નવી દિલ્હી
'વેક અપ સિડ'માં દમદાર અભિનય માટે વિવેચકોની વાહવાહી મેળવી ચૂકેલો અને આ શુક્રવારે રિલીઝ થનારી 'અજબ પ્રેમ કી ગજબ કહાની'ને પ્રેક્ષકો કેવો પ્રતિસાદ આપે છે તેની આતુરતાથી વાટ જોઇ રહેલો રણબીર કપૂર પોતાને 'સ્વાર્થી અને મહત્ત્વાકાંક્ષી' ગણાવે છે.
બોલીવૂડમાં કપૂર ખાનદાનનો ૭૫ વર્ષથી દબદબો હોવા છતાં રણબીર એમ પણ જણાવે છે કે બોલીવૂડમાં તે ડિઝનીલેન્ડમાં આવેલા બાળક જેવો અહેસાસ કરી રહ્યો છે.
૨૭ વર્ષીય રણબીરે જણાવ્યું હતું કે પોતાના સપનાં સાકાર કરવા તેણે હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે અને તે માત્ર એક્ટિંગ પૂરતો સીમિત રહેવાના બદલે દાદા રાજ કપૂરની જેમ ફિલ્મનિર્માણના દરેક પાસા પર હાથ અજમાવવા ઇચ્છે છે.
"હું ઘણો સ્વાર્થી અને મહત્ત્વાકાંક્ષી છું. મારી પાસે આજે જે કંઇ છે તે હું હાંસલ કરવા ઇચ્છું છું તેના ૧૦ ટકા પણ નથી. મને જે કંઇ પણ સફળતા મળી છે કે મળશે તે મારા માટે ક્યારેય પૂરતી નહીં હોય, કેમ કે મારા સપનાં પુષ્કળ છે. મારી ભલે ત્રણ જ ફિલ્મો આવી હોય પણ હું જન્મ્યો તે દિવસથી ઇન્ડસ્ટ્રીમાં છું. એક્ટર બનવા માટે મેં ૨૪ વર્ષ રાહ જોઇ છે."
રણબીરની આગામી ફિલ્મ 'અજબ પ્રેમ કી ગજબ કહાની' રાજકુમાર સંતોષી દ્વારા દિર્ગ્દિશત છે. સંતોષીએ ૧૯૯૪માં આવેલી કલ્ટ-ક્લાસિક કોમેડી 'અંદાજ અપના અપના' બાદ વર્ષો પછી ફરી એક વાર કોમેડી પર હાથ અજમાવ્યો છે. 'અજબ પ્રેમ કી ગજબ કહાની'માં રણબીરે એક ખ્રિસ્તી યુવતી (કેટરીના કૈફ)ના પ્રેમમાં પડતા મનમોજી યુવક પ્રેમશંકર શર્માનો રોલ કર્યો છે.