નવી દિલ્હી, તા.૯
જાહેર ક્ષેત્રની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને એપ્રિલથી જૂનના ત્રિમાસમાં રૂ. ૨૨,૪૫૧ કરોડની જંગી ખોટ નોંઘાવી છે. શેરબજારમાં લિસ્ટેડ કંપની દ્વારા અત્યાર સુધીમાં આ સૌથી મોટી ખોટ સાબિત થઈ છે. આઈઓસીના ચેરમેન આર એસ બૌતોલાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે સબસિડી પેટે રૂ. ૨૨,૪૫૧ કરોડની ફાળવણીમાં નિષ્ફળ જતાં કંપનીએ જંગી ખોટ કરી હતી. બીએસઈ ૫૦૦માં આવેલી કંપનીઓ પૈકી આઈઓસીની ખોટ અત્યાર સુધીની સર્વોચ્ચ ખોટ હોવા ઉપરાંત કોઈપણ વર્ષમાં કંપનીની વ્યક્તિગત રીતે સૌથી મોટી ખોટ છે. દરમિયાન આઈઓસીએ ૨૦૧૧-૧૨ના બીજા ત્રિમાસમાં નોંધાવેલી રૂ. ૭,૪૮૫ કરોડની ખોટ કરતાં આ વર્ષે ત્રણ ગણી વધુ ખોટ કરી હતી.
એપ્રિલ-જૂનના ગાળામાં આઈઓસીએ રૂ. ૨૨,૪૫૦.૯૫ કરોડની ચોખ્ખી ખોટ કરી હતી. જ્યારે ગત વર્ષના આ જ ગાળામાં કંપનીની ખોટ રૂ. ૩,૭૧૮.૭૦ કરોડ રહી હતી. ૨૦૧૦માં પેટ્રોલના ભાવ અંકુશમુક્ત કરાયા હતાં. પીએસયુ ઓઈલ કંપનીઓને સરકારે નિર્ધારિત કરેલા ભાવે ડીઝલ, કેરોસીન અને એલપીજી ગેસનુ વેચામ સ્થાનિક બજારમાં કરવું પડે છે. જેને પગલે પીએસયુ કંપનીઓને પેટ્રોલના વેચાણ ઉપર પ્રતિ લિટરે રૂ. ૧.૩૭, ડીઝલમાં રૂ. ૧૨.૧૩, કેરોસીનમાં રૂ. ૨૮.૫૪ અને એલપીજીમાં પ્રતિ સિલિન્ડરે રૂ. ૨૩૧ની ખોટ થઈ રહી છે.
કેન્દ્ર દ્વારા સબસિડી ચુકવવામાં નહિ આવતાં આઈઓસીએ રૂ. ૧૫,૦૦૦ કરોડ ઉઘાર લેવા પડયા હતાં અને કુલ ઉઘાર રકમ રૂ. ૯૦,૯૨૩ કરોડ થઈ હતી. આઈઓસી બજારમાંથી રૂ. ૧.૧૦ લાખ કરોડ સુધી ઉધાર લઈ શકે છે. જો કે, આગામી સમયમાં સબસિડી નહિ મળતાં કંપની ઉધાર મર્યાદા પૂરી થાય તેવી વકી છે.