નવી દિલ્હી, તા. ૨૧
ઇક્વિટી માર્કેટમાં રિટેલ ઇન્વેસ્ટર્સ માટે જાહેર કરવામાં આવેલી સરકારની રાજીવ ગાંધી ઇક્વિટી સેવિંગ્સ સ્કીમ યોજનામાં નાના રોકાણકારો સીધા રોકાણ કરી શકે એ માટે મ્યુચ્યુઅલ ફંડ(એમએફ) અને એક્સચેંજ ટ્રેડેડ ફંડ(ઇટીએફ) માટે પણ ખુલ્લી મુકાશે એમ નાણામંત્રી પી. ચિદમ્બરમ્ જાહેર કર્યું છે.
સોનામાં રોકાણને બદલે ઘરેલું બચતને બજારમાં લાવવા માટે સરકારે આ યોજનાને જાહેર કરવા માટે આયોજન કર્યું છે. રૂ.૧૦ લાખની વાર્ષિક આવક ધરાવતા અને રૂ.૫૦,૦૦૦ સુધીનું રોકાણ કરવા માગતા રોકાણકારો માટે આ યોજના જાહેર કરવામાં આવી છે. આગામી બે સપ્તાહમાં આ યોજના અંગેની વિસતૃત જાહેરાત કરવામાં આવશે.
નવરત્ન ક્ષેત્રની પીએસયુ જેવી બીએસઇ૧૦૦ અને નિફ્ટી૧૦૦માં રોકાણ કરતા રીટેલ ઇન્વેસ્ટર્સને આ યોજનાનો લાભ મળશે. ઉપરાંત, જે પીયુસી કંપનીઓનું વાર્ષિક ટર્નઓવર રૂ.૪,૦૦૦ કરોડથી વધારે હોય તેવી કંપનીઓના આઇપીઓ કે એફપીઓમાં રોકાણને પણ આ યોજનાનો લાભ મળશે. જેને પગલે સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટના પગલાંને મોટો ફાયદો થશે.
સાથોસાથ, લાયકાત ધરાવતી લિસ્ટેક સિક્યુરિટીઝના એમએફ કે ઇટીએફમાં કરવામાં આવેલા રોકાણને પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
રીટેલ ઇન્વેસ્ટરો માટે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે શેરબજારમાં રોકાણ બદલ ટેક્સ બેનીફિટનો લાભ આપતી આ સ્કીમ લોકિંગ પિરિયડને આધીન છે, જે ખરીદીના ત્રણ વર્ષનો રહેશે. આ સ્કીમ હેઠળ આવકવેરાના લાભ માટે નવી કલમ ૮૦ સીસીજી લાગુ પડશે. જે ફાયનાન્સ એક્ટ-૨૦૧૨માં નિર્દીષ્ટ છે. યોજનાનો લાભ દરેક કોઇ રીટેલ ઇન્વેસ્ટર લઇ શકશે. જો કે, આ માટે તેનો પાન નંબર ફરજિયાત છે. તેમજ જે રોકાણકારોએ ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યું છે, પરંતુ નોટિફિકેશન જારી થયાની તારીખ સુધી કોઇપણ સોદો યા ટ્રેડિંગ કર્યુ નથી તેવા તેમજ નવું એકાઉન્ટ ખોલવનાર ફર્સ્ટ હોલ્ડર પૂરતો આ લાભ સિમિત રહેશે.
કેટલીક નિયત શરતોને આધિન આ સ્કીમ હેઠળ લોકિંગ પિરિયડ ત્રણ વર્ષનો હોવા છતાં રોકાણકાર તેના રોકાણના પ્રથમ વર્ષ પછી સ્ટોક સ્પેશિફિક રિસ્ક અગર તો પ્રતિકુળ બજાર સંજોગો સામે પોતાના જોખમને સિમિત બનાવવાના તેમજ પ્રોફિટ બુક કરવાના આશયથી શેરનું વેચાણ કરી શકશે.