ઇસ્લામાબાદ, તા.૧૨
પાકિસ્તાનમાં ભરચક બજાર નજીકથી પસાર થતાં અર્ધલશ્કરી દળના મોટા કાફલાને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા વધુ એક આત્મઘાતી હુમલામાં ૪૧ લોકોનાં મોત થયાં છે અને અન્ય ૫૦ લોકો ઘાયલ થયા છે. જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. પાકિસ્તાનના માલાકંડ ડિવિઝનમાં શાંગલા જિલ્લામાં આ પ્રચંડ હુમલો કરવામાં આવ્યા બાદ ભારે અંધાધૂંધી ફેલાઇ ગઇ હતી.
રાવલપિંડીમાં આર્મી હેડક્વાટર્સ પર તાલિબાની ત્રાસવાદીઓએ હુમલો કર્યાના બે દિવસ બાદ ફરી ત્રાસવાદીઓ ત્રાટક્યા હતા. નવેસરના હુમલા માટેની જવાબદારી કોઇ સંગઠને સ્વીકારી નથી પરંતુ તાલિબાની ત્રાસવાદીઓએ તેમના લીડર બૈતુલ્લા મહેસૂદના મોતનો બદલો લેવા વધુ હુમલાઓ કરવાની ધમકી આપી છે.
સાક્ષીઓએ જણાવ્યું છે કે, આત્મઘાતી બોંબરે સુરક્ષા દળના વાહન નજીક પહોંચ્યા બાદ પોતાને ફૂંકી માર્યો હતો. અલપુરી ખાતેના બજારમાં હુમલો કરવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં લોકો હતા. માર્યા ગયેલાઓમાં મોટા ભાગના નાગરિકોનો સમાવેશ થાય છે. હુમલો પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક કરવામાં આવ્યો હતો. નોર્થવેસ્ટ ફ્ર્ન્ટિયર પ્રાંતના માહિતી પ્રધાન મિયા ઇફ્તીકારે જણાવ્યું હતું કે, હુમલામાં છ સુરક્ષા જવાનો સહિત ૪૧ લોકો માર્યા ગયા છે. સૈનિકો અને પોલીસ જવાનો સહિત આશરે ૫૦ લોકો ઘાયલ થયા છે. પાંચ સુરક્ષા જવાનોની હાલત ગંભીર જણાવવામાં આવી છે.
અધિકારીએ કહ્યું છે કે, સુરક્ષા કાફલાને ટાર્ગેટ બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો પરંતુ નાગરિકો વધુ સંખ્યામાં ભોગ બન્યા હતા. હુમલા માટેની જવાબદારી કોઇ સંગઠને સ્વીકારી નથી. વઝિરિસ્તાનમાં તાલિબાન સામે મોટું ઓપરેશન હાથ ધરવાની સુરક્ષા દળોએ તૈયારી કરી છે.
એક સપ્તાહથી પણ ઓછા સમયગાળામાં પાકિસ્તાનમાં આ ચોથો મોટો હુમલો કરવામાં આવ્યો છે. ગયા સપ્તાહમાં યુએનની ઓફિસમાં આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પાંચનાં મોત થયાં હતાં. અન્ય ૫૦ લોકો ઘાયલ થયા હતા. આર્મી હેડક્વાટર્સમાં પણ ત્રાસવાદીઓએ હાલમાં મોટી સંખ્યામાં લોકોને બાનમાં લઇ લીધા હતા. જેથી કમાન્ડો ઓપરેશન હાથ ધરવાની સેનાને ફરજ પડી હતી.