નવી દિલ્હી : 16, ઓગસ્ટ
વિદેશમાંથી ભારતમાં આયાત કરીને સિંગલ બ્રાન્ડ મારફતે વેચાતી વિવિધ ખાદ્ય વસ્તુઓ જેવી કે બિસ્કિટ વગેરેનાં વેચાણ પર સરકાર ટૂંક સમયમાં પ્રતિબંધ લગાવશે. સરકારને એ બાબતનો ડર છે કે જો આ પ્રતિબંધ નહિ લગાવવામાં આવે તો આયાતનું પ્રમાણ વધી જશે અને કરિયાણસ્ટોર્સનો વ્યવસાય વેરવિખેર થઇ શકે છે, જો કે આયાતની અનુમતિ ન આપવાથી બ્રિટનની માર્ક્સ એન્ડ સ્પેંસર (એમ એન્ડ એસ) અને સ્વિડનની આઇકિયા જેવી કંપનીની યોજના પર અસર પડી શકે છે. આ રિટેલર કંપનીઓ ભારતમાં ખાદ્ય વસ્તુઓ વેચવા માગે છે, આ ઉપરાંત રિટેલ ક્ષેત્રમાં વિદેશી રોકાણની નીતિ પર પણ અસર પડી શકે છે.
એક સિનિયર ઓફિસરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સિંગલ બ્રાન્ડ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પોલિસી અનુસાર તૈયાર થયેલ યાદીમાંથી ફૂડ પ્રોડક્ટ્સને બહાર રાખવામાં આવશે. તેઓએ જણાવ્યું હતું કે ફૂડ સેક્ટર પર પ્રતિબંધ લગાવવામાં કેટલીક શરતો પણ મૂકવામાં આવશે, જો કે ભારતમાં વિદેશી કંપનીઓને સુપરમાર્કેટ લગાવવાની અનુમતિ નથી આપી. આ રિટેલરો ભારતમાં ગ્રાહકોને અનેક પ્રકારનો માલ વેચી રહ્યા છે. આ વર્ષના જાન્યુઆરી માસથી ભારતે વિદેશી કંપનીઓને સંપૂર્ણ માલિકીના હક્કવાળી રિટેલ સ્ટોર ખોલવાની અનુમતિ આપી છે.
જો કે એમ એન્ડ એસ અને આઇકિયાએ પોતાની બ્રાન્ડથી ફૂડ પ્રોડક્ટ્સ વેચવાનો રસ દાખવ્યો તે પછી સરકારે સિંગલ બ્રાન્ડ રિટેલર્સને આ વસ્તુઓ વેચવા ન દેવાનું આયોજન કર્યુ છે.