ભાવનગર, તા. ૯
ભાવનગર જુના બંદરથી ભાલના ગામડાઓને જોડતા રસ્તા પર ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ૧૯૯૮માં દરીયાની ખાડી પર પગેથી ચાલીને જવા માટે પુ બાંધવામાં આવ્યો હતો. જે લાકડીયા પુલના નામથી જાણીતો હતો. ૧૨૮ મીટરની લંબાઇ તેમજ ૧.૮૦ મીટર પહોળાઇ વાળો આ પુલ જુલાઇ ૨૦૦૭માં અતી ભારે વરસાદના કારણ તુટી ગયો હતો. જેથી માણસોની અવર જવર માટે રસ્તો બંધ થઇ ગયો હતો.
- ભાવનગરથી ભાલ વચ્ચે ૩૫ કિ.મી. અંતર ઘટયું
ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર દ્વારા ગુજરાત મેરી ટાઇમ બોર્ડ ગાંધીનગરની નાણાકીય સહાયથી બ્રીજનું બાંધકામ ભાવનગર ખાતેના જુના બંદરની ખાડી પર રૂપીયા ૨૭ કરોડ ૯૦ લાખના ખર્ચે ગત તા.૩૧-૮-૨૦૧૨ના રોજ પુર્ણ કરવામાં આવેલ છે. આ નવો બ્રિજ ૧૮૦ મીટરની લંબાઇ તથા ૧૧ મીટરની પહોળાઇ વાળો (ત્રણ માર્ગીય)
તેમજ બંન્ને બાજુ બે મીટર પહોળાઇની ફુટપાથ સાથે બાંધવામાં આવેલ છે.
આ કેબલ સ્ટેઇડ બ્રીજનું બાંધકામ પુર્ણ થતા ભાલના ગામડાઓ જેવાકે કાળા તળાવ, નર્મદ, ખેતા ખાટલી વિગેરે દહિયાકાંઠાના ગામડાના લોકોને જે ખેતી પશુધન તથા ઉદ્યોગમાં રોજગારી સાથે સંકળાયેલ છે, તેમને રોજીરોટી મેળવવા માટે જિલ્લાના મુખ્ય મથક સુધી આવવા માટે અગાઉ વાહન માર્ગે સનેશ (નિરમા ચોકડી) નારીચોકડી થઇ ભાવનગર આવવાનું થતું હતુ જેના બદલે હવે આ પુલનું નિર્માણ થવાથી આશરે ૩૫ કિલોમીટરનું અંતર ઘટી જશે. ભાવનગરથી ભાલમાં આવેલ ઔદ્યોગિક એકમો જેવા કે મીઠા ઉદ્યોગ, નિરમા લીમીટેડ વિગેરે ઠેકાણે જવા માટે પણ અંદાજે ૩૫ કિલોમીટરનું અંતર ઘટી જશે. ઉપરાંત ભાવનગર જુના બંદર પર આવેલ ઉદ્યોગો મીઠા ઉદ્યોગ, કેમીકલ, ઇમારતી લાકડા ઉદ્યોગ, બાંધકામ મટીરીયલ્સ અને ભાવનગરના નવા બંદર ઉપર આયાત થતો તમામ માલ સામાન વિગેરેના ટ્રાફીક અવરજવરને ભાવનગરથી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, મુંબઇ વિગેરે શહેરોમાં જવા માટે આશરે આઠ કિલોમીટરનું અંત ઘટી જશે. આ નવા બંધાયેલ પુલના કારણે ભાવનગર શહેરને નવું પ્રવેશ દ્વાર બારમાસી રસ્તા સાથે પ્રાપ્ત થયેલ છે. ભાવનગર શહેરમાંથી પસાર થતો ભારે વાહનોનો ટ્રાફીક પણ ઘમો જ ઘટી જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતનો પ્રથમ વિશ્વની આધુનિક ટેકનોલોજીની તજજ્ઞા સંસ્થા ફ્રેસીનેટ ઇન્ટરનેશનલ ફ્રાન્સે કામના તાંત્રિક તજજ્ઞા તરીકે સેવાઓ આપેલ છે.