રાજકોટ તા.૭ :
આખા સૌરાષ્ટ્રમાં વરસાદની રાહ વચ્ચે શ્રાવણ માસ ઉતરાર્ધ તરફ ગતિ કરી રહ્યો છે. આમ છતાં મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. વણલખ્યા દુષ્કાળની સ્થિતિ સર્જાઈ ગઈ છે. આની વચ્ચે પણ સૌરાષ્ટ્રની તહેવાર અને ઉત્સવઘેલી પ્રજા જન્માષ્ટમી ઉજવવા માટે તત્પર બની છે. ઘડી ભર દુઃખ ભુલી જઈ હતાશા છોડીને તહેવાર ઉજવવા જનજીવન સાબદું બન્યું છે. સૌરાષ્ટ્રમાં તા.૮ થી ૧૧ સુધી અનેક જગ્યાએ મેળાઓનું આયોજન થયું છે. પરંપરાગત રીતે આશરે ૫૦ થી વધુ સ્થળોએ લોકમેળાઓ આયોજિત થયા છે. જન્માષ્ટમી બાદ શ્રાવણી અમાસ નિમિતે તા.૧૮ અને ૧૯ મોરબી રફાળેશ્વર અને પાટણવાવ ઓસમ ડુંગર પર માત્રી માતાજીના સાનિધ્યમાં લોકમેળો યોજાશે.
- અપૂરતા વરસાદથી સર્જાયેલી ચિંતાઓ ભૂલી લોકો આનંદ માણશે
- ૧૮, ૧૯મીએ મોરબી રફાળેશ્વર, પાટણવાવ ઓસમ ડુંગર પર લોકમેળો
રાજકોટ : શહેરમાં રેસકોર્સ મેદાનમાં જિલ્લા કલેકટર તંત્ર દ્વારા તા.૮ થી ૧૨ સુધી લોકમેળો યોજાયો છે. આ ઉપરાંત દોઢસો ફુટ રિંગરોડ પર બે ખાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રતનપર અને ઈશ્વરિયામાં પણ આ દિવસો પણ મેળાઓ યોજાશે. રાજકોટ જિલ્લામાં રાજકોટ ઉપરાંત દશ સ્થળોએ લોકમેળા આયોજિત થયા છે. જેમાં વાકાનેરમાં તા.૯ થી ૧૩ સુધી, પડધરીમાં માત્ર તા.૧૦મીએ ગોંડલમાં આ સાલ પાલિકાએ લોકમેળો કેન્સલ કર્યો છે. પણ દાસી જીવણ પાર્ટી પ્લોટમાં મેળો આયોજિત થયો છે.
તાલુકાના દાળિયામાં દાળેશ્વર મહાદેવ મંદિરની સમીપે તા. ૧૦મીએ એક દિવસ લોકમેળો છે. જસદણ તાલુકામાં જસદણ શહેરના અંબાજી મંદિરે આટકોટ આંબરડીમાં અને ઘેલાસોમનાથ મહાદેવ ખાતે તા.૧૦મીએ એક દીવસ લોકમેળો આયોજિત કરાયો છે. કોટડાસાંગાણી સદગુરૂ મંદિરે તા. ૯ થી ૧૨ ચાર દિવસ સુધી મેળો યોજાશે. લોધિકા તાલુકાના પારડી અભેપર ખોડીયાર મંદિરે તા.૧૦મીએ એક જ દિવસ લોકમેળો યોજવાનું આયોજન થયું છે.
જેતપુર શહેરમાં પરંપરાગત રીતે યોજાતા જીમખાના ગ્રાઉન્ડમાં તા. ૮ થી ૧૩ સુધી મેળો રહેશે. ધોરાજી શહેરમાં મેળાના મેદાનમાં તા. ૮ થી ૧૧ સુધી ચાર દીવસ લોકમેળો યોજાશે જે આવતી કાલથી ચાલુ થઈ જશે. ઉપલેટામાં મોજનદીના કાંઠે આવેલા સોમનાથ મહાદેવ મંદિરે તા. ૯ થી ૧૧ સુધી નદીના પટમાં ત્રણ દીવસ સુધી મેળો યોજાશે.
અમરેલી : જન્માષ્ટમી નિમિતે અમરેલી શહેરમાં નૂતન હાઈસ્કુલના પટાંગણમાં લાયન્સ કલબના ઉપક્રમે તા. ૮ થી ૧૨ સુધી અને ફોરવર્ડ હાઈસ્કુલ મેદાનમાં સારહી ગૃપ દ્વારા તા. ૧૨ સુધી લોકમેળો યોજવાનું આયોજન થયું છે. આવી જ રીતે જિલ્લાના રાજુલામાં માર્કેટ યાર્ડ ખાતે રૂદ્રગણ ગૃપ દ્વારા તા. ૧૩મી સુધી લોકમેળો યોજવામાં આવશે. સાવરકુંડલામાં શહેર ભાજપ દ્વારા આંખની હોસ્પિટલ ખાતે તા.૧૩મી સુધી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જુનાગઢ : જુનાગઢ જિલ્લામાં સાતમ આઠમ દરમિયાન લોકમેળાઓનું બહુ મહત્વ નથી.પણ દરેક શહેરમાં કૃષ્ણ જન્મ ભવ્ય રીતે ઉજવાશે. ચોરવાડમાં સાતમના દિવસે દરિયાકિનારે લોકો એકઠા થઈ જાય છે અને લોકમેળા જેવું વાતાવરણ સર્જાઈ જાય છે. પ્રભાસપાટણમાં આખો શ્રાવણ માસ સોમનાથ મંદીર આસપાસ મેળા જેવું જ વાતાવરણ રહ્યુ છે.
પોરબંદર : પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે તા. ૯ થી ૧૩ દરમિયાન સમુદ્રની લહેરો વચ્ચે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાભરના લોકો ભાગ લેશે અને મોજ મસ્તી કરશે.
જામનગર : જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ મ્યુ.કોર્પોરેશન દ્વારા તા.૮થી ૧૧ સુધી મેળો યોજાશે. તા.૮ થી ૧૧ જામજોધપુર ખાતે ગૌશાળા મેદાનમાં મેળો યોજાશે. આઠમના દિવસે જોડિયાના કનકેશ્વર મહાદેવ મંદિરે મેળો યોજાશે. આવી જ રીતે ભાણવડમાં દુધેશ્વર મંદીર ગ્રાઉન્ડમાં આઠમનો મેળો થશે.
શહેર તારીખ સ્થળ
* રાજકોટ ૮ થી ૧૨ રેસકોર્સ મેદાનમાં
* વાંકાનેર ૯ થી ૧૧ જડેશ્વર રોડ પર નગરપાલિકા મેદાનમા
* દાળિયા ૧૦ દાળેશ્વર શિવાલય નજીક
* જસદણ ૧૦ અંબાજી મંદિરે
* આટકોટ ૧૦ મેળાના મેદાનમાં
* ઘેલા સોમનાથ ૧૦ મીએ શિવાલય સમીપે
* કોટડાસાંગાણી ૯ થી ૧૨ સદગુરૂ મંદિરે
* પારડી (લોધિકા) ૧૦ ખોડીયાર માતાજી મંદિર
* જેતપુર ૮ થી ૧૨ જીમખાના ગ્રાઉન્ડ
* ધોરાજી ૯ થી ૧૧ મેળાના મેદાનમા
* ઉપલેટા ૯ થી ૧૧ મોજ નદીના પટમાં
* જામનગર ૮થી ૧૧ પ્રદર્શન મેદાનમાં
* રાવલ ૮ થી ૧૧ શિતળા માતાજી મંદિરે
* ભાણવડ ૧૦ દુધેશ્વર, શીતળા માતાજી મંદિરે
* જામજોધપુર ૮ થી ૧૧ ગૌશાળા મેદાનમાં
* જોડિયા ૧૦ કનકેશ્વર મહાદેવ મંદિર
* પોરબંદર ૯ થી ૧૩ ચોપાટી ગ્રાઉન્ડ
* અમરેલી ૮ થી ૧૨ નૂતન હાઈસ્કુલ, ફોરવર્ડ હાઈસ્કુલ
* રાજુલા ૮થી ૧૩ માર્કેટ યાર્ડ
* સાવરકુંડલા ૯ થી ૧૩ આંખની હોસ્પિટલ મેદાન