સુરત તા. ૧૩
ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય પક્ષોએ પ્રજાલક્ષી જાહેરાતો કરવાનું શરૂ કર્યું છે. પ્રદેશ કોંગ્રેસે ગુજરાતના પ્રજા વિકાસ દર્શન અંતર્ગત પક્ષના ત્રીજા મુદ્દાની આજે રાજ્યનાં મહાનગરોમાં જાહેરાત કરી હતી.
- વિકાસ દર્શન અંતર્ગત પ્રદેશ કોંગ્રેસના ત્રીજા અધ્યાયની જાહેરાત
- કર્મચારીઓની વ્યક્તિગત ફરિયાદોના નિરાકરણ માટે 'ગેટ'ની રચના
- અમલદારો અને વહીવટી તંત્ર રાજ્યની ખરી તાકાત : સિદ્ધાર્થ પટેલ
- મહાકાય ઉદ્યોગોને કરોડોની રાહત અને પાંચ લાખ છૂટક કર્મચારીઓનું શોષણ
રાજ્યભરમાં અમલદારો અને વહીવટી તંત્રનું વર્તમાન સરકાર દ્વારા થતું શોષણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારી તંત્ર માટે ૨૦૧૨ પછી કોંગ્રેસની સરકાર સાચા અર્થમાં મા-બાપ બની રહેશે. એવો વિશ્વાસ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે પક્ષ તરફથી વ્યક્ત કર્યો હતો.
પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણી સંદર્ભે તાજેતરમાં વેટ સંદર્ભે પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા છે. ઘરના ઘર સંદર્ભે પક્ષની યોજના રાજ્યના નાગરિકો સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ બંને મુદ્દાઓ બાદ સોમવારે પ્રદેશ કોંગ્રેસે રાજ્યના સરકારી તંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ અંગે વધુ એક મહત્ત્વની જાહેરાત કરી હતી. અઠવાલાઇન્સ સ્થિત ર્સિકટહાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં સિદ્ધાર્થ પટેલે કહ્યું હતું કે, અમલદારો અને વહીવટી તંત્ર રાજ્યની તાકાત છે. વર્ષોની મહેનત બાદ રાજ્યમાં મજબૂત ઇન્સ્ટિટયૂશન ઊભું કરાયું છે. આ ઇન્સ્ટિટયૂશનને છેલ્લાં દસ વર્ષથી પતનના માર્ગે લઇ જવાનું કામ મોદી સરકાર કરી રહી છે. વહીવટી તંત્રનો કીમતી સમય પ્રજાલક્ષી કાર્યો કરવાને બદલે ઉત્સવો અને મેળાઓમાં બરબાદ કરાઇ રહ્યો છે. ઇન્સ્ટિટયૂશનના નામે શોષણ કરવાનું કામ છેલ્લાં ૧૦ વર્ષથી થઇ રહ્યું છે. મહાકાય ઉદ્યોગોને કરોડોની રાહત આપનારી મોદી સરકાર પાંચ લાખ સહાયક, ફિક્સ પગાર અને પાર્ટ ટાઇમ યુવાકર્મીઓનું શોષણ કરી છે.
આ તમામ મુશ્કેલીઓમાંથી વહીવટી તંત્રને બહાર કાઢવા ૨૦૧૨ પછીની કોંગ્રેસ સરકાર વિવિધ યોજનાઓ દ્વારા સરકારી તંત્રનું ઉત્થાન કરશે, એવું તેમણે ઉમેર્યું હતું. આ માટે સૌથી પહેલા છઠ્ઠા પગારપંચનો મુદ્દો હાથમાં લેવાશે. આજે પણ રાજ્યના કર્મચારીઓને કેન્દ્રના નિયમોને આધિન છઠ્ઠું પગારપંચ અપાતું નથી. એટલું જ નહીં, આજે પણ પાંચમા પગારપંચમાં અનેક વિસંગતતાઓ છે. તેને તાકીદે દૂર કરવામાં આવશે. આવનારા દિવસોમાં દેશમાં સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ છે. તેમ ગુજરાતમાં ગેટ (ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ)ની રચના કરવામાં આવશે.
રહેમરાહે નોકરી આપવાની પ્રથા ફરી શરૂ થશે
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખે વર્તમાન સરકાર દ્વારા બંધ કરાયેલી રહેમરાહે અપાતી નોકરીની યોજના ફરી શરૂ કરવામાં આવશે. આ પ્રથા રાજ્યમાં છેલ્લાં ૧૦ વર્ષથી બંધ થઇ ગઇ છે. અથવા તો ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. એવું તેમણે કહ્યું હતું. ગુજરાતમાં સાડા ચાર કરોડની વસ્તી હતી તે સમયે સરકારી તંત્રમાં ૨.૧૫ લાખ કર્મચારીઓની સીધી ભરતીનો સ્ટાફ હતો. આજે વસ્તી છ કરોડે પહોંચી છે ત્યારે સરકારમાં સીધી ભરતીથી કામ કરતા કર્મચારીઓ ઘટીને ૧.૭૪ લાખ રહી ગયા છે. આજે રાજ્યમાં અર્ધસરકારી કર્મચારીઓની સંંખ્યા ઘટીને ૮૦ હજાર થઇ ગઇ છે. કર્મચારીઓનું કામ અને શોષણ વધતું જાય છે. બીજી બાજુ સરકાર સ્ટાફ ઘટાડી રહી છે. કોંગ્રેસ કામના બોજને અનુરૂપ તમામ કર્મચારીઓની નિમણૂક કરશે એવું તેમણે વચન આપ્યું હતું.
ઉત્સવો અને મેળાના નામે કર્મચારીઓની પરેશાની બંધ
રાજ્યની મોદી સરકાર સરકારી મશીનરીનો કીમતી સમયનો ઉત્સવ અને મેળા પાછળ જ ઉપયોગ કરી રહી છે. આ પરેશાનીમાંથી પણ કર્મચારીઓનો ૨૦૧૨ની કોંગ્રેસ સરકાર છુટકારો અપાવશે. આ ઉપરાંત આખી જિંદગી રાજ્યની સેવા કરનારા નિવૃત્ત કર્મચારીઓ માટે રાજ્યના જુદા જુદા પ્રવાસન ધામ ઉપર ખાસ વિશ્રામગૃહ બનાવવામાં આવશે. આંગણવાડીની બહેનોને અપાતા વેતનમાં ફેરફાર કરી માનજનક વેતન મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. ત્રીજા અધ્યાયની જાહેરાત સાથે આ તમામ મુદ્દાઓ તેમણે પક્ષ તરફથી રજૂ કર્યા હતા.