નવી દિલ્હી, તા. ૧૧
કોલસા કૌભાંડમાં કોંગ્રેસની પ્રતિષ્ઠા સુધારવા સોનિયા રાજીનામા માગી શકે છે
કોલસા કૌભાંડમાં કોંગ્રેસની ખરડાયેલી પ્રતિષ્ઠા હવે કેન્દ્રનાં ટુરિઝમ પ્રધાન સુબોધકાંત સહાય અને કોલસા પ્રધાન શ્રીપ્રકાશ જયસ્વાલનો ભોગ લઈ શકે છે. કૌભાંડમાં જેમનાં હાથ કાળા થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તેવા સુબોધકાંત સહાય અને જયસ્વાલનું કોંગ્રેસ પ્રમુખ સોનિયા દ્વારા રાજીનામું માગવામાં આવે તેવી શક્યતા છે. કોંગ્રેસ મોવડીમંડળ કૌભાંડને કારણે ખરડાયેલી પક્ષની પ્રતિષ્ઠા સુધારવા કડક પગલાં લેવા વિચારી રહ્યું છે. આમાં સહાય અને જયસ્વાલનું પ્રધાનપદું છીનવાઈ શકે છે.
કૌભાંડમાં કોંગ્રેસની સંડોવણીનાં ભાજપ અને વિપક્ષો દ્વારા કરવામાં આક્ષેપોનો કોંગ્રેસ હાઈકમાન્ડ સતત પ્રતિકાર કરી રહ્યું છે. પણ આ મામલામાં બંને પ્રધાનોનો રાજકીય ભોગ લેવાય તેવી શક્યતા છે. આ ઉપરાંત વિજય દરડા, નવીન જિન્દાલ તેમજ રાજ્યકક્ષાનાં ભૂતપૂર્વ કોલસા પ્રધાન સંતોષ બાગરોડિયા સામે પગલાં લેવાય તેવી પણ શક્યતા છે.
કોલ બ્લોક્સની ફાળવણીમાં કોંગ્રેસનાં સભ્યોની કહેવાતી સંડોવણી એવું પૂરવાર કરી રહી છે કે સરકાર અને કોલ બ્લોક્સ મેળવનારાઓ વચ્ચે કોઈ સાંઠગાંઠ છે જેને પરિણામે સરકાર અને કોંગ્રેસે વિપક્ષોનાં આક્ષેપોનો સામનો કરવો પડે છે. સોનિયા ગાંધી આવતા મહિને સરકાર અને પક્ષમાં મોટા ફેરફાર કરવા વિચારી રહ્યા છે ત્યારે સહાય અને જયસ્વાલને તેમનાં હોદા છોડવા ફરજ પડાય તેવી સંભાવના છે.
સહાયે તેમનાં નાના ભાઈ જે કંપનીમાં ડિરેકટર હતા તે કંપનીને કોલ બ્લોક્સ ફાળવવા વડાપ્રધાનને વિનંતી કરતો પત્ર લખ્યો હતો. આ પછી બીજા દિવસે જ તેમનાં ભાઈની કંપની એસકેએસ ઈસ્પાત એન્ડ પાવરને કોલ બ્લોક્સ ફાળવાયો હતો. આમાં સહાય તેમની સંડોવણીનો બચાવ કરી શકે તેમ નથી તેથી તેમનું પ્રધાનપદુ છીનવાઈ શકે છે.
જ્યારે કોલસા પ્રધાન જયસ્વાલ કોલ બ્લોક્સની વિવાદાસ્પદ ફાળવણીમાં આ બ્લોક્સ કેવી રીતે અને શા માટે જુની પધ્ધતિ મુજબ ફાળવવામાં આવ્યા તે અંગે સરકારનો યોગ્ય રીતે બચાવ કરી શક્યા નથી તેથી તેમનું પત્તુ કપાય તેવી શક્યતા છે. કોંગ્રેસનાં સાંસદ વિજય દરડાનું નામ સીબીઆઈ દ્વારા આ કેસમાં કરેલી એફઆઈઆરમાં ચમક્યું છે તેથી તેમની સામે પગલા લેવાઈ શકે છે. જિન્દાલ પાવરનાં જિન્દાલ દ્વારા સસ્તો કોલસો મેળવીને ગ્રાહકોને સસ્તા દરે વીજળી પૂરી નહીં પાડવા માટે કસુરવાર ઠરાવવામાં આવ્યા છે.