ગાંધીનગર/બહુચરાજી, તા.૧૧
- બહુચરાજીથી ભાજપની વિવેકાનંદ યુવા વિકાસયાત્રાનો આરંભ
- ભાજપ ચૂંટણી એક જ મુદ્દે લડશે-ગુજરાતને કેન્દ્રનો અન્યાય
- કોંગ્રેસ દેશની દશા અને દિશા બદલવાની વાત કરે છે. શું ગુજરાતની એ દુર્દશા કરવી છે જે દેશની થઈ છે?
- કોલસા કૌભાંડની તપાસ માટે સિટ રચવા વડાપ્રધાનને મોદીનો પડકાર
- ગુજરાત સરકારને હેરાન કરવા રોજ નવી સિટ રચાય છે
- સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન ગુજરાતના યુવાનો જ પૂરું કરશે
કોંગ્રેસ અસાધ્ય 'કેન્સર' છે તેથી ગુજરાતને કોંગ્રેસમુક્ત કરો એવી હાકલ સાથે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધાનસભાની ચૂંટણી પહેલા એક મહિના લાંબી પ્રચાર ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો. તેમણે કોંગ્રેસનું કેન્સર ડામવા પ્રજાને 'કોંગ્રેસ-ફ્રી ગુજરાત'ની અપીલ કરી હતી. મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું હતું કે કોંગ્રેસ હવે સીબીઆઈનો સાથ લઈને ચૂંટણી લડશે. આગામી ચૂંટણી 'ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા થતા અન્યાય'ના એક જ મુદ્દા પર લડાશે તેવો સંકેત મોદીએ આપ્યો હતો.
બહુચરાજી ખાતે વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાનાં પ્રારંભે મોદીએ કહ્યું હતું કે ગુજરાતની સ્થિર ભાજપ સરકારને પરેશાન કરવા દરરોજ નવી સિટ બનાવાય છે. રૂ.૧.૮૦ લાખ કરોડના કોલસા કૌભાંડની તપાસ કરવા વધારે નહિ એક સિટ રચવા વડાપ્રધાનને મોદીએ ખુલ્લો પડકાર ફેંક્યો હતો.
રાજ્ય કોંગ્રેસનાં નેતાઓ દ્વારા યાત્રા દરમિયાન મોદીનો વિરોધ કરવા જે રીતે લોકોને અપીલ કરવામાં આવી છે તેની મોદીએ ઝાટકણી કાઢી હતી. મોદીએ કહ્યું કે, વિકાસનો કોઈ પર્યાય હોતો નથી, ૬ કરોડ ગુજરાતીઓ કોઈની કૃપા પર નથી જીવતા. ભિખારી કોણ છે તે દેખાડીને બતાવીશું.
૧૨ મહિનાથી ચૂંટણી જીતવા ગપગોળા ફેલાવીને કોંગ્રેસ ઉઠકબેઠક કરી રહી છે. મારે ચૂંટણી જીતવા ગુજરાતને અલગથી અપીલ કરવાની નથી. ૧૦ વર્ષનો રેકોર્ડ છે. ખુલ્લી કિતાબ જેવો સરકારનો વહીવટ બોલે છે. ચારે તરફ સુકર્મ જેવો વિકાસ કર્યો છે. હવે કોઈને કંઈ કહેવાની તક જ નથી. દિલ્હીમાં એવી બદનામી થઈ રહી છે કે ગુજરાત અમથું અમથું મજબૂત થઈ રહ્યું છે. ૧૫૦ વર્ષ પહેલા અમેરિકાથી સ્વામી વિવેકાનંદે શરૂ કરેલી સંસ્કૃતિની યાત્રાના અધૂરા સ્વપ્નો યુવાનો પુરા કરી શકે છે. યુવાનોને નેતૃત્વ મળવું જોઈએ. ગુજરાતે તે કરી બતાવ્યું છે. મારૂતીના પ્લાન્ટના આગમનથી આવનારા સમયમાં બહુચરાજીનુ ઔદ્યોગિકક્ષેત્રમાં પરિવર્તન થઈ જશે. આ નાનુ ગામ યાત્રાધામ અમદાવાદની જેમ ધમધમતુ થઈ જશે.
ભાજપ સરકારના કાર્યક્રમો સામે કાળા વાવટા ફરકાવતા કોંગ્રેસના કાર્યકરોને તેમણે કહ્યું હતું કે, આ લોકતંત્ર છે. પણ કોઈનો અવાજ સંભળાય નહિ તેમ કરવુ એ લોકતંત્ર નથી. કોંગ્રેસે પણ કાર્યક્રમ કરવો જોઈએ. તેમાં સરકારની મદદ માંગશો તેટલી આપીશું. તેમ કહેતા મોદીએ ચીમકી આપી હતી કે, ગુજરાતના ઈતિહાસમાં ચૂંટણીઓમાં લોહી વહ્યું નથી. એવી ગરમી પેદા ન કરો કે લોહી વહે.
