વડોદરા,તા.૯
વડોદરા શહેરમાં આવતીકાલે શુક્રવારે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી થશે.આ માટે શહેરની પુષ્ટીમાર્ગીય હવેલીઓ અને મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ કરી દેવાઇ છે અને કાલે રાત્રે મધરાતે લાલાજીના જન્મની વધાઇ સાથે નંદ ભયો.. આનંદ ભયો.. જય કનૈયાલાલ કી ના નાદ ગુંજી ઉઠશે. .
- કૃષ્ણ જન્મોત્સવની ધૂમ મચશે
- લાલજીના વાઘા અને શણગારનું ધૂમ વેચાણ
- પુષ્ટીમાર્ગીય હવેલીઓ અને મંદિરોમાં મધરાતે લાલો પારણે ઝૂલશે
- નંદ ભયો... આનંદ ભયો, જય કનૈયાલાલ કી....
ઝરમર, ઝરમર વરસાદી માહોલ વચ્ચે આજે લાલજીને સજાવવા માટે કૃષ્ણભક્તો અને વૈષણ્વોએ વાઘા અને શણગારની ખરીદી કરી હતી. તો શહેરમાં આજે શીતળા સાતમની ઉજવણી પણ કરાઇ હતી.
શ્રાવણ મહિનો શરૂ થતાં જ તહેવારોની પણ હારમાળા શરૂ થાય છે. આ પવિત્ર મહિનામાં શિવ આરાધનાની સાથે કૃષ્ણ ભક્તિનો પણ અનોખો મેળ સર્જાય છે. શ્રાવણ વદ આઠમના રોજ કંસની કારાગારમાં જગતના નાથ ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ લીધો હતો અને આ જગત પરથી અધર્મનો નાશ કર્યો હતો. આ પવિત્ર દિવસની ગુજરાતમાં વિશેષ રીતે ઉજવણી થાય છે.જન્માષ્ટમી તરીકે પ્રસિદ્ધ આ તહેવારની કાલે શહેરમાં ધામધૂમથી ઉજવણી થશે. ખાસ કરીને પુષ્ટીમાર્ગીય હવેલીઓમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનું વિશેષ આયોજન કરાયું છે. આમ તો કાલે મધરાતે લાલાજીનો જન્મોત્સવ ઉજવાશે પરંતુ વહેલી સવારથી જ ઉજવણીનો પ્રારંભ થઇ જશે. હવેલીઓમાં પુષ્ટીમાર્ગીય કીર્તન અને ઢોળ ગવાશે તો રાસ અને ગરબાની પણ રમઝટ થશે. મંદિરોમાં પણ વિશેષ શણગાર કરી દેવાયા છે.
ઠીક મધરાતે ૧૨ ના ટકોરે નંદમહોત્વનો પ્રારંભ થશે અને ભક્તો લાલજીને પારણે ઝૂલાવશે અને નંદભયો આનંદ ભયોના ગગનભેદી નારા સાથે માખણ - મિસરીના પ્રસાદનો આનંદ માણશે.કલ્યાણપ્રસાદ હવેલીથી શ્રી દ્વારકેશલાલજી મહારાજ, કેવડાબાગ બેઠક મંદિરથી વ્રજેશકુમારજી મહારાજ, સુખધામ મંદિરથી વાગીશ બાવા, કારેલીબાગ ગોવર્ધનનાથજી હવેલીથી મથુરેશ્વર બાવા, યોગેશબાવા, ધ્રુમીલ બાવા, વ્રજરાજ બાવા, ગીરીરાજ હવેલી વાઘોડિયાથી હરીરાય બાવા અને માંજલપુર વ્રજધામ હવેલીથી ઇંદિરાબેટીજી અને ચંદ્રગોપાલજી મહારાજે કુષ્ણજન્માષ્ટમી પ્રસંગે શહેરીજનોને ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.
તો બીજી તરફ આજે વરસાદી વાતાવણર વચ્ચે કૃષ્ણજન્મોત્સવ નિમિત્તે લાલાને શણગાર કરવા માટેના વાઘા ઉપરાંત વાંસળી, ઉપવસ્ત્ર, નેત્ર, કુંડલ જેવા શ્રૃંગારની ખરીદી કરી હતી. કાલે સવારથી પારણાંને શણગારવામાં ભક્તો લીન થઇ જશે. અને મોડી રાતે શહેર નંદ મહોત્સવની સાથે કૃષ્ણમય બની જશે.