કોલકાતા,તા. ૨૭
નવી દિલ્હી જતી ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસને માઓવાદીના સંકજામાંથી આખરે છોડાવી લેવામાં આવી હતી. સીઆરપીએફના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને માઓવાદીઓને ખદેડી મૂક્યા હતા અને ટ્રેનને સુરક્ષિત રીતે રવાના કરવામાં આવી હતી.આની સાથે જ કલાકો સુધી ચાલેલા નાટકીય ઘટનાક્રમનો અંત આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું હતું કે ટ્રેનના તમામ યાત્રીઓ બિલકુલ સુરક્ષિત છે. તેમણે એમ પણ કહ્યું હતું કે એક રાહત ટ્રેન પણ રવાના કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્યેએ પણ આને સમર્થન આપ્યું છે.અપહરણ કરવામાં આવેલા ડ્રાઇવર અને આસિસ્ટન્ટ ડ્રાઇવરને છોડાવા માટે ગયેલા જવાનો સાથે માઓવાદીઓની અથડામણ પણ થઇ હતી. આ અથડામણમાં એક પોલીસ જવાનને ઇજા થઇ હતી.
અગાઉ પશ્ચિમ બંગાળના પશ્ચિમ મિદનાપુર જિલ્લામાં સ્ટેશન ખાતેથી માઓવાદીઓનો ટેકો ધરાવતા આદિવાસી સંગઠનના કાર્યકરો દ્વારા આજે ટ્રેનના ડ્રાઇવર અને આસિસ્ટન્ટ ડ્રાઇવરનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. રેલવે અને પોલીસ સૂુત્રોેએ જણાવ્યું લોકોના એક ટોળા દ્વારા દક્ષિણ પૂર્વ રેલવેના ખરગપુર ડિવિઝન ખાતે બપોરે ૨.૪૫ વાગે ૨૪૪૩ એ યુપી રાજધાની એક્સપ્રેસ ટ્રેનને રોકવામાં આવી હતી.માઓવાદીઓએ લીલીઝંડી દેખાડતા ટ્રેનને ડ્રાઇવરે રોકી દીધી હતી.
આ લોકો ટ્રેન ઝારગ્રામ માટે રવાના થઇ ત્યારે જ બન્સતાલા સ્ટેશન ખાતે ટ્રેક પર આવી ગયા હતા. અને ડ્રાઇવરની કેબિનમાં ઘૂસી ગયા હતા ત્યારબાદ ડ્રાઇવર અને આસિસ્ટન્ટને નિર્દય રીતે માર મારવામાં આવ્યો હતો. બન્નેને માર મારવામાં આવ્યા બાદ તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. એડિશનલ ડિરેક્ટર જનરલ (રેલવે પોલીસ) દિલીપ મિત્રાએ કહ્યું હતું કે ડ્રાઇવર કે. આનંદ રાવ અને આસિસ્ટન્ટ ડ્રાઇવર કે. જી. રાવને ઇજા થઇ હતી.
તેમણે કહ્યું હતું કે રેલવે પ્રોટેક્શન ફોર્સ અને જનરલ રેલવે પોલીસની ટુકડીને મોકલવામાં આવી હતી. સાઉથ ઇસ્ટર્ન રેલવેના પ્રવકતાએ કહ્યું છે કે, સાવતેચીનાં તમામ પગલાં લેવામાં આવ્યાં હતાં. પોલીસ અત્યાચાર સામે માઓવાદીનો ટેકો ધરાવતી પીપલ્સ કમિટીના સભ્યો જ અપહરણકાર હોવાનું જાણવા મળ્યું છે. ૩૩ મુદ્દાની માગણીને લઇને હાલમાં પશ્ચિમ મિદનાપુર જિલ્લામાં અચોક્કસ ુમુદતની હડતાળની હાકલ કરી હતી.માગણીઓમાં નિર્દોષ આદિવાસીઓ પર પોલીસ અત્યાચારને બંધ કરવાની માંગનો પણ સમાવેશ થાય છે.
રાજધાની એક્સપ્રેસના હાઈજેકનો ઘટનાક્રમ
૨૪૪૩એ અપ રાજધાની એક્સપ્રેસ દક્ષિણ પૂર્વ રેલવેના ખરગપુર ડિવિઝનના બન્સતાલા હોલ્ટ સ્ટેશન નજીક પ્રદર્શન કરી રહેલા કેટલાક વ્યકિતઓએ પાટા પર કબજો જમાવ્યો હોવાથી બપોરના ૨.૪૫ વાગે ઊભી રહી.
પ્રદર્શનકારીઓએ ડ્રાઈવરની કેબિનમાં ઘૂસ્યા અને ડ્રાઈવર અને આસિસ્ટન્ટ ડ્રાઈવરને માર માર્યો, બાદમાં તેમનું અપહરણ કરી લીધું
મારામારીમાં ડ્રાઈવર કે આનંદ રાવ અને આસિ.ડ્રાઈવર કે જી રાવને ઈજા થઈ
ટ્રેનને અટકાવાઈ ત્યારે ત્યાં ૫૦૦૦થી વધુ લોકો હાજર હતા
ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળ માટે જવાના રવાના થઈ જ્યાં બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ અને એક કોન્સ્ટેબલને ઈજા પહોંચી હતી.
આ પછી રેલવે પ્રોટેક્શન ફોર્સ(આરપીએફ) અને જનરલ રેલવે પોલીસના જવાનોને મોકલવામાં આવ્યા. સુરક્ષા જવાનોએ ટ્રેનને કોર્ડન કરી લીધી હતી. ટ્રેનમાં સવાર બધા જ મુસાફરો સલામત હતા.
પ્રદર્શનકારીઓ માઓવાદીઓનું પીઠબળ ધરાવતા પીપલ્સ કમિટી અગેન્સ પોલીસ એટ્રોસિટી(પીસીએપીએ)(પોલીસના દમનનો વિરોધ કરતું સંગઠન)ના સભ્યો હતા.
આ જૂથે પશ્ચિમ મિદનાપુર જિલ્લામાં ૩૩ માંગોને લઈને અનિશ્ચિત મુદ્દત સુધી બંધનું એલાન આપ્યું હતું.
જૂથની માંગમાં પોલીસ દ્વારા નિર્દોષોની થતી હેરાનગતિ બંધ થાય તેમ જ લાલગઢમાં નક્સલવાદીઓને ખદેડી મૂકવા માટે તૈનાત કરાયેલા સુરક્ષા જવાનોને દૂર કરવાની પણ માંગ હતી.
પીસીએપીએના પ્રવક્તા સંતોષ પાત્રાએ કહ્યું હતું કે, ડ્રાઈવરને સ્ટેશન નજીકની જગ્યાએ જ રાખવામાં આવ્યા છે.
સંતોષે માંગ કરી હતી કે, સમર્થકો પર પોલીસ અત્યાચાર કે ફાયરિંગ ન કરે તે માટે રેલવે પ્રધાન મમતા બેનરજીએ હસ્તક્ષેપ કરવો જોઈએ, તેમજ માઓવાદીઓને દૂર કરવાના અભિયાનમાં સમર્થકો પર અત્યાચાર ન થવા જોઈએ.