ભુજ,તા.૨૦
ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા સંચાર સેવાનો વ્યાપ વધારવાના હેતુથી વિવિધ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેમ છતાં પણ હજુ અનેક જગ્યાએ વારંવાર વિક્ષેપ સર્જાતા હોવાના કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પૂર્વ કચ્છનાં ગાંધીધામ,ભચાઉ તેમજ દુધઇ સહિતનાં વિસ્તારોમાં કેબલ કપાઇ જવાના પગલે સંચાર સેવા ખોરવાઇ જવા પામી હતી, જેનાં કારણે ટેલિફોન તથા બેંકિંગ સેવાને અસર પહોંચી હતી.
- બેંકિંગ સહિત વિવિધ વ્યવસાયકારોને નેટ બંધ થતાં હાલાકી
આ અંગે મળતી વિગતો પ્રમાણે બીએસએનએલ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારની ખામીઓની ફરિયાદો ઉઠી રહી છે.એક તરફ સેવાનો વ્યાપ વધ્યો છે, તો બીજી તરફ જેમ વ્યાપ વધ્યો તેમ ખામીઓ વધવાની ફરિયાદોની સંખ્યામાં પણ વધારો થયો છે.કચ્છમાં બે સ્થળોએ આજે કેબલ કપાઇ જવાના પગલે સંચાર સેવા ખોરવાઇ ગઇ હતી, જેમાં ગાંધીધામ-ભચાઉ તેમજ દુધઇ-ભચાઉ વચ્ચે ઓપ્ટીકલ ફાયબર કેબલ કપાઇ જવાના પગલે સંચાર સેવા ઠપ બની ગઇ હતી.જેના પગલે બ્રોડબેન્ડ, મોબાઇલ તેમજ લેન્ડલાઇન ફોન મૂંગા બન્યા હતાં, તો બેંકનાં એટીએમ તેમજ આંતરિક વહીવટી પ્રક્રિયા પણ ખોરંભે ચડી હતી.
પૂર્વ કચ્છના ભચાઉ અને સામખિયાળી વચ્ચે માર્ગનું કામ ચાલું હોતાં અવાર નવાર ઓ.એફ.ની કેબલ કપાતાં બીએસએનએલ સેવામાં વિપેક્ષ સર્જાઈ રહ્યો છે, ત્યારે આજે સવારે ભચાઉ અને સામખિયાળી વચ્ચે કેબલ કપાઈ જતાં કચ્છની બીએસએનએલ સેવા ઠપ થઈ હતી. જે ચાલીસ મિનિટ બાદ સેવા પૂર્વવત થઈ હતી.
બીએસએનએલના ડીજીએન પટેલેએ જણાવ્યું હતું કે, ભચાઉ અને સામખિયાળી વચ્ચે માર્ગનું કામ ચાલુ હોતાં કેબલ કપાયો હતો અને દૂરસંચાર વિભાગની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરી ચાલીસ મિનિટમાં સેવા પૂર્ણ કરી હતી.
આજે સવારના અગિયાર વાગ્યાથી બીએસએનએલ ડબલા, મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા ઠપ થઈ જતાં ગ્રાહકોને ખૂબ જ પરેસાની અનુભવવી પડી હતી તેમજ સવારના ઉઘડતી બેંકમાં ગ્રાહકોની કતારો જોવા મળી હતી.