ભાવનગર, તા. ૯
મેઘરાજ ઓણ કોરા દિવસો કાઢી લોકોની આંખમાં અનરાધાર વરસી રહ્યો છે. મુંગા પશુઓની આંતરડીનો અવાજ પણ મેઘાને રિઝવવી નથી શક્યો ત્યારે સૌ અટકળો અને આશાઓ વચ્ચે કાળા વાદળો અને ભીના થયેલા રસ્તાઓ જોઇ કોરા આશ્વાસન મેળવી રહ્યા છે. રાજ્યના અનેક પંથકોમાં દુષ્કાળના કાળા ઓળા મંડરાયા છે ત્યારે હજારો પરિવાર હિજરત કરી રહ્યા છે. આ સંજોગોમાં નર્મદાના પાણી ચેકડેમો અને તળાવોમાં ઠલવાય તે આવશ્યક છે, શહેરના બોરતળાવ ઉપરાંત રાજપરા ખોડિયાર સહિતના જળાશયો ડૂકી ગયા છે અને ચેકડેમો પણ ખાલી પડયા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સત્વરે આ ડેમ અને તળાવોમાં પાણી ઠાલવવામાં આવે તે જરૂરી બન્યુ છે. રાજ્ય સરકારે અનેક જિલ્લાના જળાશયોમાં આ રીતે પાણી ભરી આપવાનું આયોજન કર્યું છે. તો માણસો માટે નહીં પરંતુ મુંગા પશુઓના આંતરનાદને સાંભળી પાણી અને ઘાસચારાની વ્યવસ્થા સમયસર થાય તે જરૂરી છે. આ મામલે રાજ્યના વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે ભાવનગર જિલ્લાને પુરતો ઘાસચારો મળી રહે અને નર્મદાના દરિયામાં વહી જતા પાણીથી ભાવનગર જિલ્લાના જળાશયો છલકાવવા મુખ્યમંત્રીને ટકોર કરી છે.