સુરત, તા.૧૯
માંગરોળ તાલુકાના નાનીનરોલી ગામે કાર્યરત જીઆઈપીસીએલ કંપનીએ લિગ્નાઈટના ખાણોનાં ખોદકામ માટે તાલુકાનાં સાત ગામોની અંદાજે ૮૦૦ હેકટર તથા વાલિયા તાલુકાનાં પાંચ ગામોની અંદાજે ૧૨૦૦ હેકટર જમીન મળી કુલ ૨૦૦૦ હેકટર જેટલી જમીન ખેડૂતોને ફોસલાવીને સસ્તા દરો ચૂકવી, સંપાદન કરી લેવામાં આવી હોવાનો આક્ષેપ તા.૧૯નાં રોજ કોસમાડી ગામે ખેડૂત આગેવાનોની યોજાયેલી બેઠકમાં કરવામાં આવ્યો હતો. આ સાથે જ આગામી દિવસોમાં લડતની નીતિ નક્કી કરવાની જાહેરાત પણ આ તકે કરાઈ હતી.
- કોસમાડીમાં ખેડૂત આગેવાનોની બેઠક યોજાઈ : કંપનીએ ખેડૂતોની જમીન સસ્તા દરે સંપાદન કરી હોવાનો આક્ષેપ
માંગરોળના નાનીનરોલી ગામે કાર્યરત જીઆઈપીસીએલ દ્વારા જમીન સંપાદનની કાર્યવાહીથી ઘણાં સમયથી ખેડૂતો સાથે ગજગ્રાહ ચાલી રહ્યો છે. આ સંદર્ભે કંપની સામે મક્કમતાપૂર્વક આંદોલન શરૂ કરવાનાં આયોજનની ચર્ચા માટે ખેડૂત આગેવાનોની આ બેઠક યોજાઈ હતી. જેમાં આશરે ૧૫૦ જેટલા ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ઉપસ્થિત ખેડૂત આગેવાનો કનુભાઈ વસાવા, કેતન ભટ્ટ, ચંદુભાઈ વસાવા વગેરેએ જણાવ્યું કે, કંપનીએ ગરીબ આદિવાસી ખેડૂતોને પટાવી- ફોસલાવીને આ જમીન નજીવા દરે સંપાદન કરી પડાવી લીધી છે. ખેડૂતોને આ જમીનનું પૂરું વળતર કંપનીએ ચુકવવું જોઈએ. આઝાદીને ૬૫ વર્ષનો સમય વીતી ગયો છે. છતાં દેશની જમીન સંપાદન કરવા ૧૮૯૪નાં કાયદાનો ખેડૂતો ભોગ બની રહ્યાં છે. મોટાભાગની જમીનના માલિકો આદિવાસી છે. અને આ જમીનો ૭૩-એ-એ ધરાવે છે. તેમણે ખેડૂતોને આ અંગેની લડત મક્કમતાપૂર્વક શરૂ કરવા હાકલ કરી, માંગરોળ અને વાલિયા તાલુકાનાં ખેડૂતો સંયુક્ત રીતે આ લડત ચલાવશે તેમ જણાવ્યું હતુ.
ગણેશ સુગર ફેકટરીનાં ચેરમેન સંદિપસિંહ માંગરોલાએ જણાવ્યું કે, વાલિયા તાલુકાના ભોગ બનેલા ખેડૂતો છેલ્લા છ માસથી લડત ચલાવી રહ્યાં છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, કેટલાક આગેવાનો આ લડતને નબળી પાડવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ એમને સફળતા મળવાની નથી. કંપની સામે મક્કમતાપૂર્વક લડત શરૂ કરવા માટે ટૂંક સમયમાં રણનીતિની જાહેરાત કરાશે. બેઠકમાં કનુ વસાવા, કેતન ભટ્ટ, મોહમદ પાંડોર સહિત મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, નાનીનરોલીમાં જીઆઈપીસીએલે અગાઉ પણ જમીન સંપાદન કરતાં તાલુકામાંથી વિરોધ વંટોળ ઉભો થયો હતો. તેમ છતાં કંપનીએ નીતિ ચાલુ રાખી હોવાની બૂમ ઉઠી છે.