ગાંધીધામ, તા. ર૦
આદિપુર શહેરના રામબાગ રોડ પર આવેલા વોર્ડ ૩એ મધ્યેના શ્યામસુંદર એપાર્ટમેન્ટમાં પાંચમાં માળેથી છજું તૂટીને ધડાકાભેર નીચે પટકાતાં રહેવાસીઓ ભય સાથે પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા ત્યારે સદનસીબે જાનમાલની કોઈ નુકસાની થવા પામી ન હતી.
- નીચે રમતા બાળક સહિત ત્રણ લોકોનો આબાદ બચાવ
- જોડિયાનગરની જોખમી બિલ્ડિંગ સામે તંત્ર જાગશે ખરું
બનાવની વિગત એવી છે ક, શૈક્ષણિક નગર આદિપુર મધ્યે આવેલા રામબાગ રોડ પર સંતોષીમા મંદિર ચાર રસ્તા પાસે વોર્ડ એમાં આવેલા શ્યામસુંદર એપાર્ટમેન્ટના પાંચમાં માળે આવેલું છજું સાંજના ૪.રપ વાગ્યાના અરસામાં અચાનક ઉપરથી નીચે પટકાતાં પ્રચંડ અવાજથી ગભરાયેલા રહીશો ઘરોની બહાર દોડી આવ્યા હતા, ત્યારે સમગ્ર બનાવને નજરે જોનારા લોકોના કહેવા મુજબ સાંજના અરસામાં જયારે પાંચમાં માળેથી છજું ઘડાકાભેર નીચે પટકાયું તે વેળાએ આસપાસમાં બાળકો તથા લોકો પસાર થઈ રહ્યા હતા, પરંતુ બનાવ સ્થળેથી થોડા સમય પહેલાં જ તેઓ અન્યત્ર ખસી જતાં મોટી નુકસાની ટળી હતી, ત્યારે ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.