સુરત,તા.૧૯
કતારગામમાં ગેરકાયદેસર બંધાઈ રહેલા એપાર્ટમેન્ટની દીવાલ પડી જવાથી કિશોરના મોત થવાના પ્રકરણમાં ગતરોજ આરોપી જી.સી.ગોપાણી કતારગામ પોલીસ મથકમાં હાજર થયા બાદ તેની ધરપકડ કરાયા બાદ આજરોજ ગોપાણીનો જામીન પર છુટકારો થયો હતો.
- કોન્ટ્રાક્ટર અને આર્કિટેક્ટને શોધતી પોલીસ
કતારગામ પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર ૯મીએ મોડી સાંજે કતારગામ ગામતળમાં ચાર માળના ગેરકાયદે એપાર્ટમેન્ટના ત્રીજા માળની દીવાલ પડી જતાં અખિલ ઠક્કર નામના ૧૪ વર્ષીય બાળકનું મોત થયું હતું ત્યારે ૧૦ વર્ષીય મહાવીર પાંચમા દિવસે પણ ગંભીર છે. આ દુર્ઘટના બાદ તરત જ કોર્પોરેટર જી.સી.ગોપાણી તથા તેના ભાગીદારો નાસી છૂટયા હતા. છેલ્લા ૩૫ દિવસથી જી.સી.ગોપાણી અને તેના ભાગીદારો સ્થળ પર જાતે ઊભા રહીને એપાર્ટમેન્ટનું બાંધકામ કરાવતા હોવાનું લોકોએ નજરે જોયું છે.
ફરિયાદ પણ જી.સી.ગોપાણી અને કોન્ટ્રાક્ટર અને ઇજનેર વિરુદ્ધ નોંધાઈ હતી. કતારગામમાં ચાલતા સરવે નંબર ૭૩વાળી આ જગ્યા સિટી સરવે કચેરીમાં રણજિતરાય દેસાઈના નામે બોલે છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત અનુસાર ૧૮-૧૧-૨૦૦૫ના રોજ દસ્તાવેજ રજિસ્ટ્રેશન નંબર ૧૧૫૪૮ હેઠળ આ જગ્યા રણજિતરાય દેસાઈએ નીતા ઉર્ફે ગોરી ગોપાલ ધોળકિયાને વેચાણથી આપી હતી. આ જગ્યા જાન્યુઆરી ૨૦૧૨માં ગોરીબેન પાસેથી પુરુષોત્તમ અવૈયાએ વેચાણથી રાખી હતી. માત્ર ૭૧ વારના પ્લોટ પર એપાર્ટમેન્ટનો પ્લાન મંજૂર થઈ શકે કેમ નહીં હોવાથી ગેરકાયદે બાંધકામ કરી રાતોરાત એપાર્ટમેન્ટ ચણી દેવાયું હતું. આ એપાર્ટમેન્ટમાં જી.સી.ગોપાણી અને પુરુષોત્તમ અવૈયા ઉપરાંત હિંમતભાઈ ઘનશ્યામ નામના ઇસમો ભાગીદાર હતા.
પોલીસે આ પહેલાં પુરુષોત્તમ અવૈયાની ધરપકડ કરી હતી. પોલીસ ગોપાણીને શોધી રહી હતી તે દરમિયાન મંગળવારે રાત્રે ગોપાણી કતારગામ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. મધરાત્રે પોલીસે ગોપાણીની ધરપકડ કરી હતી. આજરોજ તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે એક દિવસના પણ રિમાંડ માંગ્યા નહોતા. દરમિયાન ગોપાણી વતી તેના વકીલે જામીન અરજી મૂકતા કોર્ટે ગોપાણીને જામીન પર મુક્ત કર્યો હતો. પોલીસ એપાર્ટમેન્ટ બનાવનાર કોન્ટ્રાક્ટર સુરેશ અને આર્કિટેક્ટ અશ્વિનને શોધી રહી છે.