સુરત, તા.૨
રાજીવ શાહ હત્યાકેસમાં ધરપકડ કરાયેલા અને હાલ પોલીસ કસ્ટડીમાં રહેતા આઠેય આરોપીઓના આવતીકાલે મંગળવારે રિમાન્ડ પૂરા થઇ રહ્યા છે. આ પૈકી લાખાણી, ઠક્કર, અશોક બૂલેટ વગેરેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપશે, જ્યારે ભૂપત પોલીસવાળો તથા તેના પન્ટરોના પોલીસ વધુ રિમાન્ડ માંગે એવી શક્યતા છે.
નજીવી બાબતે ફાયનાન્સર રાજીવ શાહની થયેલી હત્યા શહેરમાં ભારે ચર્ચાસ્પદ બની હતી. હત્યા જે કારણોસર અને એ સાથે જે રીતે કરવામાં આવી એ બાબત ખૂબ ચર્ચાય હતી. એક ટપોરી તેનો અહમ સંતોષવા તો સામેનો વ્યક્તિ તેને બતાવી દેવા માટે રોડ ઉપર પચાસથી વધુ ટપોરીએ ભેગા કરી નાંખે એ બાબત પોલીસ માટે પણ ઘણા બધા પરિપ્રેક્ષમાં ચર્ચાનો મુદ્દો બની હતી.
રાજીવ શાહની હત્યામાં તેમની પત્ની અમીબહેને જે ફરિયાદ આપી હતી એ મેહુલ લાખાણી, અમર ઠક્કર અને હિરેન કાકડિયાના પોલીસે પહેલા પાંચ અને પછી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમિયાન અશોક બૂલેટ, ભરત આહીર ઝડપાયા હતાં. આ બે જણાના પણ પોલીસે મંગળવાર સુધીના રિમાન્ડ મેળવ્યા હતાં. ત્યારબાદ ભૂપત પોલીસવાળો, જીતુ ગોડાદરા તથા હિરેન લંબુ ઝડપાયા હતાં. આ ત્રણ જણાના પણ મંગળવાર સુધીના રિમાન્ડ છે.
આ આઠેય જણાના એકસાથે આવતીકાલે રિમાન્ડ પૂરા થઇ રહ્યા છે. પોલીસ દ્વારા બપોરે તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપીઓ પાસેથી પોલીસ દ્વારા તમામ માહિતી તથા ગુનામાં વપરાયેલા હથિયાર, કપડાં તથા સાધનો પણ કબજે લેવામાં આવ્યા હોવાનું ડીસીપી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું.