નવી દિલ્હી, તા. ૯
૨૦૧૩માં આર્થિક વિકાસદર ૬ ટકા રહેવાની શક્યતા
વૈશ્વિક અર્થતંત્રની ખોડંગાતી સ્થિતિ, સરકારની દિશાવિહીન આર્થિક નીતિઓ, નબળું ચોમાસું અને રોકાણકારોએ ગુમાવેલો વિશ્વાસ જેવાં પરિબળોને કારણે આ વર્ષે ભારતનો આર્થિક વિકાસદર ઘટીને ૫.૫ ટકા રહેશે તેમ મૂડીઝે જણાવ્યું હતું, જો કે ૨૦૧૩માં આર્થિક વિકાસદર ૬ ટકા રહેશે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે. અગાઉ મૂડીઝે ૬.૨ ટકાનો વિકાસદર અંદાજ્યો હતો
મૂડીઝના સિનિયર અર્થશાસ્ત્રી ગ્લેન લેવિને જણાવ્યું હતું કે ઊંચો આર્થિક વિકાસદર હાંસલ કરવા રિઝર્વ બેન્ક દ્વારા નીતિવિષયક પીઠબળ ઘણું ઓછું છે. સરકારની નીતિઓ દિશાવિહીન છે અને વિશ્વનું અર્થતંત્ર ડામાડોળ છે, આવા સંજોગોમાં આર્થિક વિકાસદર ઝડપથી વધે તેવા કોઈ અણસાર દેખાતા નથી.
જૂનથી સપ્ટેમ્બરમાં ભારતનું ચોમાસું પણ ધારણા કરતાં નબળું રહ્યું છે. અનેક વિસ્તારોમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો પડયો છે, જે આર્થિક વિકાસની ગતિને ધીમી પાડશે તેમ મૂડીઝે કહ્યું હતું.
દેશમાં વરસાદ સામાન્ય કરતાં ૨૦ ટકા ઓછો પડયો છે, આને કારણે અનાજનાં ઉત્પાદનમાં ઘટાડો થશે અને ગ્રામીણ સ્તરે લોકોની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે, જેની સીધી અસર ચીજવસ્તુઓની માગ પર પડશે અને અનાજના ભાવમાં વધારો થશે.
મૂડીઝે કહ્યું હતું કે ૨૦૧૩ની શરૂઆતમાં ઈકોનોમીમાં રિકવરીની શક્યતા છે. આ પછી ગ્રોથરેટમાં વધારો થઈ શકે છે.
ચાલુ નાણાકીય વર્ષમાં પહેલા ક્વાર્ટરનો જીડીપી ગ્રોથ નવ વર્ષમાં નીચામાં નીચી સપાટીએ રહ્યો હતો. બીજા ક્વાર્ટરમાં પણ સ્થિતિમાં સુધારો થાય તેવી શક્યતા ઓછી છે. ડિસેમ્બર પછી સ્થિતિમાં સુધારો થશે તેવી ધારણા મૂડીઝે વ્યક્ત કરી હતી.
ચીજવસ્તુઓની નબળી માગને લીધે ભારતીય કંપનીઓનો વિશ્વાસ ડગમગી ગયો છે. વ્યાજદરમાં વધારો, ઊંચો ફુગાવો જેવા પ્રતિકૂળ પરિબળોને કારણે વિકાસની ગાડી આડા પાટે ચડી ગઈ છે, આવા સંજોગોમાં જો સરકાર અને વડાપ્રધાન ઈકોનોમીને વેગ આપવાનાં ઝડપી પગલાં નહીં લે તો સ્થિતિ સુધરતાં સમય લાગશે તેવું રેટિંગ એજન્સીનું માનવું છે.
વધતી જતી અનિશ્ચિતતા અને નબળી માગને કારણે કંપનીઓ દ્વારા તેમની પ્રોડક્ટસનાં ઉત્પાદનમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. નવું મૂડીરોકાણ પણ સ્થગિત થઈ ગયું છે. ઉત્પાદનક્ષેત્રની નબળી કામગીરી અને કેપિટલ ગુડ્સ ક્ષેત્રે મંદીને લીધે જૂનમાં ઔદ્યોગિક ઉત્પાદન દર જૂનમાં ઘટીને માત્ર ૧.૮ ટકા રહ્યો હતો જે ઈકોનોમીમાં મંદી ઘેરી હોવાનો નિર્દેશ કરે છે.