લંડન, તા. ૧૦
બ્રિટનની યુનિર્વિસટીઓમાં આ વર્ષે ભારતીય વિદ્યાર્થીઓનાં એડમિશનમાં થયેલા ઘટાડાને કારણે હાલ બ્રિટન ચિંતિત છે. ભારતીય વિદ્યાર્થીઓએ સંખ્યા ઘટતાં વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયર અને ગણિત જેવા વિષયોનો અભ્યાસક્રમ બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે.
- આ વર્ષે બ્રિટન જનારા ભારતીય વિદ્યાર્થીઓમાં ૨૦થી ૩૦ ટકાનો ઘટાડો
- ભારતીય વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાને કારણે બ્રિટનમાં અનેક વિષયો ખતરામાં
- કડક ઇમિગ્રેશન નિયમો, યુનિ.નાં લાઇસન્સ રદની વિદ્યાર્થીઓ પર અસર
બ્રિટનની યુનિર્વિસટીઓ પર તૈયાર કરાયેલા રિપોર્ટમાં આ માહિતી બહાર આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મહિનાના અંત સુધીમાં શરૃ થનારા એકેડેમિક સત્રમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨૦થી ૩૦ ટકાનો ઘટાડો આવ્યો છે. ગણિત, ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ જેવા વિષયો ભારતના વિદ્યાર્થીઓના પસંદગીના વિષયો છે જેથી ઓછી સંખ્યાને કારણે આ વિષયોના અભ્યાસક્રમ પર ખતરો તોળાઈ રહ્યો છે. સંસદની એક સમિતિ સમક્ષ શિક્ષણના વરિષ્ઠ લોકોએ જે રિપોર્ટ રજૂ કર્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય વિદ્યાર્ર્થીઓની ઘટતી સંખ્યાને કારણે યુનિર્વિસટીઓના કુલપતિઓ ચિંતામાં છે.
આ રિપોર્ટ ઓવરસીઝ સ્ટુડન્ટ, બહારથી આવનારા વિદ્યાર્થીઓ અને ટોટલ ઇમિગ્રેશનના વિષય પર તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે ભારત અને યુરોપિયન સંઘના બહારથી આવનારા વિદ્યાર્થીઓને ઇમિગ્રેશનની યાદીમાંથી દૂર કરવા જોઈએ. આ વિદ્યાર્થીઓ મોટેભાગે અભ્યાસ પૂર્ણ કરીને તેમના દેશોમાં પરત ફરી જતા હોય છે, જો કે સરકારે રિપોર્ટમાં કરવામાં આવેલી આ ભલામણને નકારી દીધી છે.
સંખ્યા ઘટવાનાં કારણો
દર વર્ષે બ્રિટનમાં ભારતના હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે. બ્રિટનના કડક કરેલા ઈમિગ્રેશન નિયમો, અન્ય દેશોમાં બ્રિટન કરતાં સસ્તું શિક્ષણ, ભારતમાં ઉચ્ચ શિક્ષણમાં સુધારો તેમજ હાલ જ લંડનની મેટ્રોપોલિટન યુનિર્વિસટીનું વિદેશી વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું લાઇસન્સ કેન્સલ થવા જેવી બાબતોને લીધે બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.