ખંભાળિયા,તા,૧૬:
ખંભાળિયા પંથકમાં છેલ્લા સાત દિવસથી તરખાટ મચાવનાર દીપડાને ગુરૂવારે સવારે પાંજરે પુરવામાં વનવિભાગને સફળતા મળતા ગ્રામજનો સહિત સૌએ કોઈએ રાહતનો દમ લીધો છે.
- વાડીનાર વિસ્તારનાં લોકોની ઉંઘ હરામ થઈ ગઈ હતી
- વનવિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો પકડાઈ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો
ગત ગુરૂવાર તા.૯ના રોજ સંભવતઃ બરડા ડુંગર તરફથી ખંભાળિયા પંથકના નાના મોટા માંઢા વિસ્તારમાં આવી ચડેલ હિંસક દીપડાએ વાછરડાનું મારણ કર્યા બાદ કૂતરા જેવા અન્ય બે ત્રણ પશુઓનું પણ મારણ કર્યું હતુ. સતત સાત દિવસ સુધી માંઢા અને વાડીનાર વિસ્તારનો લોકોની ઉંઘ દીપડાએ હરામ કરી દીધી હતી. માંઢા ગામના ગુલાબસંગ જાડેજાની શેરડી અને જુવારની વાડીમાં નિવાસ કરતા અને પાંચ ફૂટ ઉંચા પાક વચ્ચે ફરતા દીપડાને ઝબ્બે કરવા માટે જામનગરના આરએફઓ કનેરીયાના માર્ગદર્શન નીચે સ્ટાફે દરરોજ ત્રણ ચાર જગ્યાએ બકરાના મારણ સાથેનું પાંજરૂ ગોઠવ્યું હતુ.
આ પાંજરામાં ગુરૂવારે સવારે પાંચેક વાગ્યે દીપડો ઝડપાઈ જતાં લોકોએ રાહતનો દમ ખેંચ્યો હતો. આશરે આઠથી નવ વર્ષની ઉંમર ધરાવા સાડા ચાર ફૂટની લંબાઈ ધરાવતા વિકરાળ દીપડાને જોવા ગ્રામજનો ઉમટી પડયા હતા. આરએફઓના માર્ગદર્શન નીચે દીપડાને કોઈ અભ્યારણ્ય અથવા પ્રાણી સંગ્રહાલયમાં મુકવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. દીપડાને પકડવા માંઢાના સરપંચ કિરીટસિંહ તથા પીએસઆઈ જાડેજાએ પણ જહેમત ઉઠાવી હતી.
અગાઉના વર્ષામાં જંગલી પશુઓને પકડવા માટે લાકડાના દાંતાવાળા પાંજરામાં મારણ મુકયા બાદ તેનો ઉપયોગ થતો હતો. જેમાં મોટા પશુઓ મારણ લઈને ચાલ્યા જતા હતા. આધુનિક સ્પ્રીંગવાળા પાંજરામાં મારણ મુકયા પછી પશુ પ્રવેશે તો આગળ અને વચ્ચેના દરવાજા આપોઆપ બંધ થઈ જાય છે. જેના કારણે મારણ પણ સલામત રહેતું હોય હવે આ પ્રકારના પાંજરાનો ઉપયોગ થાય છે.