ભુજ, તા. ૧૧
કચ્છના પ્રસિધ્ધ માંડવી બીચ પર જન્માષ્ટમીના દિને સેંકડોની સંખ્યામાં સહેલાણી ઉમટયા હતા દરમિયાનમાં સાંજનાં સમયે જીલ્લાનાં ત્રણ અલગ અલગ વિસ્તારમાંથી આવેલા યુવાનો દરીયામાં સાંજનાં સમયે નહાતા હતા ત્યારે જુદ-જુદા સમયે ત્રણ યુવાનોને તોફાની મોજાઓએ લપેટમાં લઈ તાણી જતાં એક યુવાને સલામત બચાવવામાં સફળતા મળી હતી જ્યારે બે યુવાનોનો પાણીએ ભોગ લઈ લીધો હતો.
- બનાવમાં નિરોણાના યુવાનનો તેમજ ખાવડાના તરૃણનો ભોગ લેવાયો
દરીયાનાં પાણીએ ઝપેટમાં આવેલા ત્રણ યુવાન ખાવડા,નિરોણા અને ભુજથી દરિયા કિનારે ફરવા આવ્યા હતા. તહેવારોમાં મોટી સંખ્યામાં અહી પ્રવાસીઓ આવતા હોવા છતાં જવાબદાર તંત્રની લાપરવાહીનાં કારણે બીચ પર તત્કાળ બચાવ કામગીરી વ્યવસ્થાનો અભાવ તેમજ પુરતો બંદોબસ્ત ના હોવાના કારણે એક જ દિવસમાં ત્રણ ડુબવાની ઘટનાથી જાગૃત નાગરીકોમાં સરકારી તંત્ર સામે પણ રોષ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નિરોણા પંથકમાંથી આવેલો યુવાન ગત સાંજે તેના મિત્રો સાથે માંડવી દરિયે નહાવા પડયો હતા ત્યારે દરિયાના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ગુમ થયેલા યુવાનને પોલીસ જી. આર. ડી.ના જવાનો અને સ્થાનિકોએ આખી રાત શોધખોળ કર્યા બાદ આજે વહેલી સવારે ૬ વાગ્યે રાવલપીર અને મતિયાદેવ મંદિરની વચ્ચે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે ભુજ તાલુકાના ખાવડા ગામનો તરૃણ નહાવા માટે દરિયામાં પડતા ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને આજે રાત્રિ સુધી પોલીસે શોધખોળ હાથ ધરતાં રાત્રિના આઠ વાગ્યે તીર્થધામ ધ્રબુડીના દરિયા કિનારે તેનો મૃતદેહ મળતાં અરેરાટી વ્યાપી હતી.
માંડવી પોલીસે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, નખત્રાણા તાલુકાના પાવરપટ્ટી નિરોણા પંથકનો રણછોડ
રવાભાઈ આહિર (ઉ.વ.ર૩) ગઈકાલે જન્માષ્ટમીના બપોર બાદ તેના પાંચ મિત્રો સાથે માંડવીના દરિયા કિનારે આવ્યો હતો અને દરિયામાં નહાવા પડતાં અચાનક ડૂબવા લાગ્યો હતો અને ઉંડા પાણીમાં ગરકાવ થયો હતો. લાપતા બનેલા યુવાનની પોલીસ દ્વારા આખી રાત શોધખોળ જારી રખાયા બાદ આજે સવારે ૬ વાગ્યાના અરસામાં માંડવીના વિન્ડફાર્મથી ૩ કિમી દૂર રાવલપીર અને મતિયાદેવના મંદિરની વચ્ચે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આ બનાવ ગઈકાલે સાંજે ૪-૩૦ થી પ-૩૦ની વચ્ચે બન્યો હતો.
વિન્ડફાર્મ પર જ બીજા કરૃણ બનાવમાં ભુજ તાલુકાના ખાવડા ગામે રહેતો રાહુલ મહેશ કોટક (ઉ.વ.૧૬) ગઈકાલે તેના છ જેટલા મિત્રો સાથે માંડવી દરિયાકિનારે ફરવા આવ્યો હતા, ત્યારે સાંજના ૪-૩૦ વાગ્યાના અરસામાં રાહુલ દરિયામાં નહાવા પડયો હતો અને અચાનક ડૂબવા લાગ્યો હતો, બાદમાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પોલીસ અને જી. આર. ડી.ના જવાનો તેમજ સ્થાનિકોએ લાપતા બનેલા તરૃણની ગઈકાલથી આજે રાત્રિ સુધીમાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ લાપતા બનેલા ખાવડાના તરૃણનો મૃતદેહ આજે રાત્રિના ધ્રબુડીના દરિયાકિનારે પોલીસને હાથ લાગ્યો હતો. દરિયાકિનારે ગઈકાલે ત્રીજા બનાવમાં ભુજના સહયોગનગરમાં રહેતો હરેશ દયારામ રાજદે (ઉ.વ.૩૩) તેની સાથેના ચાર મિત્રો સાથે ફરવા આવ્યો હતો અને સાંજે પાંચ વાગ્યાના અરસામાં દરિયામાં નહાવો પડયો હતો, ત્યારે અચાનક ડૂબવા લાગ્યો હતો. તેને ડૂબતો જોઈ તેની સાથેના મિત્રો અને બાજુના સેવાભાવી યુવાનોએ તેમને તાત્કાલિક બચાવી લીધો હતો. ભુજનો હરેશ હેમખેમ બચી જતા દરિયાનું પાણી પી ગયો હોવાથી તેને તાત્કાલિક ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. માંડવીના દરિયાઈ વિન્ડફાર્મ પર જન્માષ્ટમીના સપરમા દિને ખાવડાનો તરૃણ અને નિરોણાનો યુવાન દરિયામાં નહાવા પડી ડૂબી મુત્યુ પામતાં અરેરાટી વ્યાપી હતી. નિરોણા ગામનો મરણ જનાર રણછોડ ખેતીવાડીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો તેમજ તેને ત્રણ પુત્રો છે.
માંડવીનો દરિયો તોફાની હતો !
અહીં શહેરના વિન્ડાફર્મ પર ગઈકાલે સાંજે આ ત્રણ બનાવો બન્યા ત્યારે દરિયો તોફાની હતો. પોલીસે જણાવ્યું હતું કે, દરિયાના મોજાં તોફાની રીતે ઉછળતાં હતાં.
મૃતક તરૃણ એકનો એક પુત્ર !
અહીંના દરિયા કિનારે ગત સાંજે દરિયામાં નહાવા પડેલો ખાવડાનો મૃતક તરૃણ તેના માતા - પિતાનો એકનો એક પુત્ર હતો. તેની માતા અને મામા તેના મૃત્યુથી શોકમગ્ન બન્યા હતા. ૪ દિવસ પૂર્વે મૃતક અને તેનો પરિવાર ધંધાર્થે ખાવડાથી નખત્રાણા ગયા હતા અને જન્માષ્ટમીના ધંધાર્થે દુકાનનું ઉદઘાટન હતું પરંતુ હતભાગી યુવાને જન્માષ્ટમી બાદ ઉદઘાટન કરશું એમ જણાવ્યું હતું.