ડાયટ ટિપ્સ - અંગના શાહ
આપણે સૌ જાણીએ છીએ કે ફળ અને લીલાં શાકભાજી એવા નેચરલ ફૂડ છે જેમાંથી શરીરને જરૂરી એવાં તમામ પોષકતત્ત્વ મળે છે. ફ્રૂટસ અને શાકભાજી જ આપણને નવું જીવન આપી શકે છે. તો જાણીએ ફળ ખાવાના ફાયદા.
આપણે એ જાણીએ જ છીએ કે ફ્રૂટસમાં ફાઇબર્સ અને જરૂરી પોષકતત્ત્વો સારામાં સારા ભરેલાં છે. વધુ ફાઇબર્સવાળો ખોરાક લેવાથી કોઈ પણ પ્રકારના રોગ જેમ કે હાઈકોલેસ્ટેરોલ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, ઓબેસિટી દરેકમાં ફાયદો થાય છે.
ફ્રૂટસમાં ૮૦% પાણી છે, પાણી અને ફાઇબર્સથી ભરેલાં ફ્રૂટમાં વિટામિન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેના કારણે વાળ, સ્કિન વગેરે પણ ખૂબ જ સુંદર બને છે. જ્યારે જ્યારે વધુ ફાઇબર્સવાળો ખોરાક લેવામાં આવે, જેમ કે, આખાં અનાજ, શાકભાજી વગેરે ત્યારે તે ફાઇબર્સને આંતરડાંમાંથી ધક્કો મારવા પાણીની જરૂરિયાત ઊભી કરે છે અને તે પાણી ફ્રૂટમાંથી મળી રહે છે. જો તમે લાંબું તંદુરસ્તીભર્યું જીવન જીવવા માગતા હો તો દિવસ દરમ્યાન જુદાં જુદાં ૩થી ૪ જાતનાં ફ્રૂટસ લેવાની આદત પાડો.
ફ્રૂટના જ્યૂસ કરતાં ફ્રૂટ ખાવાં વધુ સારાં, કારણ કે જ્યૂસમાં ફ્રૂટમાંના મહત્ત્વનાં ફાઇબર ફેંકી દેવાય છે. તે ઉપરાંત મોટા ગ્લાસ જ્યૂસમાં કેલેરી અને ખાંડનું પ્રમાણ પણ વધી જાય છે. ફળ હેલ્ધી ફૂડ છે પણ તમારા રોજિંદા ખોરાકનો પર્યાય બની શકતાં નથી, જેમ કે આપણો રોજિંદો ખોરાક રોટલી, દાળ, ભાત, શાક એ બેલેન્સડ મીલ છે. તેની અવેજીમાં ફ્રૂટસ લઈ શકાય નહીં.
સવારના નાસ્તામાં અથવા મોડી રાતે વધુ પડતી ભૂખ લાગે ત્યારે ફ્રૂટસ લેવાથી ફાયદો થાય છે. દિવસ દરમ્યાન ખાસ કરીને સ્ત્રીઓએ એક કેળું લેવું જ જોઈએ. કેળું એ કેલ્શિયમ, પોટેશિયમથી ભરપૂર છે. સીઝન પ્રમાણેનાં જુદાં જુદાં ફળો દિવસ દરમ્યાન બેથી૩ વખત લેવાં જોઈએ જેમ કે, પપૈયું, એપલ વગેરે ઉપરાંત દરેક સીઝનમાં ફ્રૂટ જેમ કે નારંગી, બોર, શીંગોડાં, જાંબુ, સેતુર વગેરે પણ જ્યારે મળે ત્યારે ખાવા જોઈએ.
ફળથી શરીરને પાણી અને સુગર મળે છે પરંતુ જો તેને ખોટી રીતે ખાવામાં આવે તો તેનો જોઈએ તેટલો ફાયદો થતો નથી. વધુ પડતાં ફળ ખાવાથી સુગરનું પ્રમાણ વધી શકે છે અને ખોટા સમયે ખાવાથી પાચનમાં પ્રોબ્લેમ પણ થઈ શકે છે.
ફળ કેવી રીતે ખાવાં?
* બને ત્યાં સુધી ફ્રૂટને ખાલી પેટે ખાવાનાં રાખો.
* ફ્રૂટ અને ખોરાકની વચ્ચે ઓછામાં ઓછો ૩૦ મિનિટનો ગાળો રાખો.
* બને તો સવારની શરૂઆત ૨ ગ્લાસ પાણી પીધા પછી એક ફળ ખાઈને કરો.
* જમ્યા પછી ગળ્યું ખાવાનું મન થતું હોય તો ફ્રૂટના બદલે એકાદ ખજૂર ખાઈ શકો છો. જમ્યાના અડધો કલાક પહેલાં પપૈયું અથવા તરબૂચ લઈ શકાય.
* બને ત્યાં સુધી ટીનનાં ફ્રોઝન ફ્રૂટ, પ્રોસેસ ફ્રૂટની જગ્યાએ તાજાં ફળોનો ઉપયોગ કરો.
* ડાયાબિટીસના દર્દીઓ કેરી, કેળું, ચીકુ વગેરે ફળમાંથી કોઈ પણ ફળ દિવસનું એક અથવા અડધું લઇ શકે છે.
* દરરોજ જુદાં જુદાં ફળોનો ઉપયોગ કરો.
* ફળોને ખાતાં પહેલાં તેને સારી રીતે ધોઈને ઉપયોગમાં લો.
* ફ્રૂટસને કદી પણ ગરમ કરીને ન ખાવ
(લેખિકા અમેરિકામાં ડાયટિશ્યન છે.)
angana@anganahospital.com