નવી દિલ્હી, તા.૨૧
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી શ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામિલ ભારતના પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડની ફરી એક વખત દેશના સૌથી પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ એવોર્ડ રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ માટે અવગણના કરવામાં આવી છે. દ્રવિડે ટેસ્ટ ક્રિકેટમાં ૧૦ હજાર કરતા પણ વધારે રન બનાવ્યા હોવા છતા આ એવોર્ડ માટે તેની સતત અવગણના કરવામાં આવી રહી છે. ક્રિકેટ ભલે દેશની સૌથી લોકપ્રિય રમત હોય પણ રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડની વાત આવે તો ક્રિકેટરો આ એવોર્ડ મેળવવામાં ભાગ્યે જ સફળ રહે છે. ૧૯૯૧-૯૨થી ખેલરત્ન એવોર્ડ આપવાની શરૃઆત થઈ છે પણ ફક્ત સચિન તેંડુલકર અને મહેન્દ્રસિંહ ધોની એમ બે જ ક્રિકેટરો આ એવોર્ડ મેળવવા સફળ રહ્યા છે. સચિનને ૧૯૯૭-૯૮માં અને ધોનીને ૨૦૦૭-૦૮માં ખેલરત્ન એવોર્ડથી આપવામાં આવ્યો હતો.
સચિન, ધોની એમ બે ક્રિકેટર જ આ એવોર્ડ મેળવવા સફળ
આ વખતે આશા હતી કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લેનાર દ્રવિડને આ એવોર્ડ મળશે. જોકે ઓલિમ્પિક્સમાં મેડલ મેળવનાર શૂટર વિજયકુમાર અને બોક્સર યોગેશ્વર દત્તની ખેલરત્ન માટે પસંદગી કરવામાં આવી છે. આમ દ્રવિડને વધુ એક વખત નિરાશા હાથ લાગી છે. આ પહેલા પણ દ્રવિડની ખેલરત્ન માટે બીસીસીઆઈએ ભલામણ પણ કરી હતી. જોકે તે આ એવોર્ડ મેળવી શક્યો નથી. દ્રવિડની ખેલરત્ન માટે ભલામણ કરવામાં આવે છે તે વાત તે નસીબદાર છે. બીજી તરફ અનિલ કુંબલે, વીવીએસ લક્ષ્મણ, સૌરવ ગાંગુલી અને વિરેન્દ્ર સેહવાગની ક્યારેય ખેલરત્ન માટે ભલામણ પણ કરવામાં આવી નથી.
ધ્યાનચંદ એવોર્ડ અપાશે
રાહુલ દ્રવિડને ખેલરત્ન તો નહી પણ ધ્યાનચંદ એવોર્ડ મળે તેવી સંભાવના છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે દ્રવિડને વખતે ખેલરત્ન એવોર્ડ મળે તેવી સંભાવના હતી. જોકે ઓલિમ્પિક્સમાં મેડલ મેળવવાના કારણે વિજયકુમાર અને યોગેશ્વર દત્ત દાવેદાર બન્યા છે. જેથી દ્રવિડને હવે ખેલરત્ન નહી પણ ધ્યાનચંદ એવોર્ડ મળે તેવી સંભાવના છે. ખેલરત્ન માટે ૭.૫ લાખ રૃપિયા અને ધ્યાનચંદ એવોર્ડ માટે ૫ લાખ રૃપિયા મળે છે.