શ્રીનગર,તા.૨૯
વડાપ્રધાન મનમોહનસિંહે પાકિસ્તાનને આકરી ચેતવણી આપતા ત્રાસવાદને ડામવા તાકીદ કરી છે.વડાપ્રધાને જણાવ્યું હતું કે, પાકિસ્તાન સાથે દ્વિપક્ષી મંત્રણા માટે કોઈ શરત નથી પરંતુ પાક ભૂમિ પર સક્રિય ત્રાસવાદી જૂથો પર અસરકારક નિયંત્રણ ન મેળવાય ત્યાં સુધી મંત્રણાઓ પ્રગતિ કરી શકે તેમ નથી.તાલિબાનોને ભારત સહાય કરે છે તેવા પાકના આક્ષેપને વડાપ્રધાને વાહિયાત ગણાવ્યો હતો.
કાશ્મીર ખીણની બે દિવસની મુલાકાતને આટોપતા વડાપ્રધાને આશા દર્શાવી હતી કે, ભાગલાવાદીઓ અને અન્યો તમામ વર્ગો સાથેની મંત્રણા માટેની તેમની(વડાપ્રધાન)અપીલને વળતો પ્રતિભાવ આપીને સ્વીકારશે.પાકિસ્તાને તેની ભૂમિ પરની ત્રાસવાદી છાવણીઓને ખાતમો બોલાવવો પડશે તેવી તેમની ચેતવણી દ્વિપક્ષી મંત્રણાની પૂર્વશરત છે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, મંત્રણા માટે કોઈ પૂર્વશરત નથી પરંતુ પાક ભૂમિ પર સક્રિય ત્રાસવાદી છાવણીઓ નાબૂદ ન થાય ત્યાં સુધી મંત્રણા પ્રગતિ કરી શકે તેમ નથી.કોઈ પણ મંત્રણાની સફળતાનો આ એક વ્યવહારુ માર્ગ છે.
વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે, મુંબઈ હુમલાના જવાબદારો સામે પાકનાં પગલાં સંતોષકારક નથી મનમોહનસિંહે આશા વ્યક્ત કરી હતી કે, ઈસ્લામાબાદ મુંબઈ હુમલાના કાવતરાખોરેા સામે ન્યાય તોળશે.ભારત તાલિબાનોને સહાય કરે છે તેવા પાકના ગૃહપ્રધાન મલિકના આક્ષેપને ફગાવતા મનમોહનસિંહે આવા આક્ષેપને વાહિયાત ગણાવ્યો હતો.
કાશ્મીર ખીણની મુલાકાત આટોપતા વડાપ્રધાને ભાગલાવાદીઓ તથા અન્યોને મંત્રણા મેજ પર આવવા અનુરોધ કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે ભારત લોકશાહી દેશ છે અને જો ત્રાસવાદીઓ નિર્દોષોનો ભોગ લેતા હુમલા રોજે રોજ કરતા રહે તો મંત્રણા માટેનું વાતવરણ ઉદ્ભવી શકે નહીં.