નવી દિલ્હી, તા. ૯
આરોપી સામેના આક્ષેપો ગંભીર પ્રકારના છે : કોર્ટ
એમડીએલઆર એરલાઇનની ભૂતપૂર્વ એરહોસ્ટેસ ગીતિકા શર્માના આપઘાતના કેસમાં નાસતા ફરતા, હાલ બંધ થઇ ચૂકેલી આ એરલાઇનના માલિક, હરિયાણાના ભૂતપૂર્વ પ્રધાન ગોપાલ કાંડા આજે દિલ્હીની કોર્ટમાંથી આગોતરા જામીન મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. કોર્ટે કાંડાની આગોતરા જામીન માટેની અરજી ફગાવતાં જણાવ્યું હતું કે કાંડા વિરુદ્ધના આક્ષેપો ગંભીર છે.
ગીતિકાને આપઘાત માટે ઉશ્કેરવાની આરોપી, એરલાઇનની એચઆર મેનેજર રહી ચૂકેલી અરુણા ચઢ્ઢાના બે દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ માટે અન્ય કોર્ટે મંજૂરી આપ્યાની ગણતરીની મિનિટોમાં કાંડાની અરજી ફગાવાઇ હતી. એડિશનલ સેશન્સ જજ રજનીશ ભટનાગરે કાંડાની અરજી ફગાવતાં નોંધ્યું હતું કે, "કાંડા સામેના આક્ષેપો ગંભીર પ્રકારના છે, જે અંગે સઘન તપાસ થવી જરૃરી છે. તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે અને આરોપીની મુક્તિથી તપાસ અવરોધાય તેમ છે તેથી હકીકતો અને સંજોગોને ધ્યાનમાં લેતાં આરોપીની આગોતરા જામીન માટેની અરજી ફગાવવામાં આવે છે."
નોંધનીય છે કે અરુણા ચઢ્ઢાની ગઇ કાલે ધરપકડ કરાઇ હતી જ્યારે કાંડા હજુ નાસતો ફરે છે. કાંડા વતી કરાયેલી આગોતરા જામીન માટેની અરજીમાં જણાવાયું હતું કે ગીતિકા કાંડા પ્રત્યે પ્રેમ અને નફરતની મિશ્ર લાગણી ધરાવતી અતિ સંવેદનશીલ યુવતી હતી. કાંડા વતી સિનિયર એડવોકેટ કેટીએસ તુલસીએ ગીતિકાની સુસાઇડ નોટના સંદર્ભમાં કહ્યું હતું કે આ સુસાઇડ નોટ તેની વ્યથિત માનસિક હાલત દર્શાવે છે અને તે તેમના અસીલ પ્રત્યે પ્રેમ અને નફરતની મિશ્ર લાગણી ધરાવતી હતી. બીજી તરફ દિલ્હી પોલીસ વતી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર રાજીવ મોહને રજૂઆત કરી હતી કે ૨૦૦૬માં ગીતિકાએ નોકરી મેળવી ત્યારથી કાંડા તેની બિનજરૃરી તરફેણ કરતો હતો અને ગીતિકા એમિરેટ્સમાં જોડાઇ તે પછી એમડીએલઆરમાં પરત ફરવા તેના પર દબાણ લાવી રહ્યો હતો.
આઈએનએલડીના કાર્યકરોને મારવા બદલ કાંડાને સુપ્રીમની નોટિસ
ગીતિકા કેસમાં તપાસનો સામનો કરી રહેલા ગોપાલ કાંડાની મુસીબતમાં વધારો થયો છે. ૨૦૧૦માં ભારતીય રાષ્ટ્રીય લોકદળ (આઇએનએલડી)ના કાર્યકરોને માર મારવા બદલ કાંડા સામે કાનૂની કાર્યવાહીની દાદ માગતી એક અરજીના અનુસંધાને સુપ્રીમ કોર્ટે કાંડાને નોટિસ પાઠવી છે.