ભુજ, તા.૧૧
ભુજનાં ભાનુશાલીનગરમાં આવેલા કર્મભૂમિ એપાર્ટમેન્ટમાં પાંચ માળના ફલેટની છત તૂટતાં એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે એકને ગંભીર ઈજાઓ સહિત પરિવારનાં કુલ ચાર જણને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. શહેરમાં વર્ષ ર૦૦૧નાં ભૂકંપ બાદ અત્યાર સુધી નીંભરતા દાખવી રહેલા તંત્ર માટે ભયસૂચક સિગ્નલ સમાન બનાવ છે. કારણ કે, ભુજમાં ભૂકંપમાં જર્જરિત થયેલી અનેક બહુમાળી ઈમારતો હજુ પણ શહેરીજનો પર મોતનો ભય બની ઝળૂંબી રહી છે. ભૂકંપ બાદ આવી ઈમારતોનો સર્વે કરી તેને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ સાધનો અને આયોજનનો અભાવ તેમજ વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધી આ મામલે એકબીજા તંત્ર પર જવાબદારીની ફેંકાફેંક કરવાની ચાલુ રહેતાં ભયજનક બની ગયેલી ઈમારતો તો સલામત રહી છે, પરંતુ તેમાં રહેતા સેંકડો પરિવારની સલામતી કેટલી છે ? તે કર્મભૂમિ એપાર્ટમેન્ટની ઘટના પરથી સ્પષ્ટ સમજી શકાય તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.
- જર્જરિત બહુમાળી મકાનોનાં દુષ્પરિણામ અંગે જવાબદારોની ગંભીર નીંભરતા
શહેરની ભયજનક ઈમારતો અંગે સૂત્રોનાં જણાવ્યાનુસાર ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થયેલી બહુમાળી ઈમારતો પૈકીની કોઈપણ ઈમારત કર્મભૂમિ જેવા કે કદાચ તેનાથી પણ વધુ ભયનજક પરિણામો બતાવી શકે તેમ છે. જાણકારોનાં મતે વર્ષ ર૦૦૧ પૂર્વે નિર્માણ કરવામાં આવેલી બહુમાળી ઈમારતોમાં ભૂકંપપ્રૂફ સ્ટ્રક્ચર કે નીતિ નિયમોની અમલવારી ભાગ્યે જ કરવામાં આવી હશે તેવામાં ભયાનક ભૂકંપે શહેરમાં અંદાજે ૧૩૦ બિલ્ડિંગોને ધરાશાયી કરી હતી, તો આવી અનેક ઈમારતોને મોટા પ્રમાણમાં ક્ષતિગ્રસ્ત પણ કરી હતી. જે ભયજનક ઈમારતોનો તત્કાલીન સમયે સર્વે કરવામાં આવ્યો હતો અને જર્જરિત બની ગયેલી બિલ્ડિંગોને તોડી પાડવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ કેટલાંક વગદારોએ થાગડથીગડ કરાવી ઈમારતોને જોખમી કેટેગરીમાંથી બાકાત કરાવી લીધી, તો કેટલાંક બહુમાળી મકાનો હજુ પણ યોગ્ય રિટ્રોફીટિંગ કરાવ્યા વિના રહેણાક માટે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે, તો બીજીતરફ જવાબદાર તંત્ર પણ સાધનો અને ટેકનોલોજીનાં અભાવનાં કારણે ઈમારતોને તોડવાની જવાબદારી સ્વીકારવામાં ફેંકાફેંક કરી રહ્યા હોવાનો જાણકારો આક્ષેપ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભૂકંપ બાદ પણ બે હજારથી પણ વધુ આંચકાઓ કચ્છમાં અનુભવાયા છે, ત્યારે જર્જરિત ઈમારતો કદાચ બહારથી કહેવા પૂરતી મજબૂત દેખાતી હોય તો પણ મોટા ભાગની આંતરિકરીતે ખખડી ગઈ છે, ત્યારે આ સ્થિતિમાં કર્મભૂમિ એપાર્ટમેન્ટ કે કદાચ તેનાથી પણ વધુ ગંભીર ઘટનાની સંભાવના કોઈ નકારી શકે તેમ નથી.
ભૂતકાળ ભૂલવા નહીં પણ શીખવા માટે હોય છે
કહેવાય છે કે, કોઈપણ સારી નરસી ઘટનાઓનો ભૂતકાળ ભૂલી જવા માટે નહીં, પરંતુ તેમાંથી શીખ મેળવવા માટે યાદ રાખવો જોઈએ, પરંતુ કચ્છમાં ભૂકંપની ભયાવહ કરૂણાંતિકાઓ કદાચ વ્યસ્ત તંત્ર અને કહેવાતા જન પ્રતિનિધિઓ વિસરી ગયા હોય તેમ ભયજનક ઈમારતોને તોડવાની બાબત અંગે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. આવા સંજોગોમાં કર્મભૂમિ એપાર્ટમેન્ટનાં બનાવથી તંત્રને ફરી એકવખત જર્જરિત ઈમારતોને ઊભી રાખવાનાં પરિણામ અંગે ચિંતન કરવા સમજાવ્યુ ંહશે તેવું જાણકારો કહી રહ્યા છે.