ગાંધીનગર, ૮
વર્ષ ૨૦૦૯માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સિંગુર છોડીને આવેલા ટાટાના નેનો પ્રોજેક્ટને ભાજપના પ્રચાર અભિયાનમાં ભેળવ્યો હતો. આ વખતે વિધાનસભાની ચૂંટણીઓમાં પણ બહુચરાજીમાં સ્થપાનારા મારૂતી પ્રોજેક્ટને નામે મુખ્યમંત્રીને વિકાસપૃરૂષ તરીકે લોકો સમક્ષ રજૂ કરવા યાત્રાનો સહારો લેવો પડયો છે. પહેલા દિવસે બહુચરાજીથી સાણંદ વચ્ચે યોજાનારા સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રામાં નેનો અને મારૂતીના પ્રોજેક્ટ ફાસ્ટટ્રેક મૂકીને છવાઈ જવાની લ્હાયમાં વિવેકાનંદજીને સાઈડલાઈન થઈ જાય તો નવાઈ નહી. ચૂંટણીની જાહેરાત પુર્વે રાજ્યમાં ચુંટણીનો માહોલ ઉભો કરવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ વખતે તદ્દન અલગ પ્રકારની રાજનીતિ અપનાવી છે.
- બહુચરાજીનાં ૨૧, સાણંદનાં ૨૧ વિધાનસભાક્ષેત્ર આવરી લેવાશે
- દરેક સભાઓમાં ઉપસ્થિત રહેનાર નાગરિકોને મોદી 'મિસકોલ' કરાવશે
- ૯ દિવસમાં ૧૮૨ બેઠકોના કાર્યકરોને ચેતનવંતા કરવા હવે વધુ એક યાત્રા
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલી અને ભાજપના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહ ૧૧મી સપ્ટેમ્બરને મંગળવારે ઉત્તર ગુજરાતના પ્રસિધ્ધ યાત્રાધામ બહુચરાજીથી સ્વામી વિવેકાનંદ યાત્રાનો આરંભ કરનાર છે. જેમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠા સહિત પાટડી, દસાડા, વિરમગામ જેવી અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર સહિત વિધાનસભાની ૨૧ બેઠકોના ભાજપના કાર્યકરો, મતદારોને ઉપસ્થિત રાખવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં જેમ નેનોની પ્રતિકૃતિ બનાવીને ભાજપ અને મોદીનો પ્રચાર કરવામાં આવ્યો હતો તેવી જ રીતે આ વખતે વિધાનસભા-૧૨માં મારૂતીની પ્રતિકૃતિઓ પર ભાજપનુ કમળ લગાવીને પ્રચાર અભિયાન તેજ થશે. મંગળવારે સાંજે સાણંદમાં યોજનારા કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાની ૨૧ બેઠકોના મતદારોને એકત્ર કરવામાં આવશે.
૧૧મી ઓક્ટોમ્બર સુધી યોજાનારા આ યાત્રાઓ અંર્તગર્ત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ૯ દિવસમાં જ ગુજરાતની ૧૮૨ બેઠકોને સાંકળી લઈને કાર્યકરોનો ઉત્સાહ વધારવા સભાઓ યોજે તેવી વ્યુહ રચના હોવાનુ જણાવતા ભાજપના સુત્રોએ કહ્યુ હતુ કે, ગુટખા મુક્ત ગુજરાતની જાહેરાતના મુદ્દાને ચૂંટણીલક્ષી બનાવીને ઘરે ઘરે મહિલાઓ, યુવાનોને આકર્ષવા દરેક સભામાં મોદી લોકોને મીસકોલ કરાવશે. પહેલા રાઉન્ડમાં મોદી ક્યાંય પણ લાંબા લાંબા એક કલાકના ભાષણોને બદલે ટૂંકમાં જ નિવેદનો કરશે.ચૂંટણી પ્રચાર માટે પહેલા રાઉન્ડની આ યાત્રા બાદ વિધાનસભા ચુંટણીઓ જાહેર થયા પછી મોદી રાજ્યમાં મોટાપાયે ચૂંટણી પ્રચાર શરૂ કરશે.