સુરત તા.૨૦
બે દિવસ અગાઉ ભેદી રીતે કડોદરાથી બેભાન હાલતમાં મળી આવેલી લાજપોરની મહિલાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મહિલા માનસિક રીતે અસ્વસ્થ છે અને તેણીએ સિવિલના તબીબ સમક્ષ બળાત્કારના ઇરાદે ચાર અજાણ્યા યુવાનોએ ઢસડી જઇ ઢોરમાર માર માર્યો હોવાનું નિવેદન નોંધાવ્યું હતું. જેના આધારે ફોરેન્સિક પીએમ કરી રિપોર્ટના આધારે પોલીસ કાર્યવાહી કરશે.
- બે દિવસ અગાઉ માનસિક બીમાર મહિલા કડોદરાથી બેભાન મળી આવી હતી
સચિન નજીકના લાજપોર ખાતે નદી ફળિયામાં રહેતા શાંતાબેન બાબનુભાઇ પટેલ (૩૫) ગત તા. ૧૮મીએ સવારે કડોદરા રોડ વરેલી પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં બેભાન મળી આવ્યા હતા. ૧૦૮ની ટીમે તેણીને સારવારાર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં આજરોજ તેણીનું મોત થયું હતું.
વધુમાં શાંતાબેને સિવિલમાં ફરજ પર હાજર ડોક્ટરો સમક્ષ એવું નિવેદન નોંધાવ્યું હતું કે પોતે ગત તા. ૧૭મીએ સાંજે કડોદરા ખાતે પૈસા લેવા માટે ગઇ હતી. જ્યાં કારમાં સવાર ચાર અજાણ્યા યુવાનોએ તેણીને પકડી પાડી હતી. બાદમાં બળાત્કારનો પ્રયાસ પણ કર્યો હતો. બળાત્કારને ઇરાદે ચારેયે પકડી રસ્તામાં ઢસડી પણ હતી. જોકે, તેણીએ બૂમાબૂમ મચાવી દેતા તેઓ ગભરાટના માર્યા ભાગી ગયા હતા. ચારેયે તેમનેે ઢીકમુક્કીનો માર માર્યો હોવાનું નિવેદન પણ ડોક્ટરને જણાવ્યું હતું. સિવિલના તબીબને છાતી, માથા, હાથ અને પગના ભાગે ઇજાનાં ચિહ્નો મળી આવ્યાં હતાં.
કડોદરા પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તબક્કે આ મામલો અકસ્માતનો લાગી રહ્યો છે. અકસ્માતે ઇજા થતા મોત થયું હોવાની શક્યતા છે તેમજ મહિલા માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પણ લાગે છે. સિવિલના ડોક્ટર સમક્ષ નોંધાવેલા નિવેદનને આધારે લાશનું ફોરેન્સિક પીએમ કરાશે. જે પીએમ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરાશે એમ પણ કડોદરા પોલીસે ઉમેર્યુ હતું.