મળી ગઈ છે. દીપક રહેજા અને શ્યામસુંદર અગ્રવાલ નામના ભારતીય વેપારીઓ જાન્યુઆરી મહિનાથી ચીનમાં ફસાયા છે.
ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતુ કે ચીનની સરકારે દીપકને એક મહિના માટે ભારતમાં તેમના પરિવારને મળવા આવવા માટે મંજુરી આપી છે. ગયા મહિનામાં દીપકના પિતાનું મૃત્યું થયું હોવાથી આ મંજુરી આપવામાં આવી છે. ચીનની સરકારે દીપકના સાથી શ્યામસુંદરને ભારત આવવાની મંજુરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. અગ્રવાલે મુંબઈમાં તેની બિમાર પત્નીને મળવા આવવા માટે મંજુરી માગી હતી.
રહેજાએ જણાવ્યું કે તે તેના ઘર હૈદ્રાબાદ જવાની યોજના બનાવી રહ્યો છે. તેને માત્ર એક મહિના માટે ભારત આવવાની મંજુરી આપવામાં આવી છે અને મહિના બાદ ચીન પરત ફરીને કાનુની કાર્યવાહીનો સામનો કરવો પડશે. બંને વેપારીઓ હાલ શાંઘાઈમાં રહે છે, રહેજા પરત ફરશે ત્યા સુધી અગ્રવાલે પણ કાનુની કાર્યવાહી માટે રાહ જોવી પડશે. આ બંને ભારતીયોને ચીનના કોર્મશિયલ હબ ગણાતા યીવુ શહેરમાંથી સ્થાનિક વેપારીઓની ચુંગાલમાંથી છોડાવવામાં આવ્યા હતા.