વડોદરા, તા. ૯
બૂટલેગર પ્રકરણમાં તપાસ અધિકારીએ મોબાઈલ ફોનના આઈએમઈઆઈ નંબરના આધારે તપાસ શરૂ કરી છે. છેલ્લા પાંચ દિવસથી જેને લઈને રામાયણ ભજવાઈ રહી છે, તે બૂટલેગર જામીન પર મુક્ત થતાં જ વાડી પોલીસે તેની પાસા હેઠળ અટકાયત કરી ભુજ જેલમાં ધકેલ્યો હતો. નોંધનીય છે કે, શહેરની મધ્યમાં આવેલા એક પોલીસ સ્ટેશનના પી.આઈ.એ ડિસ્ટાફવાળા પાસે મોબાઈલ ફોનની માંગણી કરી હતી. તેથી બૂટલેગરે ચોખંડી પાસેની એક દુકાનમાંથી નવો મોબાઈલ ફોન ખરીદી ડિસ્ટાફવાળાને આપ્યો હતો. તે પછી વહીવટદારે ફોન પી.આઈ.ને આપતાં તેમાં પોતાનું સિમકાર્ડ નાંખી વાપરવાનો શરૂ કરી દીધો હતો. તે પછી પી.આઈ. રજા પર ગયા હતા.
- બૂટલેગરને જામીન મળતાં જ પાસા હેઠળ ભુજ જેલમાં ધકેલ્યો
તેમની જગ્યાએ બીજા એક પી.આઈ.ને ચાર્જ આપવામાં આવ્યો હતો. આ પી.આઈ.એ પણ ગોરખધંધાના આવતા હપ્તામાંથી અડધો ભાગ માંગતા ડિસ્ટાફવાળા ફરી બૂટલેગર પાસે ગયા હતા. બૂટલેગરે તેમને ૨૦ હજાર રૂપિયા આપતાં તેમણે ઈન્ચાર્જ પી.આઈ.ને આપ્યા હતા. તે પછી ઉચ્ચ પોલીસ અધિકારીના આદેશથી ઈન્ચાર્જ પી.આઈ.ને બૂટલેગરના ઘરે દરોડો પાડવા ગયા હતા. પરંતુ હપ્તાના બોજ તળે દબાયેલા પી.આઈ. બૂટલેગરનો વાળ વાંકો કરી શક્યા ન હતા. ત્યારબાદ રજા પરથી પરત આવેલા પી.આઈ. પણ બૂટલેગરનો આપેલો મોબાઈલ ફોન વાપરતા હોવાથી તેનું કંઈ બગાડી શક્યા ન હતા. જેથી એ.સી.પી. મેદાનમાં આવતા બૂટલેગર તેમને પણ ગાંઠયો ન હતો.
આ નામચીન બૂટલેગર લાલજી રબારી ગઈકાલે જામીન પર છૂટતા વાડી પોલીસે તેની પાસા હેઠળ અટકાયત કરી ભુજ જેલમાં મોકલી આપ્યો હતો. આ ઘટનાની તપાસ કરી રહેલા ડી.સી.પી. ક્રાઈમ સુભાષ ત્રિવેદીએ મોબાઈલ ફોનના આઈએમઈઆઈ નંબરના આધારે તપાસ આગળ ધપાવી છે.