વડોદરા,તા.૧૭
વડોદરા શહેર અને જિલ્લાની મળીને ૩૦૯ ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં ફાજલ ૩૫૦થી વધુ શિક્ષકોને હજુ સુધી પ્રાથમિક શાળામાં લેવાયા નહીં હોવાથી છેલ્લા ૪ મહિનાથી આ શિક્ષકો ઘરે બેઠા પગાર મેળવી રહ્યાં છે તો બીજી તરફ પ્રાથમિક શાળામાં ભેળવી દેવામાં આવેલા ધો.૮ માટે શિક્ષકોની ઘટ પડી રહી છે તેમ છતાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સમયસર કામગીરી કરવામાં આવતી નથી.
- શહેર જિલ્લાની ૩૦૦ થી વધુ માધ્યમિક શાળાઓમાં
- બીજી તરફ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ વર્તાઇ રહી છે
- હજુ આખા રાજ્યામા ફાજલ શિક્ષકોને સમાવવાની કાર્યવાહી બાકી છે : ડીઇઓ
વડોદરા શહેર જિલ્લામાં મળીને હજુ ૩૫૦ જેટલા શિક્ષકોને સમાવાયા નથી. જૂન માસથી આ શિક્ષકો ફાજલ થયા છે મતલબ કે છેલ્લા ૪ માસથી આ શિક્ષકો કામ વગર ઘરે બેઠા પગાર મેળવી રહ્યાં છે તો બીજી તરફ સ્થિતિ એ છે કે ધો.૮ ને પ્રાથમિક શાળાઓમાં ભેળવી દેવામાં આવ્યું હોવાથી ત્યાં શિક્ષકોની ઘટ ઊભી થઇ છે. જેથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્યને સીધી અસર પહોંચી રહી છે. એક તરફ શિક્ષકો ફાજલ બેસી રહ્યા છે અને બીજી તરફ શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે આવી વિચિત્ર સ્થિતિ માત્ર જિલ્લા શિક્ષણાધિકારીના મનસ્વી વહીવટના કારણે ઊભી થઇ હોવાનો શિક્ષકો આક્ષેપ કરી રહ્યાં છે.
રાજ્યના અન્ય જિલ્લાઓમાં ફાજલ શિક્ષકોને પ્રાથમિકમાં સમાવી લેવાયા છે અને ત્યાં ફાજલ શિક્ષકોનો રેસિયો ઝીરો થઇ ગયો હોવાનું શિક્ષણ જગતના અગ્રણીઓ જણાવી રહ્યાં છે રાજ્યમાં એક માત્ર વડોદરા જિલ્લામાં જ આ સ્થિતિ હોવાથી આશ્ચર્ય સર્જાઇ રહ્યું છે.
આ સંબંધે જિલ્લા શિક્ષણાધિકારી એસ.પી.ચૌધરીએ જણાવ્યુ હતુ કે ૫૫૦ શિક્ષકો ફાજલ પડયા હતા તેમાથી ૨૦૦ તો સમાવી લેવાયા છે અને બાકીનાને સમાવવાની કામગીરી ચાલુ છે. જે શિક્ષકો તાજેતરમા નિવૃત થશે તેમના સ્થાને ફાજલ શિક્ષકોને માધ્યમીકમા સમાવી લેવાશે બાકીનાને પ્રાથમિકમાં સમાવી લેવાશે. હજુ તો આખા રાજ્યમા આ કામગીરી બાકી છે. અમદાવાદ જેવા સેન્ટરો પર તો ૨ હજાર શિક્ષકો ફાજલ હોવા છતા ત્યાં કામગીરી બાકી છે.