વોશિંગ્ટન, તા. ૭
ગુરૂદ્વારા હુમલામાં બે વ્યક્તિની સંડોવણીનો એફબીઆઈનો ઈન્કાર
અમેરિકાના વિસ્કોનસીન ગુરૂદ્વારામાં ભૂતપૂર્વ અમેરિકી સૈનિક દ્વારા કરાયેલા અંધાધૂંધ ગોળીબારની ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં વિદેશપ્રધાન એસ. એમ. કૃષ્ણાએ અમેરિકી સરકાર પાસે અમેરિકામાં રહેતાં ભારતીયોની સલામતીની ખાતરી માગી છે. સોમવારે મોડી રાત્રે કૃષ્ણાએ અમેરિકી વિદેશપ્રધાન હિલેરી ક્લિન્ટન સાથેની ટેલિફોનિક વાતચીતમાં આ ઘટના અંગે ભારત તરફથી ચિંતા વ્યક્ત કરી હતી. મંગળવારે કૃષ્ણાએ કહ્યું હતું કે, 'મેં ગુરૂદ્વારા પરના હુમલા અંગે ભારતની ચિંતાની રજૂઆત કરી છે તથા ઓબામા સરકાર પાસે ત્યાં રહેતા ભારતીય સમાજની સલામતીનું આશ્વાસન માગ્યું છે.' તેમણે ધાર્મિક સ્થળો પર નિર્દોષોની હત્યા અંગે ભારતની ચિંતા પણ રજૂ કરી હતી. બીજી તરફ અમેરિકી ઇન્વેસ્ટિગેશન એજન્સી એફબીઆઇએ લગભગ ૩૨ કલાકની તપાસ અને પૂછપરછ બાદ જણાવ્યું હતું કે, હુમલો એક વ્યક્તિ દ્વારા જ કરાયો હતો. એજન્સીએ હુમલામાં બીજી કોઈ વ્યક્તિ હોવાનું નકાર્યું હતું. મૃતદેહને ભારત લાવવાનો ખર્ચ પંજાબ સરકાર ઉપાડશે તેમ મુખ્યપ્રધાન બાદલે જણાવ્યું હતું.
અમેરિકનોએ આત્મમંથન કરવાની જરૂર : ઓબામા
અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ અમેરિકીઓને આત્મમંથન કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. જે પણ થયું છે તેનાથી અમે બધા હૃદયભગ્ન છીએ. હું ઇચ્છું છું કે, કડક કાયદાની સાથે સાથે સમુદાયો, ધાર્મિક ગુરૂઓ અને પદાધિકારીઓએ સાથે મળીને નક્કી કરવું જોઈએ કે આવી હિંસક ઘટનાઓને કેવી રીતે ડામી શકાય.'