વડોદરા, તા.૨૦
દિવસ અને રાત એક સરખા થતાં હોવાની ખગોળિય ઘટનાને શરદ સંપાત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. શરદ સંપાત નિમિત્તે દિવસ અને રાત લગભગ ૧૨-૧૨ કલાકના થઇ જાય છે. તા. ૨૨ સપ્ટેમ્બરના રોજ આ રોમાંચક ખગોળિય ઘટના બનવાની છે. ત્યારે દિવસ ૧૨.૦૭ અને રાત ૧૧.૫૩ કલાકની રહેશે.
સૂર્યનારાયણ જે રસ્તે ચાલે છે તેને ક્રાંતિવૃત કહે છે. પૃથ્વીની વિષુવવૃતિય રેખા જ્યારે પણ આ કાલ્પનિક રેખાને સ્પર્શે ત્યારે શરદ સંપાતની ખગોળિય ઘટના સર્જાય છે. અને તેને કારણે દિવસ અને રાતનો સમય લગભગ એકસરખો જોવા મળે છે. આ અંગે વાતચીત કરતા શહેરની ગુરુદેવ વેધશાળાના ખગોળ અભ્યાસુ દિવ્ય દર્શન પુરોહિત જણાવે છે કે, ગત વર્ષે ૨૩ સપ્ટેમ્બરે શરદ સંપાત દિનનું નિર્માણ થયું હતું તેમ આ વર્ષે ૨૨ સપ્ટેમ્બરે શરદ સંપાતની ખગોળિય ઘટના સર્જાશે.
ભારતીય સમય અનુસાર રાત્રિના ૮.૧૮ કલાકે સૂર્ય વિષુવવૃતની રેખાને પાર કરશે. અને કન્યા રાશિનો સૂર્યોદય વડોદરામાં સવારે ૬.૨૩ કલાકે જયારે સૂર્યાસ્ત સાંજે ૬.૩૩ કલાકે થશે. જેના કારણે દિવસનો સમય ૧૨.૦૭ કલાક અને રાત્રિનો સમય ૧૧.૫૩ કલાકનો રહેશે. અને દિવસ રાતના સમયમાં માત્ર ૧૪ મિનિટનો ફેર જોવા મળશે.શરદ સંપાતની ખગોળિય ઘટના સાથે સૂર્ય અને પૃથ્વીની અદ્ભૂત કળાઓ સ્પષ્ટ થાય છે. આ દિવસથી આપણી ત્યાં દિવસ ટૂંકો થશે અને રાત લાંબી થશે. સૂર્ય દક્ષિણ ગોળાર્ધ તરફ નમતો હોવાને લીધે દક્ષિણ ગોળાર્ધમાં દિવસ લાંબો થશે અને રાત ટૂંકી થતી જશે. અને આગામી તા.૨૧ ડિસેમ્બરથી સૂર્યનો રસ્તો ફરીથી ઉત્તર તરફ આગળ વધશે.
આ ખગોળિય ઘટનાને પગલે હવેથી આપણા ઘરોમાં દક્ષિણના દરવાજા અને બારીમાંથી વધુ પ્રકાશ ફેલાતો અનુભવાશે. હવામાં ઠંડક વધતી જશે અને પક્ષીઓ અને પતંગિયા દક્ષિણ તરફ જતાં દેખાશે. શરદ સંપાત હાલ તુલા રાશિના બદલે કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને તેનું રાશિચક્ર દર ૬૦૦ વર્ષે બદલાતું હોવાની રસપ્રદ વિગતો પણ દિવ્ય દર્શન પુરોહિતે જણાવી હતી.