ભાવનગર,તા.ર૮
વલભીપુર તાલુકાના કાનપર ગામે રહેતા શ્રમજીવી નણંદ-ભોજાઈ આજે વહેલી સવારના સુમારે અયોધ્યાપુરમ્ ખાતે કામ કરવા માટે પગપાળા જતા હતા ત્યારે પાછળથી કાળ બનીને આવી રહેલી છોટા હાથીના ચાલકે અકસ્માત સર્જી બંને વૃધ્ધાનું ઘટનાસ્થળે જ મોત નિપજાવ્યુ હતુ. જ્યારે અન્ય એક મહિલાને ઈજાઓ થતા વલભીપુર હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા.
- બંને પગપાળા કામ કરવા માટે જતા હતા ત્યારે કરૂણાંતિકા સર્જાઈ
- અન્ય એક મહિલાને પણ ઠોકરે લેતા સારવારમાં
ઘટનાની જાણ થતા જ વલભીપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી છોટાહાથી વાહનને કબ્જે લઈ નાસી છુટેલા આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
બનાવ અંગે મળતી વિગતો મુજબ વલભીપુરના કાનપર ગામે રહેતા ગૌરીબેન વિઠ્ઠલભાઈ બાબર (ઉ.વ. ૬૦), જયાબેન પોપટભાઈ બાબર (ઉ.વ.૬પ) અને બાધુબેન ગગજીભાઈ બાબર નામની મહિલાઓ આજે સવારના ૭-૦૦ વાગ્યાના સુમારે કાનપર ગામેથી અયોધ્યાપુરમ્ ખાતે કામ કરવા માટે જતા હતા ત્યારે અયોધ્યાપુરમ્ પાસે પારસ હોટેલ નજીક પહોચતા પાછળથી માતેલ સાંઢની માફક આવી રહેલી છોટા હાથી વાહન નં. જીજે. ૪.ડબલ્યુ.રર૯૩ના અજાણ્યા ચાલકે પુરપાટ ઝડપે રીક્ષા ચલાવી શ્રમજીવી ત્રણેય મહિલાઓને અડફેટે લીધા હતા.
આ અકસ્માતના બનાવમાં ગૌરીબેન અને જયાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા બંને નણંદ-ભોજાઈના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે બાધુબેન નામની મહિલાને સામાન્ય ઈજાઓ થતા તેઓને સારવાર માટે વલભીપુર સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે વલભીપુર પોલીસમાં માધવજીભાઈ સુખાભાઈ ગોહિલએ છોટા હાથીના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાલક વિરૂધ્ધ આઈપીસી કલમ ર૭૯,૩૩૭ અને એમવીએક્ટ ૧૭૭, ૧૮૪ કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ ઝાલાએ હાથ ધરી છે.