નવી દિલ્હી, તા. ૨૭
મહિલાઓના પાયાના સ્તરે સશક્તિકરણના એક ઐતિહાસિક નિર્ણય અંતર્ગત સરકારે પંચાયતોમાં મહિલાઓ માટે અનામત વધારીને ૫૦ ટકા કરવાની દરખાસ્તને આજે બહાલી આપી હતી. પંચાયતોમાં તમામ સ્તરે મહિલાઓ માટે અનામત એક-તૃતીયાંશથી વધારીને ૫૦ ટકા કરવા બંધારણની કલમ ૨૪૩(ડી)માં સુધારા માટે ખરડો લાવવાનો નિર્ણય આજે અત્રે વડાપ્રધાન મનમોહનસિંહના અધ્યક્ષપદે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો હતો.
કેન્દ્રના માહિતી અને પ્રસારણ પ્રધાન અંબિકા સોનીએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, "આ એક ઐતિહાસિક નિર્ણય છે."
આજે મળેલી કેબિનેટની બેઠકમાં પંચાયતોમાં મહિલાઓ માટેની અનામત બેઠકોનોે વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. તેનો ઉદ્દેશ બંધારણના આર્િટકલ ૨૪૩(ડી)માં સુધારો કરવાનો છે, જેથી પંચાયતોમાં મહિલાઓ માટે ૫૦ ટકા બેઠકો અનામત રહેશે. તે માટે પંચાયતી રાજ મંત્રાલય સંસદના આગામી સત્રમાં ખરડો રજૂ કરે તેવી શક્યતા છે, એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે, શહેરી સ્થાનિક સત્તામંડળોમાં મહિલાઓ માટે ૫૦ ટકા અનામતની દરખાસ્ત પછીથી અલાયદી રીતે હાથ પર લેવાશે.
પંચાયતોમાં મહિલાઓ માટે અનામતની વધેલી ટકાવારી પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા ભરવામાં આવનારી બેઠકોની કુલ સંખ્યા, ચેરપર્સન્સની ઓફિસીસ અને અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) માટે અનામત બેઠકો અને ચેરપર્સન્સની ઓફિસીસ માટે લાગુ પડશે.
હાલમાં પંચાયતોમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે. ચોથી જૂને સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરતી વખતે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે કહ્યું હતું કે પંચાયતોમાં મહિલાઓ માટેની અનામત બેઠકોની મર્યાદાને વધારીને ૫૦ ટકા કરવામાં આવશે અને તેે માટે બંધારણમાં પણ ફેરફાર કરવામાં આવશે. જાતિ, જ્ઞાતિ સહિતના દરેક પ્રકારનાં ભેદભાવનો ભોગ મહિલાઓ બનતી હોવાથી તેઓ પોતાના હકથી વંચિત રહે છે. આ સુધારાથી તેમને વધારે સ્વતંત્રતા મળશે અને જાહેરજીવનમાં તેમની સહભાગિતા પણ વધશે.
ઉત્તરાખંડ, બિહાર, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશે આ પ્રસ્તાવનો અમલ કરવાની બાબતે પહેલ કરી હતી. બીજી તરફ રાજસ્થાને ૨૦૧૦માં પંચાયતોની ચૂંટણી યોજાય ત્યારે તેનો અમલ કરવાની જાહેરાત કરી છે તો કેરાલાએ પણ પંચાયતોમાં મહિલાઓ માટે ૫૦ ટકા અનામતના અમલનું વચન આપ્યું છે.