ભાવનગર તા. ૧૧
ભાવનગર જિલ્લાના ઢાકણીયા અને અવાણીયા ગામના બે ખેડુત જંતુનાશક દવાની ઝેરી અસરથી મોતને ભેટતા ચકચાર મચી જવા પામી છે. જંતુનાશક દવાની અસરથી મૃત્યુના બનાવમાં વધારો થયો હોવાનુ જાણવા મળેલ છે, જે એક ગંભીર બાબત છે. માણસનુ મૃત્યુ થાય એટલી જલ્દ જંતુનાશક દવા બનાવતી કંપનીઓ સામે પણ પગલા લેવા જરૂર બની રહે છે.
- જંતુનાશક દવાની અસરથી થતા મૃત્યુના બનાવમાં વધારો
- માણસનુ મૃત્યુ થાય એટલી જલદ જંતુનાશક દવા બનાવતી કંપની સામે પગલા લેવા જરૂરી
પ્રથમ બનાવમાં પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, બોટાદ તાલુકાના ઢાકણીયા ગામે રહેતા જાદવભાઈ ગણેશભાઈ સોલંકી કોળી (ઉ.પપ) ગત તા. ૬ સપ્ટેમ્બરે સવારના સમયે રસીકભાઈ કળથીયાની વાડીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા હતા ત્યારે તેમને ઝેરી દવાની અસર થતા તેઓને તત્કાલ ધોરણે સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયાં તેઓનુ આજે મંગળવારે સાંજના સમયે મોત નિપજયું હતું.
બીજા બનાવમાં, ઘોઘા તાલુકાના અવાણીયા ગામે રહેતા ગણેશભાઈ ભોળાભાઈ મકવાણા કોળી (ઉ.પપ) ગત તા. ૮ સપ્ટેમ્બરે સવારના સમયે ખોડુભા ગોહિલની વાડીમાં પાકને જંતુનાશક દવાનો છંટકાવ કરતા હતા ત્યારે તેમને ઝેરી દવાની અસર થતા તેઓને ગંભીર હાલતે તાત્કાલીક સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયાં તેઓનુ આજે મંગળવારે બપોરના સમયે મોત નિપજયું હતુ તેમ હોસ્પિટલ ચોકીના સુત્રોએ જણાવેલ છે.