અમદાવાદ, તા. ૧૨
પુષ્ય નક્ષત્ર નિમિત્તે આજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડ બ્રેક ખરીદી થઈ હતી. મોડી રાત્રે મળતાં અંદાજો મુજબ આજના એક જ દિવસમાં અમદાવાદમાં ૩૦૦ કિલોથી વધુ સોનું વેચાયું હતું. સમગ્ર ગુજરાતમાં સોનાના વેચાણનો અંદાજ ૬૦૦ કિલોથી વધુ મુકાઈ રહ્યો છે. ગયા વર્ષે મંદીના માહોલમાં અમદાવાદમાં ૧પ૦ કિલો જેટલુ સોનું વેચાયું હતું. આજે સોના-ચાંદીના ભાવો ઓલ ટાઈમ હાઈ હોવા છતાં ગયા વર્ષની સરખામણીમાં વેચાણ લગભગ ડબલ થયું હતું.
આ ઉપરાંત, વિવિધ પ્રકારની ઇલેક્ટ્રોેનિક્સ ચીજો, વાહનોની પણ ખરીદી કરી હતી. આજે વહેલી સવારથી મોડી રાતના ૧૨.૫૮ કલાક સુધી ખરીદીના મુહૂર્તના કારણે સોના- ચાંદીના શો રૃમ્સ મોડી રાત સુધી ખુલ્લા રહ્યા હતા. હીરા બજારમાં પણ આજે ખરીદીમાં તેજી ભભૂકી હતી. અમદાવાદીઓએ વિદેશથી આવેલા બે વેપારીઓ એક જ દિવસમાં સાડા ત્રણ કરોડનાં પોલિશ્ડ હીરાની ખરીદી કરી ગયા છે.
આજે દસ ગ્રામનો સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ રૃા. ૧૬૨૨૫ જેટલો રહ્યો હતો. જે રેકોર્ડ બ્રેક અને ઓલ ટાઇમ હાઇ રહ્યો હતો. જેના કારણે ખરીદી કરનારા લોકો ભાવ સાંભળીને આંચકો અનુભવતા રહ્યા હતા. સોના -ચાંદીની ખરીદી માટેના જાણીતા સ્થળોમાં સીજી રોડ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી સોના- ચાંદીના શો રુમ્સ માટે શિવરંજની ચાર રસ્તા વિસ્તાર હબ બનતું જઇ રહ્યું છે. તે વિસ્તારોમાં લોકોનો ખરીદી માટે ભારે ધસારો રહ્યો હતો.
સોના- ચાંદી બજારના વર્તુળોએ આજે જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતાં આ વર્ષે લોકોએ મન મૂકીને ધૂમ ખરીદી કરી હતી. ગત વર્ષે લગભગ ૧૫૦ કિલોગ્રામ જેટલો સોનાનો વેપાર થયો હતો તેમાં આ વર્ષે બમણાથી પણ વધારે એમ ૪૦૦ કિલોગ્રામ જેટલો સોનાનો વેપાર થવા પામ્યો હતો.
દરમિયાન, ગઇ દિવાળીના નિરાશાના દિવસો કરતાં આ વખતે શહેરના સરદાર પટેલ ડાયમંડ માર્કેટમાં તદ્દન અલગ માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી બાપુનગરના ડાયમંડ માર્કેટમાં વિદેશના વેપારીઓની અવર જવર વધી રહી છે અને રોકડેથી માલ લઇ જતા હોવાનું સરદાર પટેલ ડાયમંડ માર્કેટના આગેવાનોએ જણાવ્યું હતું. વિવેકાનંદ ડાયમંડ માર્કેટના પ્રમુખ નરસિંહ પટેલે જણાવ્યું કે, છેલ્લા ચાર પાંચ દિવસથી બહારના વેપારીઓની પૂછપરછ વધી છે. અહીં ભાવનગર, સુરત અને અન્ય નાના સેન્ટરના વેપારીઓ પણ માલ વેચવા આવી રહ્યા છે. વિદેશમાંથી વેપારીઓ છેલ્લા ચાર દિવસમાં આશરે દસેક કરોડનો માલ ખરીદી ગયા છે. લગભગ ૧૫૦૦ કેરેટનો માલ વેચાયો છે.
અમદાવાદ ડાયમંડ માર્કેટ એસો.ના પ્રમુખ વિનુભાઇ જોગાણી અને મનુભાઇ કાતડિયાએ જણાવ્યું કે, હીરા બજારની રોનક પાછી ફરી છે. રાજ્યના અન્ય શહેરોના વેપારીઓ પણ પોલિશ્ડ હીરા અમદાવાદ લઇ આવે છે અને બધા ભેગા મળીને વિદેશી પાર્ટીઓને માલ વેચે છે. વેપારીઓ રોકડેથી માલ લઇ જતા હોવાથી વેપારીઓ નવો રફનો માલ પણ ઝડપથી ખરીદી શકશે. આના કારણે આ વખતે ડાયમંડ માર્કેટની સ્થિતિ સારી રહેશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી.