કુદનકુલમ, તા. ૧૧
- ન્યૂક્લિયર પ્લાન્ટ વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો
- પોલીસ એક્શન સામે તામિલનાડુના અન્ય શહેરોમાં પણ વિરોધ
તામિલનાડુના તિરુનવેલી જિલ્લાના કુદનકુલમમાં ન્યૂક્લિયર પ્લાન્ટના વિરોધમાં બે દિવસના પ્રદર્શનો બાદ હાલ પરિસ્થિતિ સામાન્ય છે. પ્લાન્ટની બાજુમાં આવેલા અને વિરોધના એપી સેન્ટર મનાતા ઇન્ડિથાકરઈ ગામમાં આજે કોઈ અનિચ્છનિય ઘટના બની ન હતી. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયાં છે. આ મામલે પોલીસે અત્યાર સુધી ૧૦૫૦ લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યા પ્રમાણે જુદાજુદા રાજકીય પક્ષોના નેતાઓએ પ્રદર્શનો કર્યાં હતા અને ધરપકડ વહોરી હતી. બીજી તરફ ન્યૂક્લિયર પ્લાન્ટને શરૂ થતો અટકાવવા મામલે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન કરવામાં આવી છે.
પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે સ્થિતિ એકંદરે શાંતિ રહી હતી, પોલીસને ગામમાંથી હટાવી લેવાઈ છે અને સ્કુલ તેમજ દુકાનો ખુલી ગઈ છે. જો કે આ મામલે સુરક્ષા અંગે ચાપતી નજર રાખવામાં આવી રહી છે. સોમવારે કુદનકુલમ નજીક દરિયાકાંઠે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. કુદનકુલમનો વિરોધ મંગળવારે ચેન્નાઈ, કન્યાકુમારી તેમજ કોઈમ્બતુર સુધી પહોંચ્યો છે. પોલીસે જણાવ્યું છે કે લોકસભાના સાંસદ થિરૂમાવલાન અને એમડીએમકેના નેતા મલ્લાઈ સાથ્યા તથા એમડીએમકેના ૭૫૦ કાર્યકર્તાઓ સહિત ૧૦૫૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હવે ન્યૂક્લિયર પ્લાન્ટનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સામાજીક કાર્યકર્તા જી. સુંદરરાજન દ્વારા સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન કરવામાં આવી છે. આ અરજીમાં માગ કરાઈ છે કે કેન્દ્ર સરકાર અને અન્ય ઓથોરીટી દ્વારા શરૂ કરાઈ રહેલા આ પ્લાન્ટને અટકાવવામાં આવે.
બીજી તરફ આ આંદોલનના મુખ્ય લીડર ઉદયકુમારે કહ્યું છે કે તે મંગળવારે રાત્રે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરશે. જો કે તેમણે જણાવ્યું હતું કે તેમની ધરપકડ બાદ પણ એન્ટી ન્યુક્લિયર એનર્જી આંદોલન ચાલુ રહેશે. મહત્વની બિન રાજકીય વ્યક્તિઓ સાથે તેઓ આત્મસમર્પણ કરશે. સોમવારે પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો અને ટિયર ગેસના સેલ છોડયા હતાં. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ પણ સર્જાઈ હતી. આ ઘટનાના વિરોધમાં તામિલનાડૂના તૂતીકોરિન જિલ્લાના એક ગામમાં ૪૦૦ જેટલા લોકોએ પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો. પોલીસે બચાવમાં ફાયરિંગ કરતાં એક વ્યક્તિનું મોત થયું હતું.