મોદીએ ઉમેર્યુ હતું કે, પ્રધાનમંત્રીના ક્યારે હુ આમ કરવા માંગુ છું તેવું પણ બોલતા નથી. તેમને દિશા ન સુઝતી હોય તો આંખ બંધ કરીને ગુજરાતની દિશા પકડી લે, દેશની દિશા બદલાઈ જશે. યાત્રાને પ્રસ્થાન કરાવવા માટે ઉત્તર ગુજરાતમાંથી સેંકડોની સંખ્યામાં ભાજપના કાર્યકરો, નાગરિકો, સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ સહિત રાષ્ટ્રીય ભાજપના ઓમ માથુર, બલવીર પૂંજ, રાજ્યસભામાં વિપક્ષના નેતા અરુણ જેટલી, પૂર્વ અધ્યક્ષ રાજનાથસિંઘ સહિતના અનેકવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
૬ કરોડ ગુજરાતીઓના અવાજની ભાષા હિન્દી
બહુચરાજીમાં મોદીએ ગુજરાતીમાં બોલવાનુ શરૂ કર્યુંર્ હતું. મોટાભાગની રાષ્ટ્રીય ન્યુઝ ચેનલો પરથી તેનું જીવંત પ્રસારણ થઈ રહ્યું હોવાથી મુખ્યમંત્રીને ચીઠ્ઠી લખીને હિન્દીમાં ભાષણ કરવા પત્રકારોએ આગ્રહ કર્યો હતો. આ ચીઠ્ઠી વાંચીને નરેન્દ્ર મોદીએ ૬ કરોડ ગુજરાતીઓના અવાજને સાંભળવા હિંદુસ્તાન આતુર હોવાનું જણાવીને હિન્દીમાં ભાષણ શરૂ કર્યું હતું.
થપ્પડ ટીવીમાં વાગે, ચક્કર કોંગ્રેસને આવે
મોદી કહ્યું હતું કે, ટુ-જી, કોલગેટ, કોમનવેલ્થ જેવા કૌભાંડોના ભ્રષ્ટાચારના પૈસાથી કોંગ્રેસ દશા અને દિશા બદલવાની રોજની ૯૦-૯૦ જાહેરાત કરે છે. તેની સામે અમે ગુજરાતને કેન્દ્રનો અન્યાયની એક જ જાહેરાત આપી. આ જાહેરાતની થપ્પડ ટીવી ઉપર વાગે છે પણ તેનાથી દિલ્હીમાં આખી કોંગ્રેસને ચક્કર આવે છે. કોંગ્રેસના લોકો અમારી એક જ જાહેરાતને અટકાવવા કોર્ટમાં પહોંચી ગયા. મેં કહ્યું કે કોર્ટનો સમય શા માટે બગાડો છો ? આવી જાઓ આમને સામને. વાત કરી અને બાથ ભીડીએ. કેરોસીનમાં ૩૨ ટકાનો કાપ ઘટાડો, દિલ્હી- મુંબઈને મળતા ભાવે ગુજરાતને ગેસ આપો. અમે આ થપ્પડ બંધ કરી દઈશું પણ કેન્દ્રની કોંગ્રેસની સરકારને અન્યાય દૂર કરવાની તૈયાર નથી.
બહુચરાજીમાં સીએમ તરીકે મોદીની ત્રીજી સભા
બહુચરાજીમાં મોદીએ ત્રીજી વખત સભા યોજી છે. પૂર્વ મુખ્યમંત્રીઓમાં કેશુભાઈ પટેલ બે વખત શક્તિપીઠ બહુચરાજીના દર્શને આવ્યા હતા. જો કે, તેમણે કોઈ રાજકીય સભા- સંમેલન યોજ્યા નહોતા. શંકરસિંહ વાઘેલાએ મુખ્યમંત્રી થયા પછી આ દેવસ્થાનના આશીર્વાદ લીધા હતા. જ્યારે ચીમનભાઈ પટેલ અને માધવસિંહ સોલંકીએ ૭૦ અને ૮૦ના દાયકાઓમાં બહુચરાજીમાં બબ્બે વખત સભાઓ યોજી હતી. રાજ્યના પછાત વિસ્તાર અને મહેસાણા, પાટણ, અમદાવાદ જિલ્લાની ત્રિભેટે બહુચરાજી ગામમાં ભાજપની વિવેકાનંદ યાત્રાથી વાતાવરણમાં અને લોકોમાં નવો જુસ્સો સર્જાયો છે.
પીએમ અને કોંગ્રેસ ઈન્દિરા ગાંધીને રસ્તે ચાલી રહ્યા છે
મોદીએ કહ્યું હતું કે, જે સરકારી કે બંધારણીય સંસ્થા કોંગ્રેસની લાઈનદોરી મુજબ ન ચાલે તેની સામે આક્ષેપો કરવાની કોંગ્રેસની વર્ષોજુની રીત છે. પીએમ અને કોંગ્રેસ ઈન્દિરા ગાંધીને રસ્તે ચાલી રહ્યા છે. ઈન્દિરા ગાંધી જે રીતે વિરોધીઓને બદનામ કરતા હતા અને તેનાં પર દોષનો ટોપલો ઢોળતા હતા જેવી રીતે ટુજી કૌભાંડમાં સુપ્રીમ કોર્ટને જવાબદાર ઠેરવવામાં આવી હતી તેવી જ રીતે કોલસા કૌભાંડ મામલે હાલ સીએજી પર છાંટા ઉડાડાઈ રહ્યા છે.
મોદીનાં ચાબખાં
કોંગ્રેસ અને CBI ભેગાં મળીને ચૂંટણી લડશે
કોંગ્રેસના દિલ્હીના નેતા સમજી શકે તે માટે હિન્દીમાં બોલું છું
કોંગ્રેસ છેલ્લાં એક વર્ષથી ધમપછાડા કરી રહ્યો છે ત્યારે લોકો પૂછે છે કે નરેન્દ્ર મોદી કેમ શાંત બેઠા છે?
૧૦ વર્ષનો અનુભવ જોતા મને વિશ્વાસ છે કે, ગુજરાતની પ્રજાને ચૂંટણી જીતવા માટે અલગથી અપીલ કરવાની મારે જરૂર નથી
આજે આખો દેશ ગુજરાતનો અવાજ સાંભળવા માગે છે