મુખ્ય કલાકારો : અક્ષય કુમાર, સોનાક્ષી સિંહા, મનિષા લાંબા, શ્રેયસ તલપડે, આર્ય બબ્બર, સંજય મિશ્રા, અસરાણી, ચિત્રાગદા સિંહ
નિર્દેશક : શિરીષ કુંદર
નિર્માતા : ફરાહ ખાન, શિરીષ કુંદર, અક્ષય કુમાર
સંગીત : ગૌરવ ડંગાલકર
રેટિંગ :
સ્ટોરી :
અગસ્ત્ય (અક્ષય કુમાર) ઘણાં સમયથી અન્ય ગ્રહો પર એલિયન્સ હોવાની વાત પર રિસર્ચ કરતો હોય છે. વરસો પછી અગસ્ત્ય પોતાના બીમાર પિતાને મળવા માટે પોતાના ગામ પગલાપુર આવે છે. આ ગામને પાગલોનું ગામ તરીકે ઓળખવામાં આવે છે. અગસ્ત્ય પોતાના ગામની દશા જોઈને પરેશાન થઈ જાય છે. તેના ગામમાં 21મી સદીનાં આધુનિક જમાનામાં પણ વીજળી અને પાણીની સુવિધા નથી. અગસ્ત્યને તે જાણીને વધુ પરેશાની થાય છે જ્યારે તેને ખબર પડે છે કે કોઈ સરકારી અધિકારી તેનાં ગામને પોતાના સ્ટેટમાં ગણવા તૈયાર જ નથી. જેથી પોતાના ગામની સ્થિતિ સુધારવા માટે અગસ્ત્ય પોતાના ગામ રોકાઈ જવાનો નિર્ણય કરે છે. અગસ્ત્ય પોતાના ગામમાં જ રહીને પોતાની પાસેનાં ઉપકરણોની મદદથી એલિયન્સ સાથે વાત કરવાની કોશિશ કરે છે અને બાદમાં એવી પરિસ્થિતિ સર્જાય છે, જેનાં કારણે સમગ્ર દેશનું ધ્યાન તેનાં ગામ પર જાય છે.
રિવ્યૂ :
આ ફિલ્મમાં ભણેલોગણેલો અક્ષય કુમાર પોતાના શૂટ બૂટ છોડી ગામનાં દેશી પહેરવેશમાં આવી જાય છે, જે તમને લગાનનાં ભુવનની યાદ ચોક્કસથી અપાવશે. અક્ષય અને એલિયન્સની વચ્ચે ફરતી કહાનીનાં લીધે ફિલ્મનાં અન્ય પાત્રોને પોતાની હાજરી દર્શાવવાનો મોકો જ મળતો નથી. સોનાક્ષી સિંહા પણ ફિલ્મમાં ખાસ રોલ કરી શકી નથી. જો કે શ્રેયસ તલપડેનું નવું રૂપ ફિલ્મમાં જામે છે. શિરીષ કુંદરે એવાં વિશય પર પોતાની ફિલ્મ બનાવી છે, જેના પર આજ દિન સુધી માંડ ક્યાંક કોઈ ફિલ્મ બની છે. ફિલ્મની કહાની પ્રમાણે ટેક્નોલોજી અને બજેટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ગયા વર્ષે આ ફિલ્મને 3ડીમાં બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ એવું કંઈ આ ફિલ્મમાં નથી. જો કે આ ફિલ્મની કહાની અક્ષય કુમારને એટલી બધી પસંદ પડી કે અક્ષય કુમારે આ ફિલ્મને પ્રોડ્યૂસ કરવાનો વિચાર કર્યો હતો. જો કે અક્ષયની આ ફિલ્મ સફળ રહેવાની ખૂબ ઓછી શક્યતા છે. ફિલ્મમાં ચિત્રાગદાં સિંહનાં આઈટમ સોંગ સિવાય કોઈ ગીતમાં પણ દમ નથી. જેથી ફિલ્મનાં સંગીતને પણ ખાસ સફળતા મળી નથી.